< 28 – મે , 2006 >
અહીં પહેલી ટપાલ પ્રગટ કરી હતી. ‘ ફાધર વાલેસ ‘ ની જીવનઝાંખી આપીને. તે વખતના થોડાક શબ્દો …….
“…. પહેલો સર્જક પરિચય ફાધર વાલેસથી આપું છું. સ્પેનમાં જન્મેલી આ વિરલ વ્યક્તિએ માત્ર ગુજરાતી ભાષાને પોતીકી જ બનાવી નથી, પણ ભારતીય સંસ્કારોને ઘણા સારી રીતે સમજ્યા છે અને સમજાવ્યા છે. મારા જેવા ઘણાને યુવાનીમાં તેમના લેખોએ જીવનનું અમૂલ્ય માર્ગદર્શન આપ્યું છે. તેમને મારો આ બ્લોગ સાદર અર્પણ કરતાં મને અત્યંત આનંદ થાય છે.
– આ એક બહુ જ મોટું કાર્ય મેં ઉપાડ્યું છે. પણ આપણા સાહિત્યકારોને આપણે નેટ ઉપર સન્માનિત કરવા હોય અને તેમને માટે ગુજરાતી વાચકોને માહિતગાર કરવા હોય તો આ એક મદદગાર સ્થળ બની રહેશે તેવી મને આશા છે.”
હવે થોડુક આ પ્રવૃત્તિ કેમ હાથ ધરી તે વિશે. મને કવિતા વાંચવી ગમે. વાંચતાં હંમેશ એમ થાય કે, આ કવિને આવો વિચાર આવે છે અને મને કેમ નથી આવતો? ! વળી એમ પણ વિચાર આવે કે, આ લોકોનું જીવન કેવું હશે? મારી પાસે ‘ગુર્જર સાહિત્ય’ ની ચોપડીઓનો સેટ હતો.તેમાં દરેક ચોપડીની પાછળ તે લેખકની જીવનઝાંખી અહીં આપીએ છીએ તેવા જ લગભગ બીબામાં આપેલી હતી. ઇતિહાસ અને જીવનચરિત્રો વાંચવા આમે ય મને ગમે. તરત જ બીજો વિચાર આવ્યો કે આ બધાને વહેંચું તો? નવી નવી શરુ કરેલી બ્લોગીંગની પ્રવૃત્તિને કારણે આ વિચાર આવ્યો. અને તરત જ તેનું અમલીકરણ કર્યું. અને ફાધર વાલેસ મારા છાપે ચઢી ગયા !તેમની વેબ સાઇટ પરથી તેમનો સમ્પર્ક સાધ્યો અને તેમના ખુદના આશિર્વાદ પણ મને સાંપડ્યા.
આજથી સાત દિવસ પછી, એ ઘટનાને એક વર્ષ પૂરું થશે.
તે દિવસે હું એકલો આ કામ ખભે લઇને નીકળ્યો હતો. આજે અમે સાત જણ આ કામમાં યોગદાન આપી રહ્યા છીએ. આજની તારીખમાં 263 જીવનઝાંખી આ બ્લોગ પર આકાર લઇ ચૂકી છે. તમારા બધાના સહકાર અને પીઠબળ વગર આ શક્ય ન બન્યું હોત. અમે આપ સૌએ પાઠવેલા પ્રતિભાવોથી અભિભૂત છીએ અને આપના અંતઃકરણપૂર્વક ઋણી છીએ.
આ પ્રસંગને અનુરૂપ એક વિશિષ્ઠ સપ્તાહનું આયોજન અમે કર્યું છે. આજથી શરુ કરીને સાત દિવસ સુધી દરરોજ એક સ્ત્રી – સારસ્વતની જીવનઝાંખી અહીં આપવામાં આવશે. આજની જીવનઝાંખી અમારી તંત્રી ટોળીના સૌથી યુવાન ( એટલે કે સૌથી છેલ્લા જોડાયેલા મિત્ર) શ્રી જય ભટ્ટે આપેલી છે – સુરતના સમર્થ વાર્તાકાર બહેનશ્રી હિમાંશી શેલત ની ……
આજથી આઠમા દિવસે ગુજરાતી નેટ વાચકોને અમે થોડીક ખાસ આશ્ચ્રર્યકારી ભેટ આપીશું.
- અમીત પીસાવાડીયા, ઉર્મીસાગર, જય ભટ્ટ, જયશ્રી ભક્ત, જુગલકીશોર વ્યાસ, સુરેશ જાની, હરીશ દવે………