ગુજરાતી સારસ્વત પરિચય

February 8, 2007

દિનેશ શાહ, Dinesh Shah

Filed under: કવિ, વિજ્ઞાન, શિક્ષણ — ઊર્મિસાગર @ 1:00 am

“પરબનાં પીધાં મેં પાણી,dr_dinesh_o_shah.JPG
માડી તારી પરબનાં પીધા મેં પાણી…”
-એમનાં જીવનની પ્રેરણા પરબ સમાન સ્વ.માધુરીબેન દેસાઇની સ્મૃતિમાં

“જીવનભર જેને ન જાણી શક્યાં,
એનાં અશ્રુ રૂદન હવે શા માટે?”

“રાત હતી ટૂંકી પણ મારે ગણવા અગણિત તારા,
મંઝીલ છો ને દૂર હતી પણ જાવું છે પગપાળા…”

“બની પતંગ ઉડુ આભે, બાંધી દોર ને પવનને સહારે,
કે બનું પતંગિયુ ઉડવા ફુલો મહિં, મુજ કોમલ પંખના સહારે?
ભલે ન જુવે સૌએ મને, ઉંચે ઉડે પેલો પતંગ,
આનંદ છે હૈયે ઘણો, સુન્દર ફુલો મહિં રમવા તણો!”
-‘સહિયારું સર્જન’ ઉપર પતંગ વિષય પર મોકલાવેલ એક મુક્તક

“અમેરિકામાં એમનાં ગીતો લોકોએ હોંશે હોંશે ગાયા છે અને
પુરુષોત્તમ ઉપાધ્યાય  જેવા સંગીતકાર પણ એમનાં ગીતોને
સ્વરબદ્ધ કરીને મઢી શકે છે અને વહેતાં કરી શકે છે.”
-એમની રચના વિશે શ્રી સુરેશ દલાલનાંશબ્દો

“Dr. Shah is a man with a scientific mind with the heart of a poet”
- ભારતનાં રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામનાં શબ્દો 

# રચના      :   - 1 -   :   - 2 -  :  - 3 -  :  - 4 - 

# સાંભળો    :  માણસાઇના દીવા 

# વેબ સાઇટ  :   - 1 -   :   - 2 -  :  કવિનું સ્વપ્ન (સ્વરબદ્ધ થયેલી 16 કવિતાઓ) 

__________________________________________

શ્રી દિનેશભાઇ શાહે આ પ્રસંગે મોકલાવેલ એક ખાસ સંદેશ -

મારી ઓળખાણ આપની વેબસાઈટ ઉપર આપવા બદલ ખુબ ખુબ આભાર!  હું આશા રાખું છું કે જગતના બધા જ ગુજરાતી વાંચકો આપણી ભાષાનો દીવો આવતા દાયકાઓમાં ઇન્ટરનેટની મદદથી જલતો રાખશે.  હું એ પણ કહેવા માગું છું કે આ દીવો જલતો રાખવા ગુજરાતીમાં ડીગ્રી હોવી જરૂરી નથી!  ગુજરાતીમાં વિચારો હૃદયમાંથી આવવા જોઇએ અને એ સાદી ભાષામાં લખાવા જોઇએ.  આપણો ગમે તે વ્યવસાય હોય, ગુજરાતી ભાષા આપણી સદાની સાથી હોવી જોઇએ!  ગુજરાતની બહાર રહેતા બધા જ મા-બાપ અને વડીલોને મારી નમ્ર વિનંતિ છે કે પોતાની નવી પેઢીને ગુજરાતી ભાષાનું થોડું જ્ઞાન (વર્કિન્ગ નોલેજ) આપે.  જીવનનાં અડાબીડ અને ઉચાનીચા રસ્તે ચાલવા માટે ગુજરાતી સાહિત્યમાંથી મને ઘણી પ્રેરણા મળી છે.  આ પ્રેરણાનાં સરોવરથી કે જીવનના કંપાસથી ભવિષ્યની પ્રજાને વંચિત રાખવાનો શું અર્થ?  આપની વેબસાઇટને ખુબ ખુબ શુભેછાઓ!

dinesh_shah_signature.JPG

__________________________________________ 

સંપર્ક

  • ઘર-સરનામું:  2615 NW 21 Street, Gainesville, Florida - 32605, USA
  • ઇ-સરનામું: dineshoshah@yahoo.com
  • મોબાઇલ: 352-871-4993

જન્મ

  • માર્ચ 31, 1938 - મુંબઇ (વતન - કપડવંજ)

કુટુમ્બ

  • માતા -  શારદાબહેન;   પિતા - ઓચ્છવલાલ;   ભાઇભાંડુઓ -  પાંચ;
  • પત્ની - સુવર્ણાબેન (1969); સંતાનો - પુત્રી (બીજલ) ,  પુત્ર (પ્રેરક); 

અભ્યાસ

  • 1959 -  બી.એસ.સી.  ,  મુંબઇ યુનિવર્સિટી
  • 1961 - એમ.એસ.સી , મુંબઇ યુનિવર્સિટી
  • 1965 - બાયોફિઝીક્સમાં પી.એચ.ડી. , 1965 - કોલમ્બીયા યુનિવર્સીટી, અમેરીકા

વ્યવસાય

            dineshbhai_pic_oval.gif…….આધેડ વયે

જીવનઝરમર  

  • નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી હોવા છતાં માતાના સંસ્કાર-સિંચનથી એમનામાં માતા અને પિતા બંનેનો સુભગ અને સુખદ સમન્વય થયેલો તેમ જ પિતાની ગેરહાજરીમાં ગામનાં લોકોની ઘણી હૂંફ મેળવેલી
  • શાળાજીવન દરમ્યાન પણ કોઇની દયા લેવામાં નહીં માનનારા અને સ્વાશ્રયી થઇને શરમ રાખ્યા વિના નાનું મોટું કોઇ પણ કામ કરનાર એ એક આપકર્મી જીવ ઉપર ગાંધીજીનો ખાસ્સો પ્રભાવ
  • પોતાના ઘડતરકાળમાં સ્વમાનભેર કર્મને જ ધર્મ માની અને સ્વાશ્રયને વધુ મહત્વ આપી સૂતરની ત્રણ આંટી તૈયાર કરવામાં એક રૂપિયો વળતર પણ મેળવેલું
  • શાળાજીવન દરમ્યાન ચાર વર્ષ સુધી મહિનાનાં પાંચ રૂપિયાનાં પગારમાં વ્યાયામશાળામાં કચરો વાળવાની નોકરી કરેલી અને એ કચરાની સાથે સાથે ’વાણિયાના દીકરાથી આ કામ થાય, ને આ કામ ન થાય’  એવી પરંપરાગત માન્યતાની પણ સ્વમાનપૂર્વક સાફસૂફી કરેલી
  • શાળાનાં પ્રમુખની હાકલને માન આપી સ્વાશ્રય અને જાતમહેનતથી ઉનાળાની રજાઓમાં ત્રણ વર્ષ સુધી એમણે ગામથી ત્રણ માઇલ દૂર ખેતરમાં ચાલતાં જઇ પાણીની નીકો બનાવવાનું અને પાણી પાવાનું કાર્ય પણ કરેલું
  • વિદ્યાર્થી તરીકે ઉજ્જવળ કારકિર્દી ધરાવતા એમણે ભણતાં ભણતાં પણ વિના-મૂલ્યે, નબળા વિદ્યાર્થીઓને ભણાવવા માટે વર્ગો ચલાવેલા
  • કૉલેજકાળ દરમ્યાન કોઇનાં પણ દાયાદાન લીધા વિના, સ્વાભિમાન અને સ્વાશ્રયથી આગળ કેમ ભણવું એની ચિંતા ટાણે જ, ખરા સમયે, એમની મુલાકાત શ્રીમતી માધુરીબેન ધીરુભાઇ દેસાઇ સાથે થયેલી, જેમણે પોતાના જીવનપર્યંત સુધી એમને માતા જેવી હૂંફ, મમતા અને વાત્સલ્ય અર્પેલા (માધુરીબેન એ બેરિસ્ટર ભુલાભાઇ દેસાઇનાં પુત્રવધુ હતા જેમણે સ્વાતંત્ર્યસંગ્રામ વખતે આઝાદ હિંદ ફોજના ઉચ્ચ અધિકારીઓને નિર્દોષ ઠેરવ્યા હતા!)
  • શરૂઆતમાં માધુરીબેને એમના સ્ટાફના માણસોનાં બાળકોને ટ્યૂશન આપવાના બદલામાં એમની કૉલેજ અને હૉસ્ટેલની ફીની જવાબદારી લીધેલી અને ત્યાર પછી પણ કાયમ માટે એમના જીવનમાં એક ‘પ્રેરણાની પરબ’ સમાન બની રહેલા
  • 1961માં પી.એચ.ડી. માટે અમેરીકા પ્રયાણ કર્યું ત્યારે એમને વિસા અપાવવા માટે માધુરીબેને આર્થિક બાંહેધરી આપેલી
  • અમેરીકામાં એમની કારકિર્દી એટલી હદે ઉજ્જવળ છે કે  કોઇ પણ ભારતીય એમના પર ગૌરવ લઇ શકે છે.
  • શિક્ષણના ક્ષેત્રે અમેરીકામાં એમનું એટલું આગવું પ્રદાન છે કે એમને ઘણા એવોડર્સ પણ મળ્યાં છે અને એક પછી એક યુનિવર્સિટી એમને હજી પણ માનમરતબા આપ્યા જ કરે છે.
  • આ ઉમ્મરે પણ વિઝીટીંગ પ્રોફેસર તરીકે વિશ્વના ઘણા દેશોમાં સેવા આપે છે.
  • વ્યવસાયની સાથે ગુજરાતી સાહિત્યની પ્રીતિ આટલા વર્ષ અમેરીકા રહ્યાં છતાં જાળવી રાખી છે, અને ઘણા કવિ સંમેલનોમાં પણ ભાગ લીધો છે; તેમની 16 જેટલી કવિતાઓ સ્વરબદ્ધ પણ થયેલી છે.
  • ભારતમાં ઘણાં સામાજિક કાર્યોમાં પોતાનો આર્થિક અને માનસિક ફાળો આપેલો છે.

મુખ્ય રચનાઓ

  • કાવ્યસંગ્રહ - ‘પરબ તારાં પાણી’  (1986)
  • વિજ્ઞાનને લગતા બીજા ઘણા પુસ્તકો અને રીચર્સ પેપરો પણ લખ્યાં છે.

parab_tara_pani.JPG

સાભાર

  • ‘પરબ તારા પાણી’ પુસ્તક
  • ડૉ. દિનેશ શાહ

________________________________________________________________ 

- રસથાળ  - 

- જીવનની ફિલસૂફી - 

જીવનમાં સૌથી વધુ મહત્વ ‘સ્વાશ્રય’નું! 

“You are the architect of your life!”

“You are allowed to become what you want to become.” 

“There are no traditions or laws to follow and obey!”

 - એમની વધુ રચનાઓની ઝલક -

“મળશે ક્યારે ધર્મરાજાઓ, મંદિર-મસ્જિદ ગુરુદ્વાર?”

“શિખામણ કે આશીર્વાદથી કોઇ માણસ સુધરતા નથી,
ગંગાજળ ધોયા કોલસા ધોળા કદી થાતા નથી.”

“જીવન મરણની ઘટમાળને તુજ ખેલ સમજું ક્યાં સુધી?
માટી તણી આ જેલને હું મહેલ સમજું ક્યાં સુધી?”

“પર્વતના શિખરથી નીકળી વહેતી નદી અનેક,
ચાર દિશા ફરી ભેગી થાતી સાગરમાં સૌ એક.”

“ખોબા જેવા હૈયામાં સાગરના તોફાન
ક્યાંથી આવ્યાં શાને આવ્યાં એનાથી અજાણ”

“પ્રભાતના આ પહેલા કિરણે કોણ ગયું જગાડી?
શાંત સૂતેલા અંતરવનને કોણ ગયું ટહુકાવી?”

“ખોળ્યાં મેં અવનિ આભ ઘણાં
કીધાં મેં સાગર પાર ઘણાં
ધીખતાં રણ આ કોણે ઘડ્યાં
મને રેતીમાંથી રતન જડ્યાં”
-એમનાં વિદ્યાર્થીઓને

“વરસાદને હું ઝંખતો જોઇને નાની વાદળી,
ધન્ય છે અજાણ મિત્રો સ્થાપવા આ અકાદમી.”
-ગુજરાતી લિટરરી એકેડેમી ઑફ નોર્થ અમેરીકાની સ્થાપના પ્રસંગે

- શ્રી દિનેશભાઇ શાહ અને એમની રચનાઓ વિશે અન્ય કવિઓના મંતવ્યો -

“સ્વ.માધુરીબહેન એ એમની પ્રેરણાની પરબ છે. એમના જીવનનો વિસામો છે.  એમની રચનાઓમાં તારસ્વરે વિવિધ લાગણી પ્રગટ થાય છે.  એ લાગણીના માણસ છે. કવિતાની લાગણી સાથે એમણે ઝાઝી નિસ્બત રાખી નથી.  કારણ કે કવિ થવાના એમને કોડ નથી.  એમને તો જે કંઇ સૂઝ્યું, જે કંઇ સ્ફૂર્યુ, એ બધું શબ્દબધ્ધ કર્યું.  એમનો પોતાનો એક છંદ છે, એટલે જ એમણે છંદની પરવા નથી કરી. એમનો પોતીકો લય છે, એટલે કવિતામાં લયબદ્ધ રહેવા કરતાં લાગણીબદ્ધ રહેવું વધારે પસંદ કયું છે. એમની રચનાઓ જેટલી ભાવિક છે એટલી સ્વાભાવિક નથી.

મારે મન ડૉ. દિનેશનો મહિમા એટલા માટે છે કે સામાન્ય રીતે માણસ વર્ષોથી અમેરિકા જેવા દેશમાં હોય ત્યારે એને ડોલર સિવાય કશું દેખાય નહીં. ત્યાં રહ્યા રહ્યા એમણે ગુજરાતી શબ્દને સેવ્યો છે, એ જ મોટી વાત છે. … ત્યાં જઇને આપણા ગુજરાતીઓ ‘ગરબો’ ને ‘ગારબો’ કહે ત્યારે ડૉ.દિનેશ જેવો માણસ ભારતથી જોજનના જોજન દૂર વસીને પણ ગુજરાતી શબ્દની લગોલગ રહેવાનો પ્રયત્ન અને પુરુષાર્થ કરે એ મૂલ્યને હું અહીં બિરદાવું છું.”

-’પરબ તારા પાણી’ પુસ્તક વિશે શ્રી સુરેશ દલાલનાં શબ્દો

“રસાયણશાસ્ત્રના અધ્યયન-અધ્યાપનમાંથી હૃદય રસાયણના ક્ષેત્ર કવિતામાં આવી ચડેલા દિનેશભાઇનાં કાવ્યોમાં હૃદયનો ધબકાર અને અનુભૂતિનાં સ્પંદનો છે.  જીવનના અડાબીડ રસ્તે કવિતાના મુકામે શ્વાસ લેવાનું ગજું દિનેશભાઇ બતાવી શક્યા છે, એ વાત આનંદ પ્રેરે છે.”  
-’પરબ તારા પાણી’ પુસ્તક વિશે શ્રી હરીન્દ્ર દવેનાં શબ્દો

7 Comments »

  1. મારો દીનેશભાઇ સાથેનો અંગત પરિચય બહુ આકસ્મિક રીતે થયેલો. હું ભૂલતો ન હોઉં તો, 2002 ની સાલમાં અમારે ત્યાં ડલાસમાં એક કવિ સમ્મેલન રાખ્યું હતું, જેમાં ખાસ મહેમાન તરીકે ડો રઇશ મનીઆર આવ્યા હતા. મારે માટે એ મારા જીવનનું પહેલું જ કવિ સમ્મેલન હતું - શ્રોતા તરીકે ! થોડી લઘુતા ગ્રંથી પણ ખરી. આખી જિંદગી ઇજનેરી અને મેનેજરી કર્યા બાદ આ એક નવો જ અનુભવ હતો.
    તેમની આ બધી રચનાઓ તેમના સ્વમુખે સાંભળવાનો લ્હાવો મળ્યો હતો. બધું પત્યા પછી દિનેશભાઇને તેમના રહેવાની જગ્યાએ ઉતારવાનું કામ મને સોંપવામાં આવ્યું. આખા રસ્તે હું તો બહુ જ અહોભાવથી તેમને સાંભળતો રહ્યો. મારી કોઇ કવિ સાથેની આ પહેલી અંગત મુલાકાત હતી. પણ તેમના સૌજન્ય, નમ્રતા અને માયાળુતાથી મારી લઘુતા ભાગી ગઇ! મારી કવિતાના ક્ષેત્રે જે કાંઇ પ્રગતિ થઇ છે તેમાં દિનેશભાઇનો પણ ફાળો છે.

    Comment by સુરેશ જાની — February 7, 2007 @ 10:29 pm

  2. સ્વયં દિનેશ છે.એમને ક્યાં પ્રકાશ ઉધાર માગવા જવાનું છે.
    એમના પ્રકાશની પરબમાંથી જ્ઞાનનાં પાણી પીવરાવ્યા કરે
    તે આપણું સદભાગ્ય છે.
    આપણું કામ તો એમનું શુભ થતું રહે એ પ્રાર્થવાનું છે.પ્રભુ
    એમને શક્તિ આપ્યા કરે અને આપણું શુભ પણ થયા કરે.
    એમની ભાવના ગુજરાતી ભાષાનો પ્રસાર
    “even working knowledge of the language”
    એ આપણા સહુનો પ્રાણ-મંત્ર બને તો એમને આપણે કંઈક
    વળતર ચૂકવ્યું હોવાનો દાવો કરી શકીશું.
    ચાલો ત્યારે જય-ગુર્જરી કહી એમનું અભિવાદન કરીએ.

    શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ.

    Comment by pravinchandra — February 8, 2007 @ 7:00 am

  3. [...] શાહ ગુજરાતી સારસ્વત પરિચય પર વાંચો દિનેશભાઈની જીવનઝાંખી No Comments so far Leave a comment RSS feed for comments on this post. TrackBack URI [...]

    Pingback by Bansinaad — February 8, 2007 @ 9:12 am

  4. [...] જીણવટથી વણાયેલી છે એ જાણવા એમની જીવનઝાંખી જરૂર [...]

    Pingback by પરબનાં પાણી -ડૉ.દિનેશ શાહ « ઊર્મિનો સાગર — February 8, 2007 @ 9:13 am

  5. HOPE YOU KEEP DOING YOUR GOOD WORK.

    Comment by Rajendra Trivedi, M.D. — February 8, 2007 @ 10:25 am

  6. I had the opportunity of meeting Respeced Dineshbhai at Kapadwanj, his home town, in one marraige during Nov. 2005. I was intorduced to this genuine GEM by our common friend Shri Krishnakantbhai as his daughter’s Dad at USA. I then knew that his love towards people, Gujrati Sahitya flows non stop………

    I feel privileged to have known him and now I make it a point to meet him everytime he is India. God give him healthy years ahead so he writes more and more..and we all enjoy the same.

    Comment by Shirish Kamdar — February 19, 2007 @ 10:13 am

  7. [...] # દિનેશ શાહ [...]

    Pingback by અનુક્રમણિકા - દ « ગુજરાતી સારસ્વત પરિચય — March 23, 2007 @ 7:21 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.