“મન વડે મોક્ષ રહ્યો તે માની, જોયે મન વડે બંધન જાણી;
નિરખ મને ઠેરાવે નામ, કરે મન વડે સબ હિ કામ.”
___
“પ્રતિબિંબ જ્યમ દર્પણમાં પેખો, દિલ ભીતર એમ આત્મા દેખો,
ચૈતન્ય બ્રહ્મ જ્યમ પાણી પર ચંદા, બોલનહારો જો આપ બંદા”
___
“સંતજનનો કરતાં સંગ, અજ્ઞાનપણું નવ ઉપજે અંગ,
સાધુપુરુષની સંગત સાર, તેણે મનવૃત્તિ હોયે એક તાર.”
___
નામ
કેવળપુરી બાવો
જન્મ
સંવત ૧૮૧૫
અવસાન
સંવત ૧૯૦૫
જીવનઝરમર
- તેમનો જન્મ એક રાજવંશી ભાયાતને ત્યાં થયો હતો. તેઓ મૂળ ઉદયપુરના વતની હતાં.
- તેમણે ઉમરેઠને પોતાની કર્મભૂમી બનાવી હતી. તેમણે સહુપ્રથમ અહીં આશ્રમની સ્થાપના કરી હતી.
- સંવત ૧૮૪૦માં ઇડરના ખોખાનાથના અખાડામાં શ્રી સેજાપુરીને ગુરૂ કર્યા અને પોતે ગોંસાઇ થયાં.
- ગુજરાતના વેદાંતી કવિઓમાં અનેક સમર્થ કવિઓની હરોળમાં આ કવિ સ્થાન ધરાવે છે.
- કેવળપુરીને સેજાપુરી ઉપરાંત સદાનંદ, વિદ્યાનંદ, પૂર્ણાનંદ નામના દંડિ સંન્યાસીઓનો સત્સંગ હોવાથી અદ્વૈત તત્ત્વજ્ઞાન અને યોગમાર્ગનું જ્ઞાન પણ પ્રાપ્ત થયું.
- અખાની કક્ષાનું વેદાંત જ્ઞાન, ધીરાના જેવા યોગમાર્ગના પદ, ભોજાના જેવા સંસારી જીવોને મારેલા ચાબખા તેમ જ આત્માનુભવના ઉલ્લાસનો સ્પષ્ટ રણકાર તેમનિ વાણીમાં તાદ્દશ થાય છે.
- બાલ્યાવસ્થામાં ભાટચારણોના પરિચયને કારણે તેમની ભાષા ચારણીને વધુ મળતી આવે છે.
- તેમની કવિતામાં ચારણી, મારવાડી તેમજ હિન્દી શબ્દો ઠેર ઠેર જોવા મળે છે.
- તેઓ ગરાસીઆવાડમાં રહેતા, પણ તેમનો ઘણો સમય મલાવ તલાવ (ઉમરેઠ) ઉપરના પૂર્ણેશ્વર મહાદેવમાં તંબૂરા પર ભજન કરવામાં જતો. તેઓ સુંદર કંઠે સરસ ભજનો ગાઇ શકતાં.
- અમદાવાદના ખાડીયા ખાતે, અંબાજી પાસે ચોટણ પાસે વગેરે અનેક જગ્યાએ તેમની ગાદી છે.
- બાપુસાહેબ ગાયકવાડે પણ તેમને ગુરૂ માનતાં. બાપુસાહેબનો રાજરોગ (ક્ષયરોગ) આ મહારાજે માત્ર ભભુતી આપીને મટાડ્યો હોવાની વાયકા છે.
- કવિ કાલીદાસની જેમ તેમને પણ કાલિકા માતા પ્રસન્ન હતાં.
- નેવું વર્ષની ઉંમરે ઉમરેઠના મૂળેશ્વર મહાદેવની જગ્યામાં તેમણે સમાધિ લીધેલ છે.
રચનાઓ
- બ્રહ્મવિચાર, બ્રહ્મધાતુ, ગુરુમહિમા, બત્રીસ અક્ષરનું અંગ, કક્કા, બત્રીસીની બારખડી, ચિંતામણી ૧-૨, તત્વસાર ખંડ ૧-૪, ચાર શરીરની રવેણી, આત્મબોધના પદો વગેરે
- તેમની નાની મોટી ૪૫ કૃતિઓ ‘કેવળપુરીકૃત કવિતા’ નામના ગ્રંથમાં પ્રસિદ્ધ થઇ છે.
સંદર્ભ
- ‘પ્રાચીન કવિઓ અને તેમની કાવ્યકૃતિઓ’ – સં. રમણિક દેસાઇ
- ‘અખો અને મધ્યકાલીન સંતપરંપરા’ – લે. ડૉ. યોગીન્દ્ર ત્રિપાઠી
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સંત | ગુજરાતી પ્રતિભા પરિચય