પન્ના નાયક વિશે શ્રી સુરેશ દલાલનાં શબ્દો…
“મને પન્નાનાં કાવ્યોમાં સૌથી વિશેષ સ્પર્શે છે એની સરળ પ્રમાણિકતા.”
“પન્નાની કવિતા સોયની અણી જેટલા વ્યથાના બિંદુ પર ઊભી છે. આ વ્યથાનું મૂળ શોધવું મુશ્કેલ નથી. જે જીવન જીવવું પડે છે એનો થાક છે, બેચેની છે, અજંપો છે, વ્યગ્રતા છે, ક્યારેક તો થાકની વાત કરવાનો પણ થાક છે, તો ક્યારેક વાત ન કરી શકાઈ હોય એનો ‘કોરો તરફડાટ’ છે. આ બધાંની સામે જે જીવન જીવવું છે એને માટેની તાલાવેલી છે, ઝંખના છે.”
“પન્નાની કવિતા, જેમાં આખો સમાજ ઉઘાડો પડી જાય છે એવા ડ્રોઇંગરૂમની કવિતા છે, બેડરૂમની કવિતા છે. પન્ના પાસે છે કરાર ન વળે એવો એકરાર…”
“પન્નાની કવિતા એકાદ અપવાદને બાદ રાખીએ તો અંગત, વધુ પડતી અંગત કવિતા છે, મર્યાદા બની જાય એવી સિદ્ધિ છે.”
“પન્નાની વિશિષ્ટતા એ છે કે એ કોઈ પણ છોછ કે સંકોચ વિના જ કંઈ લખે છે તે પૂરેપૂરી નિખાલસતાથી અને પારદર્શકતાથી લખે છે.”
“પન્ના નાયકની કવિતાઓ વિષાદની કવિતા છે. વિષાદમાંથી જે શૂન્યતાનો અનુભવ થાય છે એનુ નીરૂપણ છે. પન્ના નાયકની કવિતા સંબંધની નહીં, સંબંધ-શૂન્યતાની કવિતા છે. ભરતી અને ઓટની, મૌન અને હોઠની કવિતા છે. આંતરિક શૂન્યતાની કવિતા છે.”
“પન્નાની કવિતા બાયૉલૉજિકલ છે, સાઇકૉલૉજિકલ છે. કવિતાને લૉજિકલ થવું પાલવે નહીં; પણ એ કોઈ સંજોગમાં મેટાફિઝિકલ નથી.”
“પન્નાની કવિતા કહો કે અંગત ડાયરી છે. એમ તો મીરાંની કવિતા પણ અંગત ડાયરી તરીકે ઓળખાય છે. પણ ભેદ ત્યાં છે, અને બહુ મોટો છે કે … પન્નાએ સ્ત્ય કહેવાનો પ્રયત્ન કર્યો છે, મીરાંએ સવાયું સત્ય ગાયું છે.”
“પન્નાનાં ગીતમાં આપણી પરંપરાના અણસારા-ભણકારા પણ છે અને આ બધાંની વચ્ચે ફૂટતો એનો પોતીકો અવાજ પણ છે. કાવ્યને તો કાવ્યની રીતે જ મલવવું જોઈએ. સ્ત્રી કે પુરુષે લખ્યું છે એવા ભેદ મિટાવીને. છતાંયે … [પન્નાનાં] કેટલાંક ગીતમાં નારીની સંવેદનાની જે વાસ્તવિકતા કલાત્મક રીતે પ્રગટી છે એ કદાચ આપણાં કવિતાસાહિત્યમાં જુદી તરી આવે એવી છે.”
પન્નાબેન નાયક પોતાના વિશે…
“મારી કવિતા ભલે ભીતરના ધખતા બપોરની કે વિષાદને લઈ આવતી તેજછાયાના મિશ્રણ જેવી સાંજની કે રાતના કણસતા અંધકારમાં નહીં ઓગળેલી દીવાલની હોય છતાં પણ મારી મોટા ભાગની કવિતા વહેલી સવારે જ ઊઘડી છે.”
“ગુજરાતી સાહિત્યની ભૂમિકા તો મારી પાસે હતી જ. પણ અહીં ફિલાડેલ્ફીઆમાં રહ્યાં રહ્યાં લાઇબ્રેરીમાં નોકરી કરતાં કરતાં, પુસ્તકો જેવા અનાક્રમક મિત્રોની વચ્ચે જીવતાં જીવતાં, અચાનક એક દિવસ અમેરિકન કવયિત્રી Anne Sextonનો કાવ્યસંગ્રહ ‘Love Poems’ (1967) મારી આંખે વસી ગયો. એનાં કાવ્યો હું વાંચતી જાઉં અને એ વાતાવરણમાં ડૂબતી જાઉં. જાણે કે મારા ખોવાઈ ગયેલા beingનો ક્યાંક એમાં તાળો મળતો હોય એવું અનુભવતી જાઉં. ટીવી પર પણ જો એનો કાર્યક્રમ હોય તો કદી ન ચૂકું. એક સ્ત્રી પોતા વિશે કોઈ પણ પ્રકારના નિષેધ વિના કેટલી હદે બેધડક બયાન કરી શકે છે એનો ખ્યાલ મને આવ્યો. એનાં કાવ્યોમાં ગર્ભાશયની વાતો, masturbation અને menstruationની વાતો એ છોછ કે સંકોચ વિના કરી શકે છે – દંભના પડદા ચીરીને. હું એ પણ સમજું છું કે આવી વાતો કરવાથી જ કવિતા નથી થતી. પણ અંદરનું કોઈ તત્વ આવી વાતોની અભિવ્યક્તિ માટે ધસમસતું આવતું હોય તો કેવળ સામાજિક ભયથી એનો ઢાંકપિછોડો કરવો એ કલાકારને ન છાજે એવી કાયરતા છે.”
* * *
પન્ના નાયક – મુખ્ય પ્રોફાઇલ
*
સૌજન્ય: “અબ તો બાત ફૈલ ગઈ’માંથી સાભાર…
Like this:
Like Loading...
Related
Pingback: પન્ના નાયક, Panna Naik « ગુજરાતી સારસ્વત પરિચય
I am very much impress when I read first time came in U.S.A.AND BECAME A FAN .
SHE IS A WONDERFUL and great and brave lady,she gave a lot of things by her
feeling in poetry,
I prey to god she live a long and healthy life.
Haru sapovadia
Pingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય