વ્યવસાયે એન્જિનિયર એવા સુધીર ભાઈનો જન્મ રાજકોટમાં ૧૨, ફેબ્રુઆરી – ૧૯૪૩ ના દિવસે થયો હતો. પણ તેમનો અભ્યાસકાળ અમદાવાદમાં અને વ્યવસાય કાળ વડોદરામાં પસાર થયો છે. આમ તેઓ થોડાક વધારે ગુજરાતી છે! તેમના પિતાશ્રી રમણલાલ પણ એન્જિનિયર હતા. બનારસ હિન્દુ યુનિ.માંથી સ્નાતક થયેલા રમણલાલ અમદાવાદની અરવિંદ મિલમાં ચીફ એન્જિનિયરના હોદ્દા સુધી પહોચ્યા હતા. તેમનાં માતુશ્રી શાંતાબહેન ગ્રુહિણી હતાં.
સુધીરભાઈએ શાળા શિક્ષણ અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં વિસ્તારમાં આવેલી પ્રખ્યાત દિવાન બલ્લુભાઈ માધ્યમિક શાળામાં મેળવ્યું હતું. અમદાવાદની એલ.ડી. એન્જિ. કોલેજમાંથી ૧૯૬૪ની સાલમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે બહાર પડેલા સુધીરભાઈએ ત્યાર બાદ અમેરિકાની ઓક્લોહામા યુનિમાંથી એ જ વિષયમાં એમ.એસ. ની ડીગ્રી હાંસલ કરી હતી. આ ઉપરાંત તેમણે ૧૯૮૪ – ૮૫માં વડોદરામાંથી Post graduate diploma in Business Management (PGDBM) નો અભ્યાસ પણ કર્યો છે.
બે વર્ષ અમેરિકામાં ગાળી, જરૂરી વ્યાવસાયિક તાલીમ મેળવી, અમેરિકાના બાવીસ રાજ્યોમાં પ્રવાસ કરી, તેઓ વડોદરામાં આવેલી SME fabrication company માં પ્રોડક્શન એન્જિનિયર તરીકે જોડાયા હતા. ત્યાં જાતજાતની મશીનરી – ખાસ કરીને પ્રેશર વેસલ વિ. ના ફેબ્રિકેશનમાં તેમણે પ્રવીણતા હાંસલ કરી હતી અને એ કંપનીના ડિરેક્ટર પદ સુધી પહોંચ્યા હતા. ૨૦૧૨ની સાલમાં નિવૃત્ત થયા બાદ તેમણે પોતાનો કન્સલ્ટિંગનો વ્યવસાય શરૂ કર્યો હતો, જે આજની તારીખ સુધી ચાલુ છે.
આ ગાળામાં વ્યવસાયના સબબે તેમ જ અંગત રસથી તેમણે વિશ્વના ઘણા દેશોની મુલાકાત પણ લીધેલી છે. આમ સુધીર ભાઈ વિશ્વપ્રવાસી પણ છે. વ્યવસાય ઉપરાંત સુધીરભાઈના રસના વિષયો વાંચન, લેખન અને ક્રિકેટ છે.
તેમનાં પત્ની – વર્ષા ગ્રુહિણી છે. તેમનો મોટો દીકરો ઉમંગ વડોદરામાં ડોક્ટર છે, અને નાનો દીકરો ઉજ્વલ અમેરિકામાં કોમ્પ્યુટર એન્જિનિયર છે.
પણ, મળવા જેવા માણસ તરીકે તેમની ઓળખ ઊગતા એન્જિનિયરો અને યુવાન વાચકો માટે તેમણે લખેલ પુસ્તકોનાં કારણે છે. તેમણે ઊગતા એન્જિનિયરો માટે લખેલાં બે પુસ્તકો ખાસ કરીને નાની કક્ષાના ઉદ્યોગોમાં કામ કરતા એન્જિનિયરોમાં બહુ પ્રચલિત થયાં છે.
નિવૃત્ત થયા બાદ બાળપણમાં વાંચનની ટેવના કારણે થયેલા પોતાના વિકાસ પર તેમની નજર ગઈ. પોતાની ત્રીજી પેઢીનાં બાળકોને વાર્તાઓ કહેતાં, તે બધી વાર્તાઓને શબ્દદેહ આપવા પર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું. આના કારણે તેમની આ બાબતમાં લેખન પ્રવૃત્તિ શરૂ થઈ. આગળ જતાં તે માત્ર બાળકો પૂરતી મર્યાદિત રહી નથી. તેમણે વયસ્ક વ્યક્તિઓ માટે પણ પ્રેરણાદાયી પુસ્તકો લખ્યાં છે.
તેમણે લખેલ એક પુસ્તક “Vishisht- A Robo-kid” નો ખાસ ઉલ્લેખ કરવો રહ્યો. આધુનિક ટેક્નોલોજી યુગને અનુરૂપ આ કથામાં એક અનાથ બાળક્ના વિકાસની વાત આપણા ચિત્ત પર સચોટ અસર કરી જાય છે.
આ ઉપરાંત સુધીરભાઈને ઈશ્વર ઉપર અનુપમ શ્રદ્ધા છે. પોતે હાંસલ કરેલી સિદ્ધિઓ માટે પોતાની આવડત કરતાં પરમ તત્વની કૃપાનો સ્વીકાર કરવા જેવી નમ્રતા ધરાવતા સુધીર ભાઈ સાચા અર્થમાં ‘મળવા જેવા માણસ’ છે.
તેમનાં સર્જનો
એમેઝોન પરથી 1. VISISHTA 2. GEN-NEXT 3. ROOLER COASTER 4. FUN TONIC 5. TEILIGHT TALES 6. AT THE TWILIGHT HOUR 7. FABRICATION INDUSTRY AT A GLANCE 8. FABRICATION PROCESSES
બરાબર મારી દીકરીની ઉમરની જ આ ગુજરાતી દિકરીની વાત ઓપિનિયન પર વાંચી. અહીં સમાવેશ કરવો જ પડે – તેવી એક ગુજરાતણ – અમેરિકન સ્ત્રીની જીવન દાસ્તાન
સ્ત્રી સન્માન- લડત માટેની વીરાંગના અમેરિકન મરીન દળમાં માજી અધિકારી ‘SWAN’ ની સ્થાપક
યોગ શિક્ષક
મારી ખૂબ ઈચ્છા છે કે અનુરાધા ભગવતી અને પદ્મા દેસાઈની સ્મૃતિયાત્રાઓની તંદુરસ્ત ચર્ચા દેશ-દુનિયામાં, ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં તો થાય જ. આ બન્ને પુસ્તકોનો ગુજરાતી અનુવાદ પણ થવો જોઈએ.
અનુની આત્મકથાની વિશિષ્ટતા એની પારદર્શકતા અને ધારદાર કલમ છે. અનુભવ્યું અને લાગ્યું તે લખ્યું, બોલી તે બોલી, જે ગમ્યું તે કર્યું, ન ગમ્યું તે છોડ્યું અને અંતે હૈયે તો હોઠે અહીં ટેરવે. નારીવાદીઓનો તકિયાકલામ ‘Personal is Political’ અનુની ગળથૂથીના સંસ્કાર છે. તે રીતે ‘મારા તન-મન-ભાવના-ધન પર મારો જ અધિકાર છે અને હું ઈચ્છીશ તે કરીશ’ એવો નિર્ધાર એનું વિશિષ્ટ પાસું છે. જો સ્વતંત્રતાનો અહેસાસ છે તો સમાંતર જવાબદારીની સભાનતા પણ છે. મને આ આત્મકથન ‘આંતર ખોજ’ તરીકે વધારે સ્પર્શ્યું છે. હકીકતે તો ઉંમરના વચલા કે મધ્યાહ્નના પડાવ પર એને ટેરવેથી આત્મકથન શબ્દાંકિત થયું છે. યેલ યુનિવર્સિટીમાં સ્નાતક તરીકેના અભ્યાસના અનુભવોથી લઈ મિલિટરીની મરીન શાખામાં લેફ્ટનન્ટ અને કેપ્ટન તરીકેની કારકિર્દી બનાવી ત્યાર પછી SWAN નામની સંસ્થાની સ્થાપના દ્વારા મિલિટરીમાં સ્ત્રી-સૈનિકો સાથે થતાં જાતીય દુર્વ્યવહારના ખુદના અને અન્યના અનુભવોને વાચા આપી મિલિટરીમાં સ્ત્રી કેન્દ્રિત વલણ-અભિગમ બદલવા અને કાયદા / ધારાધોરણ સુધારવા માટે હિમાયતી તરીકેની સક્રિય ભૂમિકા ભજવનાર અનુરાધાની આકંઠ નિસબત, પ્રતિબદ્ધતા અને અંત સુધી ધ્યેયને સમર્પિત રહેવાની અડગ નિષ્ઠાનો આલેખ એટલે એનું આત્મકથનાત્મક આલેખન
વાચકોને વિનંતી દાઉદભાઈના જીવન અને કવન વિશે ટૂંક પરિચય અહીં પ્રકાશિત કરવો છે. વિગતો મેળવી આપશો તો ખૂબ ગમશે.
દાઉદભાઈને પહેલવહેલો, ભલા, ક્યારે મળ્યો હોઈશ ? સંભારું છું તો યાદ આવે છે રઘુવીરભાઈ ચૌધરી જોડે બાપુપુરાના પ્રવાસે અમે હતા. વળતાં મોડાસા ખાતે દાઉદભાઈ ઘાંચીની શિક્ષણસંસ્થામાં સરિક થવા અમે ગયેલા. રઘુવીર ચૌધરી એ અવસરના મુખ્ય મહેમાન હતા. ગયા સૈકાના આઠમા દાયકાની આ વાત હશે.
દરમિયાન, દાઉદભાઈ બ્રિટન અવારનવાર આવ્યા કરે. એમના ત્રીજા સંતાન ફારૂકભાઈ એ દિવસોમાં ગ્લાસગૉ ખાતે ઉચ્ચ અભ્યાસ કરે. દાઉદભાઈએ લાગલા પોતાના દીકરા, ફારૂકભાઈને જ અમારી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના વાર્ષિક સભ્યપદે નોંધી દીધા. આ સભાસદ પોતે નહીં, બલકે એમના પિતા જ દર વખતે સભ્યપદ તાજું કરાવી લે !
એ દિવસોમાં ગુજરાતી સાહિત્ય અકાદમી પોતીકા પરીક્ષા તંત્ર હેઠળ ગુજરાતીની પાંચસ્તરીય પરીક્ષાઓ વાર્ષિક ધોરણે લેતી. દેશ ભરમાંથી સેંકડો વિદ્યાર્થીઓ જુદા જુદા પરીક્ષા કેન્દ્રોમાં આ પરીક્ષાઓમાં બેસતાં. એક તબક્કે આ આંકડો બારસો-પંદરસો લગી પહોંચેલો તેમ સાંભરે છે. દેશની પાંત્રીસ-ચાળીસ ગુજરાતી ભણાવતી નિશાળો તેમ જ આનુષંગિક સંસ્થાઓ સાથે મળીને પહેલી મેની ચોપાસના રજાના દિવસે, અકાદમીના નેજા હેઠળ ‘આંતરરાષ્ટૃીય ગુજરાતી દિવસ’ની, આખા દિવસની, ઉજવણી યોજતી. હજારબારસોની મેદની વચ્ચે બાળકો, ‘સંસ્કાર ગુર્જરી’ નામક ગુજરાતી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરતાં અને તે ટાંકણે આ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલાં પરીક્ષાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવતાં. વળી, પહેલા-બીજા-ત્રીજા ક્રમાંકે આવતાં પરીક્ષાર્થીઓનું ઉચિત સન્માન કરવામાં આવતું. જાગતિક સ્તરે ગુજરાતી ભાષા-સાહિત્ય-સંસ્કૃતિ ક્ષેત્રે નામી વ્યક્તિને અતિથિ વિશેષ તરીકે અકાદમી આદરભેર લઈ આવતી.
નેવુંના દાયકાના આરંભે, સન 1995માં, બર્મિંગમ શહેરના પેરી બાર વિસ્તારમાં, ‘ગુજરાતી હિન્દુ ઍસોસિયેશનના યજમાનપદે, સાતમો આંતરરાષ્ટૃીય ગુજરાતી દિવસ મનાવાઈ રહ્યો હતો. દેશ ભરમાંથી પરીક્ષાર્થીઓ, તેમનાં માવતરો, તેમનાં શિક્ષકો, જે તે ગુજરાતી નિશાળના અન્ય સંચાલકો, બર્મીંગમ શહેરની વિધવિધ ગુજરાતી નિશાળોનાં પરીક્ષાર્થીઓ, તેમનાં માતાપિતાઓ, શિક્ષકો, સંચાલકો તેમ જ અનેક ગુજરાતી શહેરીઓ ઊમટી આવેલાં. હૈયેહૈયું દળાય એટલો માનવમહેરામણ હતો. સભાખંડ ખીચોખીચ હતો. આ અવસરે ગુજરાતે આપેલા એક ઉત્તમ કેળવણીકાર, શિક્ષક, વિચારક, લેખક ડૉ. દાઉદભાઈ એ. ઘાંચી અતિથિ વિશેષ હતા. પોતાના દીકરા, ફારૂકભાઈ જોડે ગ્લાસગૉથી એ પધાર્યા હતા.
“ઓપિનિયન”ના મે 1995ના અંકમાં પ્રતિભાવ રૂપે એ લખતા હતા : ‘… તા. 30-04-1995ના દિવસે મેં બર્મીંગમ ખાતેના અકાદમીના કાર્યક્રમમાં ગાળેલા ત્રણ-ચાર કલાક મારે માટે સાંસ્કૃતિક ભાથું બની રહેશે. એવી એમાં ગરિમા હતી, ભાવિ માટેની શ્રદ્ધા હતી. શ્રમની સોડમ અનોખી હોય છે. એ કાર્યક્રમ તમારા સર્વદેશીય શ્રમનો પરિપાક હતો. એ એક સતત ચલાવાઈ રહેલા અભિયાનનો સફળતા આંક સૂચવતો પ્રસંગ હતો.’
દાઉદભાઈની કલમ આગળ વધે છે : ‘ગુજરાતી સાહિત્ય અકાદમીએ કેટકેટલાં વાનાં હાથ ધર્યાં છે ! એનો કાર્યપટ જીવન જેટલો વિશાળ લાગે છે ! કાશ, તળ ગુજરાતની અકાદમીએ એના આરંભકાળથી આવું કોઈક દર્શન કર્યું હોત ! “અસ્મિતા”નો 1993નો અંક માત્ર સિદ્ધિપત્ર નથી, દર્શનપત્ર પણ છે. જેનું દર્શન સુસ્પષ્ટ, એનું કર્તવ્ય ધારદાર. અકાદમીના સૂત્રધારોએ આ બાબતે ઘણી કાળજી રાખી છે એ માટે એમને આપો એટલાં અભિનંદન ઓછાં છે ! એ ખોબલે, ખોબલે અપાતાં રહેવાં જોઈએ. અહીં બ્રિટનમાં, અને ઘેર ગુજરાતમાં.’
‘પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી’ નામક મથાળા સાથે લખાયેલા આ પત્ર-લેખમાં, દાઉદભાઈએ કહ્યું છે: ‘તમારી સાથેના થોડીક જ પળોના સહવાસથી મને પણ થઈ જાય છે કે હું બ્રિટનમાં જ હોઉં તો વૈચારિક નવજન્મ પામું ! એટલો શક્તિપ્રપાત કરવાની તમારાં સ્વપ્નો, આયોજનો અને કાર્યક્રમોમાં સંભાવના ભરી પડી છે.’
દાઉદભાઈએ અતિશયોક્તિ અલંકાર અહીં ઉપયોગમાં લીધો હોય, ન ય લીધો હોય પણ આ પછી એમની જોડેનો સંપર્ક જીવંત તેમ જ ઘનિષ્ટ બનીને રહ્યો. જ્યારે જ્યારે એ આ મુલકે આવે ત્યારે ત્યારે અમારે મળવાનાહળવાના તેમ જ અંગત આદાનપ્રદાનના અવસરો બનતા રહ્યા. માન્ચેસ્ટરની મેટૃોપોલિટન યુનિવર્સિટીમાં એક પરિસંવાદનું આયોજન થયેલું. તેમાં એક અતિથિ વક્તા તરીકે મારી પસંદગી થયેલી અને બીજા અતિથિ વક્તા તરીકે દાઉદભાઈ પણ હાજર હતા. આદાનપ્રદાન તો થયું. અમે ખૂભ હળ્યા, મળ્યા, ને છૂટા પડ્યા. ત્યાં સુધીમાં ફારૂકભાઈ યૉર્કશરમાં, બ્રેડફર્ડ નગર પાસેના શિપલી ગામે કાયમી ધોરણે વસવાટ કરતા થઈ ગયા હતા.
અને પછી તો અમારો હળવાનો સિલસિલો શરૂ પણ થઈ ગયો. ઘાંચી દંપતી આ મુલકે આવ્યાં હોય અને હું શિપલી એકાદબે દિવસનો સમય ગાળવા ગયો જ હોઉં ! બીજી પાસ, ગુજરાતને પ્રવાસે હોઉં તો દાઉદભાઈ કને પાંચ હાટડી, કલોલ જવાનું થાય. દાઉદભાઈએ પારાવાર સ્નેહ વહેવા દીધો છે. એમાં સતત વહેતો રહી પાવન પણ થયો છું. આવી ભીની ભીની લાગણીઓ મને મહેન્દ્રભાઈ મેઘાણી, દિવંગત રતિલાલભાઈ ચંદરિયા તેમ જ નટુભાઈ સી. પટેલે પણ થોકબંધ બંધાવી આપી છે.
વર્ષ 2005માં “ઓપિનિયન”ની દશવાર્ષિકીનો ઉત્સવ યોજાયો હતો. ચોમેરથી પત્રકારો, લેખકો, વિચારકો, વાચકો મેળે હીલોળા લેતા હતા. ટાંકણે ‘ગુજરાતી પત્રકારત્વ એટલે ખાળે દાટા અને દરવાજા ઉઘાડા’ નામે લોકઅદાલત ભરાઈ હતી. ‘ગુજરાતી પત્રકારત્વની ખબર પૂછવા અને ખબર લેવાના આ કામને અસ્મિતા પર્વ સિંહાસને બેસાડાયું હતું, તેમ જાણીતાં ગુજરાતી કવયિત્રી અને લેખિકા લતાબહેન હીરાણીએ નોંધ્યું છે. આ લોકઅદાલતના ન્યાયમૂર્તિપદે દાઉદભાઈ ઘાંચી જ બિરાજમાન હતા. કેફિયત ને રજૂઆત માટે હાજર હતા પાકિસ્તાનના એક અગ્રગણ્ય પત્રકાર-લેખક-કવિ હયદરઅલી જીવાણી, બ્રિટનના વિચારક ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી, અમેરિકાથી આવેલા હરનિશભાઈ જાની, બ્રિટનના મનસુખભાઈ શાહ અને પછી આવ્યો વારો ગુજરાતીના એક શિરમોર પત્રકાર પ્રકાશભાઈ ન. શાહનો. દાઉદભાઈ સમાપન કરતાં કરતાં કહેતા હતા: ‘તળ ગુજરાતથી અલગ રહીને પણ અહીં ગુજરાતી પત્રકારત્વ વિશે આટલી ચર્ચા થઈ. તળ ગુજરાતમાં પણ આવી ચર્ચા થાય એવું ઈચ્છીએ.’ દાઉદભાઈએ ઠોસપૂર્વક લોકઅદાલતને આટોપતાં કહ્યું હતું કે સાંસ્કૃતિક સ્તરે જ આપણે સંગમસ્થાન ઊભું કરી શકીએ, અન્યથા નહીં.
પછીના સપ્તાહઅંતે, 30 ઍપ્રિલથી બે દિવસ સારુ, ગુજરાતી સાહિત્ય અકાદમીની સાતમી ભાષા-સાહિત્ય પરિષદ મળતી હતી. નારાયણ હેમચંદ્ર નગરની સ્થાપના કરાઈ હતી. આ પરિષદમાં ત્રીજી બેઠકનો વિષય હતો: ‘ગુજરાતી ડાયસ્પોરા અને તળ ગુજરાત : ગુજરાતી ભાષાની આજ અને આવતી કાલ.’ મુખ્ય વક્તા તરીકે, અલબત્ત, દાઉદભાઈ ઘાંચી હતા. લતાબહેન હીરાણી નોંધે છે તેમ, દાઉદભાઈનો વાણીપ્રવાહ પછી સતત વહેતો રહ્યો. એમાં અનુભવોનો નિચોડ હતો, જગતભરની અનેક મુલાકાતોનું નિરીક્ષણ હતું, કેળવણીના આરોહઅવરોહની સમજણ હતી. વળી જીવંત કેળવણીકારનું સક્ષમ તારણ પણ વણાયું હતું. દાઉદભાઈ, અંતે તારવતા હતા કે ‘તમે જે ભાષાની ચિંતા કરી રહ્યા છો, એમાં જ એના બચાવની બાબત પણ દેખાઈ રહી છે.’
આ બન્ને અવસરના દરેક ભાષણ “ઓપિનિયન” સામયિકના સન 2005ના વિધવિધ અંકોમાં પ્રગટ થયેલા જ છે. દાઉદભાઈનું સમૂળગું પ્રવચન ઑક્ટોબર 2005ના અંકમાં તો લેવાયું જ છે. રસિકજનો તેમ જ સંશોધકો સારુ આ મુઠ્ઠી ઊંચેરાં ઓજારો નીવડ્યાં છે.
“ઓપિનિયન”માં અનિયમિતપણે પરંતુ એક ચોક્કસ ઘાટીએ દાઉદભાઈએ લેખો આપ્યા છે. વિચારપત્રના વિવિધ અંકોમાં આ તમામ પ્રગટ થયા છે. એમાંથી પસાર થતા થતા એક મુદ્દો સ્પષ્ટ તરી આવે છે : ભાષા પરનો એમનો બેમિશાલ કાબૂ, અને વળી કેટકેટલા અંગ્રેજી શબ્દોને ગુજરાતી સંસ્કરણ આપવું. દાઉદભાઈને ગુજરાતીમાં સરળતાએ વહેતા અનુભવ્યા છે તેમ અંગ્રેજીમાં ય વાચનક્ષમ, વિચારક્ષમ રહ્યા છે. એમનું વાચન વિશાળ છે અને સંસ્કૃત સમેતની એમની જાણકારી સતત અનુભવાયા કરી છે. કેળવણીના આ પ્રકાંડ માણસે શિક્ષણ, કેળવણીના વિવિધ પાસાંઓ ખોલી સમજાવ્યા છે, તેમ એમનાં લખાણોમાં અંગ્રેજી શબ્દાવલિઓની છૂટેદોર બિછાત જોવા મળે છે. આટલું ઓછું હોય તેમ આ અંગ્રેજી શબ્દોને, વળી, ગુજરાતીમાં શબ્દો રચી અવતાર્યા છે. આમ પરિણામે આપણા ગુજરાતીના વિધવિધ કોશો સમૃદ્ધ બનતા ગયા છે.
ગુજરાતી સાહિત્ય અકાદમીનો ત્રીસીનો અવસર તળ ગુજરાતે અમદાવાદમાં રંગેચંગે ઉજવવાનો અમે નિર્ણય કર્યો. એ 2009નું વરસ હતું. બે દિવસના આ અવસરના યજમાન દિવંગત રતિલાલભાઈ ચંદરિયા તેમ જ ‘ગુજરાતી લેક્સિકૉન’ હતાં. પહેલા દિવસે ગૂજરાત વિદ્યાપીઠના પ્રાંગણમાં અવસર થયો. વિષય હતો : ‘બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : દિશા અને દશા’. દાઉદભાઈનું વડપણ હતું. મકરન્દભાઈ મહેતા તથા શિરીનબહેન મહેતા સરીખાં ઇતિહાસકાર લેખકોએ બ્રિટનપ્રવાસને અંતે તૈયાર કરેલા અભ્યાસપુસ્તક – ‘બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : ઐતિહાસિક અને સાંપ્રત પ્રવાહો’નો લોકાર્પણ થવાનો હતો અને પુસ્તકે ઉઠાવેલા પ્રશ્નોને કેન્દ્રમાં રાખી જાહેર પરિસંવાદ પણ અવસરે યોજાયો હતો. લેખક દંપતી ઉપરાંત રઘુવીરભાઈ ચૌધરી, દિવંગત ઇલાબહેન પાઠક, કૃષ્ણકાન્તભાઈ વખારિયા, દિવંગત મંગુભાઈ પટેલ, સુદર્શનભાઈ આયંગાર પણ વક્તા તરીકે સામેલ હતાં.
દાઉદભાઈ ઘાંચીએ કોઈ મજબૂરીથી નહીં પણ ઈરાદાપૂર્વક ડાયસ્પોરાનો ભાગ બનવા આવી રહેલા યુવાનો વિશે વાત કરી, એમ ક્ષમા કટારિયાએ “નિરીક્ષક”ના 16 જાન્યુઆરી 2009ના અંકમાં નોંધ્યું છે. આ નોંધ અનુસાર, દાઉદભાઈએ વિશેષે કહ્યું, પહેલાં અર્થોપાર્જન માટે અને આફ્રિકામાંથી તો ઈદી અમીનનના ત્રાસના કારણે બ્રિટનમાં આવીને પોતાનો રસ્તો કાઢનારા ગુજરાતી ડાયસ્પોરાની એ પેઢી વિદાય લઈ રહી છે અને નવા જોમ, તરવરાટ અને ત્યાંની સંસ્કૃતિમાં ભળી જવાના ઉત્સાહ સાથે ઇમિગ્રેશન કરી રહેલા નવયુવાનોની પેઢી આવી રહી છે.
ગુજરાતના આવા આવા પ્રવાસ ટાંકણે ‘ગુજરાતી વિશ્વકોશ ટૃસ્ટ’માં જવાનો યોગ થતો. દાઉદભાઈ ઘાંચીના વરિષ્ટ સાથીદાર દિવંગત ધીરુભાઈ ઠાકરનું એ સંતાન. ધીરુભાઈ સાથેનો વરસો જૂનો એક નાતો. આવી બેઠકોમાં જવાનું થાય તે વેળા દાઉદભાઈ પણ બહુધા હાજર હોય. ધીરુભાઈ ઠાકર મોટે ગામતરે સિધાવ્યા તે પછી કુમારપાળભાઈ દેસાઈએ મને મળવા સાંભળવાનો એક જાહેર કાર્યક્રમ યોજેલો. બ્રિટનમાં ચાલતી ‘ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિઓ તથા માતૃભાષા સંવર્ધન’ વિશે રજૂઆત કરવાની હતી. બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમી તેમ જ “ઓપિનિયન”ની વિવિધ કામગીરીની મારે વાત કરવાની હતી. અને દાઉદભાઈ તેથી પૂરા માહિતગાર. એથી મને પોરસ ચડતો રહ્યો. 19 ડિસેમ્બર 2014ની એ વાત. દાઉદભાઈ એ સભાબેઠકના સભાપતિસ્થાને હતા. વળી આપણાં વરિષ્ટ સાહિત્કાર ધીરુબહેન પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. દાઉદભાઈને ઉમ્મર તેમ જ થાક બન્ને વર્તાતા હતા. અને તેમ છતાં હાજર હતા તેનું મને ગૌરવ હતું. તે દહાડે એમણે ય પોરસાવે તેવી વાતો કરીને બ્રિટનમાં થતાં આ કામોની વધામણી કરેલી.
“ઓપિનિયન” પુરસ્કૃત મનુભાઈ પંચોળી ‘દર્શક’ વ્યાખ્યાનમાળાનો મંગળ આદર કરવાનો હતો. ઑક્ટોબર 2016નો સમગાળો હતો. પહેલા વક્તા તરીકે ડૉ. ભીખુભાઈ પારેખની પસંદગી થઈ હતી. ગૂજરાત વિદ્યાપીઠનું સ્થળ હતું. અમને હતું કે સભાપતિપદે દાઉદભાઈ ઘાંચી જ હોય. અમે એમને અરજ કરી આગ્રહ કર્યો. વય, સ્વાસ્થ્યને કારણે અમારું આમંત્રણ એ સ્વીકારી શક્યા નહીં. પરંતુ દાઉદભાઈ સપત્ની અવસરે હાજર જરૂર રહ્યા હતા.
વચ્ચેના સમયગાળામાં, ફારૂકભાઈ ઘાંચીની દીકરીનું લગ્ન લેવાયું હતું. માતાપિતા તો સો ટકા હાજર, પણ દરેક ભાંડું પણ દેશપરદેશથી હાજરી આપવા શિપલી ઊલેટભર પધારેલાં. પંચમભાઈ શુક્લ જોડે પ્રસંગે જવાનું થયું હતું. પરિવાર સાથે, પરિવારના થઈને અમારે ય મહાલવાનું થયું હતું. તે દિવસે ય દાઉદભાઈએ અમારી જોડે આનંદે વાતચીત કરી અને વખત લઈને અમારાં કામોની લાગણીસભર પૂછતાછ કર્યા કરી.
સોમવાર, તારીખ 21 ઑગસ્ટ 2017ના દિવસે વેસ્ટ યોર્કશરના બાટલી મુકામે, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ અને ‘ગુજરાતી રાઇટર્સ ફૉરમ’, બાટલીના સંયુક્ત ઉપક્રમે શિક્ષણવિદ્દ ડૉ. દાઉદભાઈ ઘાંચી સન્માન સમારોહ અને અહમદ લુણત ‘ગુલ’ની આપવીતી ‘આલીપોરથી OBE’ના લોકાર્પણનો દ્વિવિધ કાર્યક્રમ યોજાયો હતો. સતત અઢી કલાક ચાલેલા આ બે સમારંભોમાં બહુશ્રુત વક્તાઓએ દાઉદભાઈના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં ઉજાગર કર્યાં તથા અહમદ ‘ગુલ’ના જીવનકાર્યનું બ્રિટિશ ગુજરાતી સમાજ સંદર્ભે મૂલ્યાંકન કર્યું.
આરમ્ભે, સમારંભના પ્રયોજન વિશે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે મેં જણાવ્યું હતું કે, અકાદમી ચાળીસ વર્ષ પૂરાં કરે છે તે નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. એમાં બ્રિટિશ ગુજરાતી સમાજની અસ્મિતાના જતનમાં જેમનું યોગદાન છે તેવી વિભૂતિઓનું બહુમાન કરવાનો પણ ઉપક્રમ છે. દાઉદભાઈએ ઠેઠ ગુજરાતમાં બેઠાં બેઠાં પણ બ્રિટનના ગુજરાતી સમાજની ગતિવિધિની ખેવના કરી છે. “ઓપિનિયન” સામયિકમાં પ્રગટ થયેલ એમનાં ચિંતનીય લખાણો આનું ઉદાહરણ છે. આપણા વસાહતી સમાજ પ્રત્યેની આ નિસબતની કદરરૂપે એમને આ શાલ અને સ્મૃતિલેખ સાદર કરીએ છીએ.
આ અવસરે અદમ ટંકારવી કહેતા હતા તેમ, ‘દાઉદભાઈ ધાંચીએ હમણાં જ આત્મદીપ્ત આવરદાનાં નેવું વર્ષ પૂરાં કર્યાં. વિદ્યાર્થી, શિક્ષક, વ્યાખ્યાતા, પ્રાદ્યાપક, આચાર્ય, ઉપકુલપતિ − આમ આખો જન્મારો શિક્ષણ સાથે સંકળાયેલા રહ્યા. શિક્ષણ એ જ એમનું જીવનકાર્ય. આ કાર્ય એમણે તપોનુષ્ઠાનના તાદાત્મ્યથી કર્યું તેથી એ તપસ્યા થઈ ગયું. દાઉદભાઈ નિષ્ઠા અને નિસબતનો પર્યાય. પોતાના શિષ્યો પ્રત્યેની નિસબત એવી કે એમના વિદ્યાર્થીઓને મન તો દાઉદસાહેબ ઋષિતુલ્ય.’
આ કવિમનીષી અદમભાઈએ તે દહાડે વ્યક્ત કરેલી લાગણીઓ ફેર દોહરાવી આપણે પણ મન મૂકીને કહીએ:
‘હાલમાં ખાનગીકરણ અને લાગવગશાહીને પગલે ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે જે અધોગતિ અને અવદશા જોઈએ છીએ ત્યારે તો દાઉદભાઈના જીવનકાર્યનું અને પુરુષાર્થનું મૂલ્ય વધુ તીવ્રતાથી સમજાય છે. હરાયા ઢોર ભુરાંટ થઈ વિદ્યાધામોને ભેલાડી રહ્યાં છે ત્યારે ડચકારો કરી કે ડફણું લઈ એમને તગેડનાર કોઈ શિક્ષકના જીવની રાહ જોવાય છે. શૈક્ષણિક કટોકટીની આ ઘડીએ હૃદયમાં એવી એષણા જાગે છે કે, આપણા દુર્ભાગી દેશને યુગેયુગે દાઉદભાઈઓ મળતા રહે − May his tribe increase.’
100 વર્ષનાં તંદુરસ્ત, રૂપાળાં રમાબા MA સુધી ભણેલાં છે! તેઓ સંગીત-વિશારદ છે! હર્મોનીઅમ, સિતાર, દિલરુબા, જળતરંગ જેવાં ૧૮ વાજિંત્રો વગાડી શકતાં તેમ કહે તો હેરત ના પામશો! સદાય મસ્તીમાં રહેતાં શતાયુ રમાબાની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
1922માં મુંબઈમાં જન્મ, ત્રણ વર્ષની બાળ-ઉંમરે માતા ગુમાવી અને ૧૪ વર્ષની કિશોર-વયે પિતા ગુમાવ્યા. માતા-પિતાની ગેરહાજરીમાં કાકા શ્રી જાદવજીભાઈ મોદી (સ્વતંત્રતા સેનાની અને સૌરાષ્ટ્ર રાજ્યના સ્પીકર તથા કેળવણી ખાતાના પ્રધાન)ને ઘેર, ભાવનગરમાં તેમનો ઉછેર થયો. કાકા-કાકીનો અપાર પ્રેમ મળ્યો. લગ્ન થયા ત્યાં સુધી તેમની સાથે રહ્યાં અને નિરંતર વિકાસ પામતાં રહ્યાં! કાકા-કાકીએ વિદ્યાલયમાં દાખલ કર્યાં. સંગીત શીખવા ઘેર વ્યવસ્થા કરી. મોતીબાગ અખાડામાં લાઠી, લેઝીમ અને વ્યાયામ પણ શીખ્યાં. જલતરંગ તો એવું સરસ વગાડતાં કે સાહિત્ય-સભામાં કે નાટકના પ્રયોગોમાં ખાસ તેમને જલતરંગ વગાડવા બોલાવતા. કર્વે કોલેજમાંથી MA કર્યું. તેમના આત્મવિશ્વાસ માટે અંગ્રેજી અને સંગીતનાં ટ્યુશન કરવાં દીધાં. ૧૯૪૪ના સમય માટે આટલી છૂટ ઘણી કહેવાય! કાકાના એક વિદ્યાર્થી સાથે લગ્ન થયા. કાકા-કાકીએ જ કન્યાદાન કર્યું. નવો દાગીનો કરાવ્યો, ખાદી મંગાવી આણું કર્યું. હર્ષઘેલાં કાકીએ જાતે રજાઈ બનાવી, મોતીનું તોરણ ગૂંથ્યું! કણ્વઋષિ પોતાની પુત્રી શકુન્તલાને વિદાય આપે તેવું વાતાવરણ હતું!
તેમને ચાર બાળકો (એક પુત્ર, ત્રણ પુત્રીઓ). ચારેય સરસ ભણ્યાં. એક M.Sc., બીજી ડોક્ટર, ત્રીજી આર્કીટેક્ટ અને દીકરો ટેક્સટાઈલ એન્જીનીયર. એક દીકરી અમદાવાદમાં છે બાકી બધાં અમેરિકા રહે છે. હવે તો ચોથી પેઢી છે. વર્ષે-દિવસે આવતાં રહે છે. ઘર ચોખ્ખું અને વ્યવસ્થિત રાખે, રંગ-રોગન દર બે-ત્રણ વર્ષે કરાવે જેથી બાળકો હોટલમાં જવાને બદલે ઘેર જ રહે!
નિવૃત્તિની પ્રવૃત્તિ :
ધડીયાળને કાંટે મારો દિવસ જાય. સવારે છ વાગ્યે ઊઠી પાણી ભરું. કમ્પાઉન્ડ વાળી આંગણું ચોખ્ખું રાખું. ઘરનું કામકાજ કરું. રસોઈ પણ જાતે જ કરું. નાહીધોઈને સેવા-પૂજા કરું. ગાર્ડનનો શોખ છે. બગીચામાં કંઈને કંઈક કામ કરતી રહું. શાકભાજી વાવતી. રીંગણ, તાંદળજો, પત્તરવેલિયા, ટામેટાં, સરગવો, જામફળ, પપૈયા, લીંબુ …. બધું ઘરે થાય!
શોખના વિષયો:
બગીચાનું કામ અને રસોઈ મારા પ્રિય વિષયો! હું રસોઈ સરસ બનાવું છું. બાળકો આવવાનાં હોય તે પહેલાં લાડવા, શીખંડ, પૂરણપોળીનું પૂરણ વગેરે બનાવી રાખું, નાસ્તા બનાવી રાખું. વાંચન-લેખન પણ કરું. મારે બે લેખ લખવા છે : બુફે-ડીનરમાં થતાં અનાજના બગાડ પર અને કોરોનાની બીમારી પર.
યાદગાર પ્રસંગ :
૨૦-૨૨ વર્ષ પહેલાં અતિવૃષ્ટિને કારણે ઘરમાં બે ફૂટ પાણી ભરાઈ ગયેલાં. હું ઘરમાં એકલી. પણ મને કોઈ ડર નહીં. ઉપરને માળે બેસી રહી. પાણી ઊતરતાં કોઈ મદદ આવે તે પહેલાં તો ઘર સાફ કરી નાખ્યું! વર્ષો પહેલાં અમે અમેરિકા ગયાં હતાં ત્યાં મારા પતિની તબિયત બગડી હતી. દીકરાના મિત્રના મિત્ર ડોક્ટર હસમુખભાઈએ નિસ્વાર્થ ભાવે ખૂબખૂબ મદદ કરી હતી તે અમેરિકાનો અનુભવ યાદ રહી ગયો છે.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?
કોઈ બીમારી નથી. કોઈ દવા નથી લેતાં. સાદું જીવન જીવે છે, પૂરતો પરિશ્રમ કરે છે. નિયમિત અને ચિંતા વગરનું જીવન એ જ દીર્ઘાયુનું રહસ્ય! ભગવાન રામ રાખે તેમ રહેવું એ ફિલોસોફી!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?
સો વર્ષની ઉંમરે નવી ટેકનોલોજી તો શું વાપરું? પણ આ ઉંમરે વોશિંગ-મશીન, ઘરઘંટી, ટીવી, ફોન વગેરેનો ઉપયોગ સહજતાથી કરી શકું છું. અમારા માટે તો આજ નવી ટેકનોલોજી!
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
પહેલાનો જમાનો ઘણો સારો હતો. નૈતિકતા અને ધાર્મિકતા હતી. આજે હવે જોખમ ઘણું વધી ગયું છે.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
હા, પુત્ર-પુત્રીઓ, પૌત્રો અને ચોથી પેઢીનાં બાળકો સાથે પણ “જય શ્રીકૃષ્ણ” કરવા ગમે છે! બાકી બીજાં યુવાનો સાથે પરિચય માર્યાદિત છે.
સંદેશો : કોઈ શિખામણ આપવી ગમતી નથી. કાકાએ મને લગ્ન-સમયે તે જમાનામાં બે સલાહ આપી હતી જે કદાચ આજે પણ યોગ્ય છે: ૧. પોતાના પતિનો ખાસ મિત્ર પણ એકલો મળવા આવે તો વિવેકથી ના કહી દેવી. ૨. શોખ ખાતર નોકરી કરવી નહીં. ભણતર એક હથિયાર છે. જરૂર પડે તેનો ઉપયોગ કરવો, પણ ઘરને ધર્મશાળા બનાવી, કુટુંબની વ્યક્તિઓને અસંતોષ આપી, ક્યારેય બહાર નોકરી કરવા જવું નહીં.
જ્યાં સાંજ સવારે ભક્તિવાદકના નિત વાગે નગારા, ગુજરાત છે અમરતધારા,ગુજરાતી સૌથી ન્યારા, જેના સંત,ફકીરો,ભગત,શુરાને વંદન વારંવારા, ગુજરાત છે અમરતધારા,ગુજરાતી સૌથી ન્યારા..
આ સાવજની ધરતી છે જેના હૈયા હિંમતવાળા, જ્યાં એકબીજાને ચાહે,ઝંખે કોઈના વિખે માળા, જ્યાં મહેમાનો માટે માથા દે દઉં એને ભલકારા, ગુજરાત છે અમરત ધારા,ગુજરાતી સૌથી ન્યારા..
આ ચંદ્રની ઉપર ભલે પહોંચતી વિશ્વની કોઈપણ જાતિ, પણ દુકાન કરશે ચંદ્રની ઉપર પહેલો આ ગુજરાતી, અમે દિલથી જીવીએ,દિલથી મરીએ,દિલ દઈ દઈ ફરનારા, ગુજરાત છે અમરત ધારા ગુજરતી સૌથી ન્યારા…
હવે ધરમ કોમના થાય ના ભડકા,બુરી નજરના લાગે, હવે આખી દુનિયા ઉજળી કરવા,સૌ ગુજરાતી જાગે, આ સાંઈરામ માંગે,નભમાં ચમકે ગુર્જરના સિતારા, ગુજરાત છે અમરત ધારા ગુજરાતી સૌથી ન્યારા….
ગાંધીધેલા ને ભૂદાન ચળવળના પ્રેમી એવા સરળ ભાવનાશીલ ચીમનભાઈ ભાવસારનું ઘર ગાંધીવિચાર આકર્ષિત વ્યક્તિઓનો અતિથિમેળો. આવા સત્ત્વશીલ વાતાવરણમાં લેબર ઑફિસર તરીકે કામ કરતા પિતા મધુભાઈ અને માતા ભાનુબેનને ત્યાં પુત્ર સંજયભાઈનો જન્મ થયો. ચાણસ્મા ગામના આ પનોતા પુત્ર મિકેનિકલ એન્જિનિયર થઈ જયારે સહાધ્યાયીઓ પરદેશ જઈ અર્થ સમૃદ્ધિ માટે વિચારતા હતા ત્યારે લક્ષ્મીપૂજાના બદલે ગ્રામલક્ષ્મીની પૂજાનો સંકલ્પ લઈ બેઠા . સત્ત્વશીલ વ્યક્તિઓનો સહવાસ અને વિમલાતાઈ , નારાયણ દેસાઈના સાંનિધ્યમાં યોજાતી શિબિરોનો પ્રભાવ સંજયભાઈમાં જોવા મળે છે. શુદ્ધ , સંવેદનાસભર , સત્ત્વશીલ સ્વપ્નાં સાકાર થયા વિના રહેતાં નથી એ ન્યાયે ‘ યત્ર વિશ્વ ભવતી એક નીડમ્ ‘ – સૂત્ર અનુસાર ચિત્તમાં વિશ્વગ્રામનાં સ્વપ્નાં આછાં આછાં આકાર ધારણ કરતાં હતાં તે જ અરસામાં સજીવ ખેતીના પ્રયોગો કરતાં ડૉ . ઇન્દુબહેન પટેલની કૉમર્સ ગ્રેજ્યુએટ પુત્રી તુલા સાથે આવા જ કોઈ કેમ્પમાં દોસ્તીનું બીજ વવાયું અને તુલા – સંજય એક થયાં.
કૉલેજના છેલ્લા વર્ષમાં રેફ્રિજરેશન અંગેના એક પ્રોજેક્ટમાં કામ કરતાં ખરું ભારત તો ગામડામાં વસે છે એ વિચારે ‘ વિશ્વગ્રામ’ના વિચારનો પાયો નાખ્યો . શરૂઆત સંઘર્ષભર્યા દિવસોથી થઈ , દૃઢ વિચાર મંથનથી નીપજેલા નીમઘેલછા નવનીત દ્વારા આ બેલડીને આવાં જ ઘેલાંનો સહવાસ સાંપડતો રહ્યો અને માંડ એક હજારની વસ્તી ધરાવતા વિજાપુર તાલુકાના પેઢામલી ગામમાં જઈ વસવાટ કર્યો .
પૈસાના બદલે પરસેવો પાડ્યો , ખનખનિયાના બદલે ખિલખિલ હાસ્ય વેરતા ચહેરાઓનું સાંનિધ્ય પ્રાપ્ત કર્યું. અનેક હૂંફાળાં હૃદયોના સાથમાં કામ આગળ ચાલ્યું. પેઢામલીથી મહેસાણા પાસેના જગુદણમાં અને પછી મહેસાણા – વિસનગર રોડ પર બાસણા(પીલુદરા) ગામે ‘ વિશ્વગ્રામ ” સ્થિર થવા પામ્યું . વિશ્વગ્રામ એટલે સ્નેહગ્રામ, વિશ્વગ્રામ એટલે યુવાગ્રામ, વિશ્વગ્રામ એટલે કિતાબગ્રામ, વિશ્વગ્રામ એટલે કરુણાગ્રામ, વિશ્વગ્રામ એટલે શાંતિગ્રામ. આમ આ બુંદબુંદોના મેળાવડાએ નાના – શા ઝરણારૂપે વહી સર્વધર્મ સમભાવ, કરુણા અને કલ્યાણભાવનું સિંચન કરતું રહી અનેક પીડિતોને આશ્વાસન આપતું રહ્યું.
જયાં જરૂર પડે ત્યાં દોડી જઈ શાંતભાવે બેસી જઈ કામ આરંભી દેવું એ ‘વિશ્વગ્રામ’ની ચેતનાનો ઘોષ છે. આવાં કામોમાં સરકારી ગ્રાન્ટ લેવી નહીં, ભ્રષ્ટાચારથી વેગળા રહી સમર્પિત વ્યક્તિઓનો સહકાર લઈ ચૂપચાપ કામ કરતા રહેવું એ મહામંત્રનું રટણ વિશ્વગ્રામ કરી રહ્યું છે. રેલવે સ્ટેશને ભીખ માગતાં કેટલાક બાળકો વિશ્વગ્રામમાં હૂંફ મેળવી રહ્યાં છે. કચ્છના ધરતીકંપની આપત્તિ હોય, સુનામીની તીવ્ર થપાટ હોય, કોમી આગની અગનઝાળ હોય, કાશ્મીરના ધરતીકંપની પીડા હોય કે હિમાલયનાં વર્ષા તાંડવો હોય, વિશ્વગ્રામની ચેતના સફાળી થઈ દોડી જ જાય. નરસિંહ મહેતાની હૂંડીની માફક સહધર્મીઓ, સ્વજનો , સહવાસીઓ અને સેવાભાવી સંસ્થાઓના સહકારથી વિશ્વગ્રામનો સેવારથ વણથંભ્યો દોડતો રહે છે અને સંવેદનાસભર થઈ ‘વિશ્વગ્રામ’ મિત્રો દોડી જઈ મદદરૂપ થવામાં જરાય ઢીલ કે સંકોચ અનુભવતા નથી.
સામાન્ય સંજોગોમાં વિવિધ પાસાં ધરાવતી અનેકવિધ શિબિરો યોજી, પુસ્તક પરબ યોજી યુવાજાગૃતિ અને લોકજાગૃતિનું કામ કરતી આ સંસ્થા સંપૂર્ણ લોકઆધારિત છે. વ્યક્તિ કે સંસ્થા પ્રામાણિક હોય એટલું પૂરતું નથી પણ પ્રામાણિક લાગવી જોઈએ એટલે હિસાબી ઓડિટ તો ખરું જ, સાથે સામાજિક , નૈતિક ચકાસણી યોગ્ય વ્યક્તિઓ દ્વારા થતી રહે છે. ‘વિશ્વગ્રામ’ સ્થળે શિબિર. આ બધું કરવા છતાં તુલા – સંજયનું નેતૃત્વ મોરપીંછ જેવું હલકું છે. દીકરી ગુલાલને આ દંપતી વિસરતાં નથી તે જીવન વિદ્યાપીઠમાં ઉછરી રહી છે. સંવેદનાસભર હૂંફ આપી ઉડવા પાંખ આપનાર દંપતી એ અનાથ બાળકોને જીવન જીવવાની આંખ પણ આપી છે.
તુલા – સંજયનો ખ્યાલ તેમના પછી સંસ્થાનું સુકાન ગુલાલને સોંપવાનો નથી પણ કોઈ આદર્શઘેલી યોગ્ય નેતૃત્વશક્તિ ધરાવતી વ્યક્તિ સંભાળે તેવો છે. નિશાળના ઓરડામાં પડેલી તિરાડમાંથી માંડીને ઓઝોન પડમાં પડેલાં ગાબડાં સુધીની ચિંતા કરતી આ બેલડી અને સંસ્થા અનેક સન્માનોથી વિભૂષિત થઈ છે. તેમજ
વાચકોના પ્રતિભાવ