ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

^ જિપ્સીની ડાયરી–પુસ્તક પરિચય


નોંધ – 

જ્યાં જ્યાં    #     ચિહ્ન જુઓ ત્યાં ‘ક્લિક’ કરવાથી એને લગતા લેખ પર પહોંચી શકશો.

————————————-

      ગુજરાતમાં જન્મેલ એક જણ સૈનિક હોય તો તે બહુ નવાઈની વાત કહેવાય. અને એમાંય એ જણ સરસ ગુજરાતી સહિત્ય સર્જન કરી શકતો હોય; એ તો આકાશકુસુમવત જ ગણાય.

    શ્રી.- ભૂલ્યો, કેપ્ટન નરેન્દ્ર ફણસે ( ‘જિપ્સી’) એવી અદભૂત પ્રતિભા છે. ‘ફણસે’ અટક  વાંચીને તમે એમ કહેશો કે, એ શાના ગુજરાતી – એ તો મરાઠી.  પણ ના, નરેન્દ્રભાઈ મરાઠી છે તેના કરતાં ગુજરાતી વધારે છે.

સ્પીક બિન્દાસ પર એમનો ઈન્ટરવ્યુ   

     અરેરે! આપણે આ વાડા તોડતા ક્યારે થઈશું? વિશ્વ જ્યારે એક ગામડા જેવડું થઈ ગયું છે – અને વિશ્વ માનવ બનવાનો પડકાર આપણી સામે બારણાં ખખડાવતો ખડો છે; ત્યારે આપણે પહેલા  ભારતીય પણ નથી બનતા; એ આપણી સંસ્કૃતિની કરૂણતા છે.

     ખેર, અહીં વિશ્વમાનવી, અમેરિકન, બ્રિટીશ, ભારતીય, મરાઠી કે ગુજરાતી, શ્રી./ કેપ્ટન નરેન્દ્રનો પરિચય આપવાનો  આશય નથી. એમના ફોટાઓનો આ શો જોઈ સંતોષ માણો.

This slideshow requires JavaScript.

    ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ પર ગુજરાતી ભાષાના સાવ નવલા ઘરેણાં જેવા. કદાચ એક સૈનિક દ્વારા લખાયેલા એકમાત્ર,  એમના પહેલા મૌલિક પુસ્તક ‘ જિપ્સીની ડાયરી’ નો પરિચય કરાવવાનો આ નાચીજ઼ પ્રયત્ન છે.

    જો કે, એમનું આમ તો આ બીજું પુસ્તક છે.  #  પહેલા પુસ્તક ‘બાઈ’ – પોતાની માતાની મરાઠીમાં લખાયેલી આત્મકથાના અનુવાદ દ્વારા, ગુજરાત કેપ્ટનથી પરિચિત છે જ. એમણે આ બીજું પુસ્તક લખ્યું ન હોત, અને માત્ર એ અનુવાદથી જ અટકી ગયા હોત; તો પણ ગુજરાત સદૈવ એમનું ઋણી રહેત. આમ તો એ પુસ્તક વાંચવાથી જ મારો એમની સાથે સંબંધ બંધાયો. એ ઓળખાણ કરાવનાર, હ્યુસ્ટનના શ્રી. વિશ્વદીપ બારડનો તો હું સદૈવ ઋણી રહીશ – આવા અણમોલ હીરાનો ઝગમગાટ બતાવવા માટે.

બહુ પ્રસ્તાવના કરી !  હવે’ જિપ્સીની ડાયરી’ ની વાત…

    હજુ એ પુસ્તક મેં જોયું નથી; પણ એનો પરિચય આપવાની ધૃષ્ઠતા કરું છું – વાચકો આ માટે મને ક્ષમા કરે.

   પણ એ પુસ્તકનો ઠીક ઠીક ભાગ તેમણે તેમના બ્લોગ #   ‘ જિપ્સીની ડાયરી‘ પર પ્રકાશિત કરેલો છે. મને એ લેખો વાંચવાનું એટલું તો ઘેલું લાગેલું કે, એક સમયે એનો એક હપ્તો બહુ જ ગમી જતાં – #   મારા બ્લોગ ‘ગદ્યસૂર’ પર એનો અહેવાલ ( ‘આયો ગોરખાલી’ ) રજૂ કર્યો હતો.

    આજની તારીખ સુધી, મારી કોઈ પણ બીજી રચના કે રજૂઆત એ નાનકડા અહેવાલ જેટલા વાચકોને આકર્ષી શકી નથી!

    એ અહેવાલમાંથી એક અંશ –

    દુશ્મનના પ્રદેશમાં રાતના સમયે ગાડીઓએ જવું હોય તો અમારી ગાડીઓને વગર લાઇટે જવું જોઇએ. જરા જેટલી રોશની થાય તો દુશ્મનનો OP અમારી પોઝીશન તેના તોપખાનાને ખબર કરે અને ફરીથી અમારા પર બૉમ્બ વર્ષા શરૂ થાય. અમારા વાહનો ધીમે ધીમે જતા હતા ત્યારે એવું લાગ્યું જાણે સડક પર ચાલતી મારી જીપની નીચે રોડા પડ્યા હોય તેવું લાગ્યું. નીચા વળીને જોયું તો સડક પર જીપની નીચે અને તેની આજબાજુમાં પાકિસ્તાની સૈનિકોનાં મૃતદેહ પડ્યા હતા. કોઇકના લાડકવાયાભલે તે દુશ્મનના કેમ હોય, ત્યાં કાયમ માટે પોઢ્યા હતા. 

     આવો જ બીજો એક ભાગ વાંચીને પણ, માતૃભૂમિ માટે શહીદ થનાર જવામર્દોની જાનફેસાની તરફ અહોભાવની લાગણીથી છલકાઈ ગયો હતો. એનો એક બહુ જ ગમી ગયેલો અંશ-

અહીં આપણે કર્નલ એચ.સી. પાઠકના શબ્દોમાં વાત સાંભળીએ:
ગોળીઓના મારામાં જમીન પર પડતા મારા જવાનો કણસવાને બદલે કહેતા હતા, સાઢી, પરવા કરના, કર્નૈલ સાબ. બસ, ઇન્હાંનૂં છડના નહિ.‘ (અમારી પરવા ના કરશો, કર્નલ સાહેબ. બસ, લોકોને છોડતા નહિ!) કેટલીક વાર તો મારી સામે ઢળી પડેલા જવાન પરથી કૂદીને આગળ વધવાનું હતું. મારા સુબેદાર મેજરને ગોળી વાગી અને જમીન પર પડતાં પહેલાં તેમણે મને કહ્યું, ‘સાબજી, ઓબ્જેક્ટીવ ગયા. મેરી પરવા મત કરના.’ એવો સમય હતો કે જખમી થયેલા સૈનિકોને સહાનુભૂતિના બે શબ્દ કહેવા પણ રોકાઇ શકાય તેવું નહોતું. ગોળીઓના વરસાદમાં અમારે કેવળ ત્વરીત રીતે લક્ષ્ય પર પહોંચી દુશ્મનને ખતમ કરવાનો હતો. અંતે અમે દસ ફીટ ઉંચા બંધ પર પહોંચી ગયા. બેયૉનેટ લગાવેલી રાઇફલ વડે દુશ્મન સાથે હાથોહાથની લડાઇ થઇ. સિખ સૈનિકોના ઝનૂન સામે દુશ્મનને તેમનું સ્થાન છોડવું પડ્યું. ફતેહપુર સર થયું. મારા લગભગ ૩૨૫ જવાનો અને અફસરો ઘાયલ થયા. કેટલાય જવાનો શહીદ થયા.

    ગુજરાતમાં ‘ બાઈ’ જેવી માતા અને સંગીત પ્રેમી  પિતાના  સુપુત્ર તરીકે મધ્યમ વર્ગમાં અને પિતાના મૃત્યુ બાદ સગાં વહાલાંઓના અશ્રિત તરીકે ઉછરેલા નરેન્દ્ર ભાઈની, ભારતીય લશ્કરમાં જોડાયા પછીની, વિવિધ મોરચે લડાઈમાં, દેશની સીમાના રક્ષણનું કરવાની ભૂમિકામાં અને થોડાક ભાગમાં આંતરિક સુરક્ષાના કામમાં સહયોગ આપવાના અનુભવોનો આ પુસ્તકમાં ચિતાર છે.

     પણ એ લશ્કરી રિપોર્ટ જેવો શુષ્ક નથી. એમાં નરેન્દ્રભાઈની ગુજરાતી લેખન માટે ઘડાયેલી કલમનો અહેસાસ સતત વાચકને થતો રહે છે. લશ્કરી દિમાગના આ જણની પોલાદી છાતીમાં એક શાંતિપ્રિય, સંસ્કારી, કલારસિક અને – મારી ભૂલ ન થતી હોય તો – એક આધ્યાત્મિક યાત્રાના પ્રવાસીનું ધડકતું હૈયું છલકાતું આપણે સતત અનુભવતા રહીએ છીએ.

     ડાયરીમાં બે ગુજરાતી સેનાપતિઓ  જનરલ માણેકશા અને કર્નલ એચ.સીપાઠક  નો  સંક્ષિપ્ત પરિચય, એક ગુજરાતી તરીકે આપણને પોરસાવે છે.

    હું વિવેચક નથી અને  મારી પાસે આનાથી  વિશેષ લખવાની કાબેલિયત નથી; એટલે અહીંથી અટકું છું – માત્ર બે બાબતની નોંધ વાચક જરૂર લે, તેવી અભિપ્સા સાથે

  • જે  ભારતીયે એક સૈનિકની દેશદાઝ અને કુરબાનીને સમજવી હોય; એનો આદર કરવો હોય – તે  આ પુસ્તક જરૂર વાંચે.
  • વાચક એ નોંધી લે કે. અમેરિકા આવ્યા બાદ આ જણમાં  જાગેલા કવિતારસનું   ‘જિપ્સીની ડાયરી’ એ યુદ્ધકથાઓના વાંચનરસમાં  રૂપાંતર કર્યું છે !

પુસ્તકની વિગતો  –

મુખપૃષ્ઠ

પાછલું કવર

પ્રકાશક 

  • ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય

પ્રસ્તાવના 

  • મેજર જનરલ પિયુષ ભટ્ટ

25 responses to “^ જિપ્સીની ડાયરી–પુસ્તક પરિચય

  1. DR. CHANDRAVADAN MISTRY માર્ચ 1, 2012 પર 5:58 પી એમ(pm)

    Narenbhai’s 2nd Book..after his 1st “Bai”…I am so HAPPY to know this.
    Before my India trip, Narenbhai personally expressed his desire to publish “Gypsie’s Diary” as a Book..Just this mention was enough to “thrill” me..Now, knowing it actually as a Book, I am filled with Joy ….Congratulations !
    I will wait to have this Book in my hand & will be only fully satisfied when I will read that.
    I wish Narenbhai think about another “venture”too !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Sureshbhai,it is nice of you to inform all about this book.I know for the fact you had enjoyed reading the Published Posts on the Blog “Gypsie’s Diary”..I had enjoyed reading thos Posts.

  2. ગાંડાભાઈ વલ્લભ માર્ચ 1, 2012 પર 5:59 પી એમ(pm)

    સુંદર પુસ્તકનો પરીચય કરાવવા બદલ હાર્દીક આભાર સુરેશભાઈ.

  3. Vinod Patel માર્ચ 1, 2012 પર 7:20 પી એમ(pm)

    સુરેશભાઈ,

    તમોએ કેપ્ટન નરેન્દ્રભાઈના બે પુસ્તકો-બાઈ અને જીપ્સીની ડાયરી -નો

    કરાવેલ પરિચય કાબિલે તારીફ છે.શ્રી નરેન્દ્રભાઈની તમોએ બિન્દાસ ઉપર લીધેલી

    મુલાકાત અને એમના બ્લોગના લેખો જોઇ ગયો.ગુજરાતી ભાષા ઉપર એમની ગજબની

    પકડ છે.તમોએ એમના પુસ્તકો દ્વારા ખરેખર તો એમનો સુંદર પરિચય કરાવીને તમારો

    મિત્રધર્મ સાચવ્યો છે.એમના માતુશ્રી- બાઈની આત્મકથાનું વિવેચન વાંચી ભારતીય

    અબળાઓની અંદરની શક્તિઓનો અંદાજ આવે છે.કોઈ હિન્દી કવીએ સાચું જ કહ્યું છે કે –

    એ અબલા તેરી યેહી હૈ કહાની,

    આંચલમેં હૈ દૂધ ઔર આંખોમેં પાની !

    તમે પણ બાઈ પુસ્તકના પરિચયમાં કહ્યું છે એમ-

    જેની તકદીર હો ધગધગતા જહન્નમ જેવી,
    એ ભલા ક્યાંથી નીચોવી શકે ગુલજારોને?

  4. kanakravel માર્ચ 1, 2012 પર 7:47 પી એમ(pm)

    સુરેશભાઈ:

    યોગ્ય સમિક્ષા કરી છે.

  5. અક્ષયપાત્ર/Axaypatra માર્ચ 1, 2012 પર 8:55 પી એમ(pm)

    પરિચય માટે આપનો ખુબ ખુબ આભાર અને કેપ્ટનને સલામ ! માતૃભૂમિની રક્ષા કાજે લડનારા સૌના આપણે ઋણી છીએ. એમની વાતો વાંચવી જરૂર ગમશે.

  6. Chirag માર્ચ 1, 2012 પર 8:58 પી એમ(pm)

    કેપ્ટનને કોટી સલામ! આ બધી ઘટનાઓ વાચતી વખતે અલગ જ રોમાંચ થયો હતો.

  7. Nitin Vyas માર્ચ 1, 2012 પર 10:55 પી એમ(pm)

    It is nice to see pages from “GYPSY’s DIARY”. Thank you, your website and of-course Captain Narendrabahi.

  8. pragnaju માર્ચ 2, 2012 પર 1:11 એ એમ (am)

    આ પુસ્તકોના લેખો પહેલા પણ માણેલા.

    તેમાના થોડા ફરી માણી આનંદ થયો.

    આપણાં નો પરિચય ફરી માણી વધુ આનંદ થયો.

    કેટલીય નવિનતા જાણવા મળી!કેટલાય લેખોમા એક કસક અનુભવાય

    અને

    સહજ રીતે સલામ કરવા હાથ ઉંચો થાય…………..

  9. readsetu માર્ચ 2, 2012 પર 1:22 એ એમ (am)

    આટલું વાંચીનેય આફરીન…. મેં આ પુસ્તક વિશે સાંભળ્યું છે, વાંચ્યુ નથી.. હવે વહેલી તકે લઇને વાંચીશ…
    લતા

  10. Atul Jani (Agantuk) માર્ચ 2, 2012 પર 2:07 એ એમ (am)

    કેપ્ટન સાહેબને વાંચવા તે એક લ્હાવો છે.

    આ વાત એક ભાવનગરીની છે તેથી વિશેષ આનંદ થાય છે.

  11. PH Bharadia માર્ચ 2, 2012 પર 7:53 એ એમ (am)

    શ્રી નરેન્દ્ર ભાઈ,
    આપને આ બે લીટી લખીને એટલુંજ કહેવાનું કે આપે જે ઉપનામ ‘જિપ્સી’ રાખ્યું છે
    તે નામ તો આપણાં સદગત શ્રી કિશનસિંહ ચાવડાનું ઉપનામ છે જેઓ
    શ્રી ઉમાશંકર જોશીના ‘સંસ્કૃતિ’ માસિકમાં ‘જિપ્સીની આંખે’માં નિયમિત ‘કોલમ’
    લખતા,જેનું પુસ્તક પણ છે.આપને લાગે છે આ ઉચિત છે? અરે હજુ સુધી કોઈએ
    આ વિષે કોઈ ઈશારો કે અણસારો પણ કેમ નથી કર્યો તેજ નવાઈ પામવા જેવું છે!!
    ઉત્તર આપશોતો આભાર.
    લી.પ્રભુલાલ ભારદિઆ
    ક્રોયડન,લંડન

    • સુરેશ જાની માર્ચ 2, 2012 પર 4:12 પી એમ(pm)

      શ્રી. પ્રભુલાલ ભાઈ
      તમારા આ પ્રતિભાવ માટે ખૂબ ખૂબ આભાર .મને અંગત રીતે ‘ વાહ – વાહ’ કરતા પ્રતિભાવો કરતાં આવી અભ્યાસી ટિપ્પણીઓ વિશેષ ગમે છે. ભવિષ્યમાં પણ આમ મન મૂકીને વરસતા રહેજો.
      ————–
      આ વાંચીને મને પણ ઉત્કંઠા થઈ અને કેપ્ટનનું આ માટે ધ્યાન દોર્યું . એમનો ફટ કરતાંકને જવાબ પણ આવી ગયો. એ સજ્જન લશ્કરીએ સૌજન્ય દાખવી ઈમેલ દ્વારા અંગત જવાબ આપી દીધો.
      પણ મને લાગે છે કે,મ એ અતિ સુંદર જવાબ જનહિતાર્થે અહીં રજુ કરવો જ રહ્યો.
      લો એ જવાબ ….
      ————–

      પ્રિય સુરેશભાઇ તથા શ્રી ભારદિયા,

      આપનો પ્રશ્ન વ્યાજબી છે. સ્વ. શ્રી કિશનસિંહ ચાવડા મારા પણ પ્રિય લેખક હતા. કૅપ્ટન નરેન્દ્રના પુસ્તકનું આખું નામ છે “જિપ્સીની ડાયરી: એક સૈનિકની નોંધપોથી”. અા પુસ્તકમાં તેણે જિપ્સી એ proper noun નહિ, પણ common noun (સામાન્ય નામ) તરીકે વાપર્યું છે.
      જિપ્સી એટલે કોણ એ તો આપ જેવા વિદ્વાનોને કહેવાની જરૂર નથી. તેમ છતાં આપ ઇન્ટરનેટ પર Gypsy શબ્દ ટાઇપ કરશો તો તેની સામાન્ય વ્યાખ્યાઓ મળી આવશે. આ સમસ્ત કોમના લોકો, જે મૂળ ભારતનાં વતની હતા, મહારાણા પ્રતાપના સૈનિકો હતા. ક્યા સંજોગોમાં તેમણે દેશ છોડ્યો, કેવી મુશ્કેલીઓ તથા ઉપેક્ષાઓ સહન કરી, અને ધારવા છતાં પણ તેઓ કોઇ એક દેશમાં તેઓ કાયમ માટે વસી નથી શક્યા. જ્યાં રહ્યા તે સમાજથી દૂર, એકાકિ રહીને જીવન જીવી રહ્યા છે. આ બધી વાતોનો ઊંડો અભ્યાસ કરનાર એક ખાનાબદોશ સૈનિકે પોતાને પંજાબના સિમાવર્તી ક્ષેત્રમાં જિપ્સીના સિગરામ જેવા જૂના મિલિટરી ટ્રકમાં એક ચારપાઇ, એક કૅમ્પ ચૅર, કૅમ્પ ટેબલ, ફાનસ (જે સળગાવવાનો અનેક વાર મોકો ન મળ્યો, કારણ કે પ્રકાશ જોઇને દુશ્મનનો સ્નાઇપર તેનો પ્રાણ લઇ શકે) અને દાલ-રોટી-સબ્જી (૧૯૬૫ના યુદ્ધના દિવસોમાં પાંચ દિવસ સુધી તે પણ નહોતું મળ્યું) પર જીવનાર માણસે પોતાને નવી દૃષ્ટિથી જોયો, એક જિપ્સી તરીકે. તેણે લખવા લીધેલ નોંધપોથીને તેણે એક સામાન્યનામ ધરાવતી સામાન્ય જાતિની એક ગુમનામ વ્યક્તિ તરિકે ‘જિપ્સીની ડાયરી’ કહી, અને તેનું કારણ પણ લખ્યું. તે વખતે સ્વ. કિશનસિંહ ચાવડાએ ‘અમાસના તારા’માં ‘જિપ્સીની આંખે’ નામથી લખ્યું હતું અને એક સૈનિક પોતાને એક એવા જ રઝળતા જણ તરીકે જોશે તેનો કે સ્વ. કિશનસિંહજી પ્રત્યે અવમાન થશે એવો વિચાર પણ નહોતો આવ્યો.

      કૅપ્ટન નરેન્દ્રનો પહેલો લેખ ‘જિપ્સીની ડાયરીમાંથી’ના શિર્ષક હેઠળ અંખડ આનંદમાં મારી યાદદાસ્ત મુજબ ૧૯૯૦ કે તેની આસપાસ પ્રસિદ્ધ થયો હતો. તે સમયે તેના સંપાદક હતા આપણા સાહિત્ય જગતના જાણીતા વિવેચક આચાર્યશ્રી દિલાવરસિંહજી જાડેજા. તેમણે લેખકના ઉદ્દેશને સમજ્યો અને ‘જિપ્સી’ નામમાં સ્વ. કિશનસિંહ ચાવડા પ્રત્યે લેખકની શ્રદ્ધાભાવનનાને જોઇ હતી. ‘જિપ્સીની ડાયરી’, લેખક કૅપ્ટન નરેન્દ્રના નામે ઘણા લેખ પ્રસિદ્ધ થયા હતા. લેખક તરીકે કેવળ કૅપ્ટન નરેન્દ્ર – જેને તેના વતન ભારત, લોક પ્રદેશ ગુજરાત છોડો, પણ તેના શહેર ભાવનગર, અમદાવાદની નાનકડી વસ્તીમાં પણ કોઇ જાણતું કે ઓળખતું નહોતું અને હજી ઓળખતું નથી. ‘અખંડ આનંદ’ (અને ‘કુમાર’) મારી દૃષ્ટીએ ગુજરાતનું સર્વાધિક લોકપ્રિય માસિક છે. શ્રી. ગુણવંત શાહ, કુલીનચંદ્ર યાજ્ઞીક, ચંદ્રકાન્ત શાહ વ. જેવા મહાન લેખકોના લેખ કૅપ્ટન નરેન્દ્રની ‘જિપ્સીની ડાયરી’ સાથે સાથે પ્રસિદ્ધ થયા હતા. તેમના સમેત હજારો વાચકોએ તે વાંચી. કેટલાક વાચકોએ સારા પ્રતિભાવ આપ્યા પણ ‘જિપ્સીની ડાયરી’ના શિર્ષક પ્રત્યે તેમને લેખકનો ઉદ્દેશ સમજાયો હતો તેથી કોઇએ તેનો વિરોધ કર્યો નથી. અને ઠેઠ ત્યારથી અત્યાર સુધી – વીસ વર્ષનાં વહાણાં વાયા અને શ્રી. સુરેશભાઇએ લેખકનું પૂરૂં નામ લખ્યું ત્યાં સુધી કોઇને તે કોણ છે, ક્યાંનો રહેવાસી છે, તેનાં મૂળ ક્યાં છે, તેનાં માાપિતા વિશે કે તેના જીવનના અંગત એવા કોઇ પાસાની કોઇને માહિતી નહોતી. આ જ તેનું ‘જિપ્સી’ હોવાનું અસ્તીત્વ હતું. એક અનામી વણઝારો, જેનું કોઇ કાયમી સ્થાન નથી. રોમાની જિપ્સીની જેમ ક્યારેક તો ભારત જઇ શકાશે એવી ઝંખના સાથે તે જીવતો આવ્યો છે અને જીવે છે. હાલના સંજોગો જોતાં હવે તો ભારત સરકાર પણ મૂળ જિપ્સીઓને વિઝા વગર દેશમાં પ્રવેશવા નહી દે! માફ કરશો, ઉપર ‘અનામી’ સામાન્ય નામ તરીકે વાપર્યું છે – શ્રી. રણજીતભાઇ શાસ્ત્રીના ઉપનામનો ઉપયોગ કરવા સારૂ નહિ!

      આપને આ પુસ્તક વાંચવાની વિનંતી નહિ કરૂં, કારણ કે આપને કદાચ એવું લાગશે આ જણ તેના પુસ્તકની જાહેરાત કરી રહ્યો છે. જો કે તેમાં તેમને લેખકને જિપ્સી જેવા રઝળતા વણઝારા હોવાનું કારણ મળશે, અને કદાચ આપના કેપ્ટનના આ નામના ઉપયોગને કારણે થયેલ પહોંચેલા દુ:ખનું કે ક્રોધનું નિવારણ મળી શકે તેવી શક્યતા છે.

      અને સુરેશભાઇ, અાપને શ્રી ભરાડિયાની વાત સાચી લાગી. કદાચ કેપ્ટને આપેલ ખુલાસો પણ સાચો લાગે. આમ સત્ય શું છે તે ઘણી વાર આત્મલક્ષી વિચાર (subjective thinking) હોય છે. યુરોપના અંધકારયુગમાં પૃથ્વી સપાટ છે તે યુરોપના લોકો અને ધર્મગુરૂઓ માટે સત્ય હતું. તે ગોળ છે, અને સૂર્ય પૃથ્વીની પ્રદક્ષીણા નહિ, પણ પૃથ્વી જ સૂર્યની પ્રદક્ષીણા કરે છે તેવું કહેનાર વૈજ્ઞાનીકોને પોપના હુકમથી જીવતા બાળ્યા હતા, ગેલિલિયોને જાહેરમાં માફી માગવી પડી હતી. કોપરનીકસને…. જવા દો. આવા અનેક દાખલાઓ મળશે. અનેક પુરાવાઓ બાદ પૃથ્વી ગોળ છે તે સત્ય તરીકે મંજુર થયું. આવી અનેક વાતો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઇ વાતને સાચી માની લેવી હોય તો પહેલાં તેના વિવિધ પાસાઓને જોઇ, તપાસી, તેના પૂરાવાઓનો અભ્યાસ કરવો જરૂરી હોય છે. ખાસ કરીને વૈજ્ઞાનીક દૃષ્ટીબિંદુ અને અભ્યાસ ધરાવનાર સજ્જનોએ તો ખાસ!

      છેલ્લે એટલું જ કહીશ: ‘જિપ્સીની ડાયરી’ના લેખકનું નામ ન લખ્યું હોત તો વાચકોને ભ્રમ થઇ શકે છે કે આ સ્વ. કિશનસિંહ ચાવડાની અપ્રકાશિત કૃતિ છે, અને તેમનું નામ વટાવી ખાવા ખાતર કોઇ કૅપ્ટન નરેન્દ્રએ પ્રયત્ન કર્યો છે.

      આશા છે આપને થયેલ ગેરસમજુતી દૂર થશે.

    • સુરેશ જાની માર્ચ 2, 2012 પર 4:15 પી એમ(pm)

      અને ફટ કરતાંકને જિજ્ઞાસુ પ્રભુ પણ મારી જેમ ખુશ ખુશ થઈ ગયા.
      ————-
      એમનો વળતો પ્રતિભાવ / અહોભાવ …

      કેપ્ટન શ્રી નરેન્દ્ર ફણસે ,
      આપના જવાબ બદલ આભાર,આપે વિગતવાર ખુલાસો કરી દીધો તે આપની પ્રમાણિકતા અને શિષ્ટાચાર મને શિરોમાન્ય છે.
      હું કોઈ તમારી જેમ ‘પ્રોફેશનલ’ કે વિદ્વાન માણસ નથી,હું તો સામાન્ય વાંચક અને અભ્યાસુ આદમી છું.
      શ્રી સુરેશ જાનીતો એક કસાયેલ કલમદાર વ્યક્તિ છે અને પોતાનો ‘બ્લોગ’ પણ ચલાવે છે.
      મારા જેવાએ જે થોડું ઘણું વાંચન કર્યું હોય અને જયારે પૂરી વિગતો તુર્તજ ના મળે ત્યારે આપની વાત સાચી પડે છે,તમે લખ્યું કે ” કહેવાનું તાત્પર્ય એ છે કે કોઇ વાતને સાચી માની લેવી હોય તો પહેલાં તેના વિવિધ પાસાઓને જોઇ, તપાસી, તેના પૂરાવાઓનો અભ્યાસ કરવો જરૂરી હોય છે. ખાસ કરીને વૈજ્ઞાનીક દૃષ્ટીબિંદુ અને અભ્યાસ ધરાવનાર સજ્જનોએ તો ખાસ! ” જોકે અમુક સંજોગોમાં સાચી માહિતી એક્ઠી કરવી મુશ્કેલ પણ હોય છે,
      આપની નિખાલસતાને ખરાદિલથી બિરદાવું છું.
      ફરી એક નોંધ તમે અને શ્રી સુરેશ જાની લેશો કે કોઈ જ ‘ માછલાં ધોવાનો’ ઈરાદો આપને બે લીટીઓ લખવામાં ના હતો.
      મારી અટકનું નામ આ મુજબ છે ‘ભારદિઆ’ નહીંકે ‘ભરાડિયા’ અથવા ‘ભારડિયા’ જેની પણ આપ બંને નોંધ લેશો.
      આભાર આપને અને શ્રી સુરેશ જાનીને વાંચતો રહીશ,તેમનો ‘બ્લોગ’ મઝા પડે તેવા છે.
      લી.પ્રભુલાલ ભારદિઆ
      ક્રોયડન, લંડન.

  12. DIPAK DHOLAKIA માર્ચ 2, 2012 પર 2:10 પી એમ(pm)

    શશ્રી નરેન્દ્રભાઈના બ્લૉગની મુલાકાત લીધી છે અને ત્યં એક તાજાગી અનુભવી છે. જુદો જ અવાજ, જુદી જ છટા. એમના પુસ્તકનો પરિચય કરાવવા બદલ આભાર.

  13. Capt. Narendra માર્ચ 3, 2012 પર 6:58 એ એમ (am)

    સુરેશભાઇએ સ્નેહપૂર્વક એક અનામી સૈનિકના નમ્ર પ્રયાસને આપની સમક્ષ રજુ કર્યો તે માટે તેમનો ઋણી છું. તેમના જેવી જ ઋજુતાથી આપે આપના સુંદર પ્રતિભાવ આપ્યા તે માટે આપ સહુનો હૃદયપૂર્વક આભાર માનું છું.

  14. Pingback: » ^ જિપ્સીની ડાયરી–પુસ્તક પરિચય » GujaratiLinks.com

  15. Harnish Jani માર્ચ 8, 2012 પર 6:46 એ એમ (am)

    કેપ્ટન સાહેબ તો મારા સ્વજન છે.આ એક એવી હસ્તી છે કે જેને મેં જોઈ નથી અને તેને સ્વજન કહું છું.અમે એક બીજાના લખાણના ચાહક છીએ. તેમાંથી દોસ્તી જામી.
    ંજિપ્સીની ડાયરી છપાય તો પહેલી કોપી હું ખરીદીશ.
    સુરેશભાઈ જેવા ગુરુનો આભાર કે જેમણે કેપ્ટનનો પરિચય કરાવ્યો..
    ગુડ લક કેપ્ટન સાહેબ.

  16. nilam doshi એપ્રિલ 6, 2012 પર 8:52 પી એમ(pm)

    i have read this and yes..salam..congratulations.. .eક્ષ્cellent..no words….
    and dada you also deserve salam for all this..

    i will write in detail to Narendrabhai..

  17. સુરેશ ઓગસ્ટ 19, 2012 પર 9:36 એ એમ (am)

    વલીભાઈ મુસાનો આભાર … ગુજરાત સમાચારમાં આ રિવ્યુ ઈમેલથી મોકલવા માટે..
    —————
    Gujarat Samachar : World’s Leading Gujarati Newspaper, Gujarati News,Gujarat News,News from Ahmedabad,Baroda,Bhuj,Bhavnagar,Rajkot,Surat

    સ્થળઃ જમ્મુ-કાશ્મીરની આંતરરાષ્ટ્રિય સરહદે, પાકિસ્તાનની હદમાં આવેલું મસ્તપુર ગામ.
    સમયઃ ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૯૬૫નું યુદ્ધ શરૂ થયા પછીનો.
    ભારતીય લશ્કરી ટુકડીઓ સરહદનું છેલ્લું ગામ રામગઢ વટાવીને પાકિસ્તાનની હદમાં પહોંચી ગઇ હતી. ભારતીય ટુકડીઓ માંડ પાંચેક કિલોમીટર અંદર ગઇ, ત્યાં પાકિસ્તાની હવાઇ દળનાં અમેરિકન બનાવટનાં સેબરજેટ વિમાન આસમાનમાં ડોકાયાં. તેમણે ભારતીય લશ્કરની આગેકૂચ રોકવા નેપામ બોમ્બ, રોકેટ અને મશીનગનનો મારો કર્યો. આ હુમલામાં ભારતના પક્ષે થોડી ખુવારી થઇ, પરંતુ જોતજોતાંમાં પઠાણકોટના આદમપુર હવાઇમથકેથી ઉડેલાં ભારતીય વાયુસેનાનાં નૅટ વિમાનો આવી પહોંચ્યાં.
    બન્ને વિમાનટુકડીઓ વચ્ચે હવામાં જ ‘ડોગફાઇટ’ તરીકે ઓળખાતા પકડદાવના દાવપેચ ખેલાયા. તેમાં બે પાકિસ્તાની સેબરજેટને ભારતીય હવાઇદળે તોડી પાડ્યાં અને ભારતીય ટુકડીઓનો આગળ વધવાનો માર્ગ મોકળો થયો. મસ્તપુરમાં પાકિસ્તાની મોરચાબંધી પર ભારતીય ટુકડીઓએ હુમલો કર્યો. ઘમસાણ યુદ્ધ જામ્યું. અંતે પાકિસ્તાની ટુકડી હારી અને તેને ગામ છોડી દેવું પડ્યું. એ રાત્રે મસ્તપુરની સીમમાં આવેલી જમરૂખની વાડીમાં ભારતીય બટાલિયને ધામા નાખ્યા.
    આટલે સુધીનું વર્ણન ભારત-પાકિસ્તાન યુદ્ધને લગતી કોઇ ફિલ્મી કથાનું લાગે છે? પણ એ ગુજરાતી ફૌજી કેપ્ટન નરેન્દ્રનાં ગુજરાતીમાં લખાયેલાં સંભારણાં (‘જિપ્સીની ડાયરી- એક સૈનિકની નોંધપોથી’, ગુર્જર ગ્રંથરત્ન)નો હિસ્સો છે. આગળ જણાવાયેલા ઘટનાક્રમમાં કેપ્ટન (એ વખતે સેકન્ડ લેફ્‌ટનન્ટ) નરેન્દ્રની જવાબદારી લશ્કરી ટુકડીઓના ‘ટ્રુપ કેરિયર’ તરીકેની હતી. ભારતીય અને પાકિસ્તાની વિમાનોની ‘ડોગફાઇટ’ તેમની નજર સામેના આકાશમાં થઇ. પાકિસ્તાની વિમાનોના હુમલામાં પુરવઠાની ટ્રકો નષ્ટ થતાં સૌને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો. સેકન્ડ લેફ્‌ટનન્ટ નરેન્દ્ર પાસે દાલમોઠ થોડા ડબ્બા અને રમની બોટલ હતી. લશ્કરી પરંપરા પ્રમાણે એ સામગ્રી તેમણે બટાલિયનના કમાન્ડંિગ ઓફિસરને આપી ત્યારે અફસરે કહ્યું,‘તમારી ભાવનાની હું કદર કરું છું, પણ આખી પલટન ભૂખી હોય ત્યારે હું આ નાસ્તો ન ખાઇ શકું.’ આમ, લાગલગાટ પાંચ દિવસ સુધી સૌ ભૂખ્યા રહીને પાકિસ્તાની ધરતી પર યુદ્ધ ચાલુ રાખ્યું.
    મસ્તપુરની સીમમાંથી પકડાયેલા ત્રીસ-પાંત્રીસ નાગરિકોને એડમિનિસ્ટ્રેશન એરિયા કમાન્ડર કેપ્ટન નરેન્દ્ર સમક્ષ લાવવામાં આવ્યાં, ત્યારે સૈનિકો પોતાના કેવા હાલ કરશે એ વિચારે યુવતીઓ અત્યંત ગભરાયેલી હતી. કેપ્ટને તેમને આશ્વાસન આપતાં કહ્યું, ‘અમે ભારતીય સિપાહીઓ છીએ. તમારી સ્ત્રીઓ અમારા માટે મા-બહેન સમાન છે. અમારી લડાઇ તમારી સરકાર સામે છે. તમારી સાથે નહીં.’ આ લોકોને સલામત રીતે નિર્વાસિતો માટેના કેમ્પમાં મોકલી આપવામાં આવ્યાં.
    કેપ્ટન નરેન્દ્રએ પોતાનાં સંભારણાંમાં નોંઘ્યું છે કે મસ્તપુરમાં તેમનો ભેટો બીજા એક અફસર સાથે થયો. યુદ્ધ શરૂ થયું ત્યારે એ રજા પર હતા, પણ હાજર થવાનો તાર મળતાં એ લડાઇની વચ્ચે પાકિસ્તાનના અજાણ્યા ગામ મસ્તપુર સુધી પગપાળા અને એકલા જ પહોંચી ગયા હતા. ગોરખા રેજિમેન્ટના એ અફસર હતા અમદાવાદના કેપ્ટન પિયુષ ભટ્ટ. પાકિસ્તાનની ભૂમિ પર, ભારતીય સૈન્યે કબજે કરેલા ગામમાં અમદાવાદના બે અફસરો પહેલી વાર એકબીજાને મળ્યા ત્યારે તેમને કેવો રોમાંચ થયો હશે, તે કલ્પી શકાય છે.
    ‘જિપ્સીની ડાયરી’માં આવા અનેક રોમાંચકારી કિસ્સા-પ્રસંગો અને સૈન્ય- બીએસફ (સીમા સુરક્ષા દળ)ની આંતરિક વાતો વાંચવા મળે છે. ૧૯૬૫-૧૯૭૧ના યુદ્ધના ઘણા પ્રસંગોનું કેપ્ટન નરેન્દ્ર દ્વારા કરાયેલું વર્ણન એવું ઝીણવટભર્યું અને રસાળ છે કે વાચકને યુદ્ધભૂમિની વચ્ચોવચ પહોંચી ગયાનો અહેસાસ થાય. ૧૯૭૧ના યુદ્ધ વખતે કેપ્ટન નરેન્દ્ર સૈન્યમાં અફસર તરીકેનો કાર્યકાળ પૂરો કરીને, એલઆઇસીની કારકુની નોકરીએ લાગવાને બદલે, ફરી પાછી ઇન્ટરવ્યુ આપીને બીએસએફમાં જોડાયા હતા. બીએસએફ પ્રત્યે ભારતીય સૈન્યના અફસરોમાં કેવો દુર્ભાવ હતો, તેના અનેક દાખલા આ પુસ્તકમાં નોંધાયેલા છેઃ
    ૧૯૬૯માં અમદાવાદનાં કોમી હુલ્લડો વખતે સૈન્યની આગેવાની તળે પોલીસ કમિશનરની ઓફિસમાં સ્થપાયેલા જોઇન્ટ ઓપરેશનલ સેન્ટરમાં બીએસએફના અફસર તરીકે કેપ્ટન નરેન્દ્ર મોજૂદ હતા. ચોવીસ કલાકની અને માનસિક રીતે થકવી દેનારી કામગીરી. સેન્ટરમાં ડ્યુટી બજાવતા સૈન્યના જવાનોની તમામ સુવિધાઓનું ઘ્યાન રખાય, ચાર-ચાર કલાકે તેમની ડ્યુટી બદલાય, પણ કેપ્ટન નરેન્દ્ર બીએસએફના હોવાને કારણે તેમને કોઇ પાણીનો ભાવ પણ ન પૂછે. બબ્બે દિવસ સુધી ખાધાપીધા વિના ફરજ બજાવતા કેપ્ટન નરેન્દ્ર આખરે ત્રીજા દિવસે એક કલાકની રજા લઇને કમિશનર ઓફિસની સામે રહેતા એક સગાને ગયા ત્યારે જમવાભેગા થયા.
    ૧૯૭૧ના યુદ્ધ વખતે કેપ્ટન નરેન્દ્ર પંજાબ સરહદે હતા. યુદ્ધનાં વાદળ ઘેરાયાં એટલે સૈન્યવડા સામ માણેકશા વ્યૂહાત્મક સ્થળોની મુલાકાતે પહોંચ્યા. બટાલિયનના અફસરો સાથે માણેકશાની મિટંિગ યોજાઇ, પણ તેમાંથી રાબેતા મુજબ બીએસએફની બાદબાકી કરવામાં આવી હતી. એ જાણ્યા પછી માણેકશાએ ધરાર બીએસએફના અફસરોને મિટંિગમાં સામેલ કર્યા, એ આવ્યા ત્યાં સુધી પોતે બહાર ઊભા રહ્યા અને મિટંિગમાં કહ્યું, ‘ભારતીય સેનાની સાથે બીએસએફ પણ દેશની ફર્સ્ટ લાઇન ઓફ ડીફેન્સ છે એ સૌએ યાદ રાખવાનું છે.’
    આ યુદ્ધમાં પંજાબ સરહદે ભારતીય સૈનિકોની પરાક્રમગાથાના ઓછા જાણીતા કિસ્સા કેપ્ટન નરેન્દ્રએ અંગતતાના સંસ્પર્શ સાથે આલેખ્યા છે. ગોરખા રાઇફલ્સના જવાનો અને ‘આયો ગોરખાલી’ના યુદ્ધનાદ સાથે પાકિસ્તાની સૈન્ય પર ધસી જનારા અને ચોતરફ વરસતી બોમ્બની કરચો વચ્ચેથી માંડ બચી જનાર અમદાવાદના મેજર પિયુષ ભટ્ટ, ૧૯૬૯નાં રમખાણો દરમિયાન ઓપરેશન સેન્ટરમાં અસરકારક કામગીરી બજાવનાર સુરતના મેજર કાન્તિ ટેલર જેવા ગુજરાતી ફૌજીઓનો પણ આ સંભારણાં થકી વિશેષ પરિચય મળે છે.
    યુદ્ધ સિવાયના સમયગાળામાં કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને કચ્છના સરહદી ઇલાકામાં, વસ્તીથી દૂર અને કુટુંબ પરિવારથી અળગા રહેતા જવાનોને થતા અવનવા અનુભવો પણ ‘જિપ્સીની ડાયરી’માં આલેખાયા છે. પહેલી નજરે અંધશ્રદ્ધા કે ભ્રમણા લાગે એવા આ પ્રસંગો આલેખતી વખતે કેપ્ટને સારી એવી કાળજી રાખી છે. તાલીમકાળથી યુદ્ધકાળ સુધીના અનેક સંજોગોમાં લશ્કરી પરંપરાની ખાસિયતો ઉપરાંત કેટલાક ઉપરી અધિકારીઓની અકોણાઇ, કિન્નાખોરી, પરપીડનવૃત્તિ જેવી લાક્ષણિકતાઓનો પણ, કડવાશ કે દુર્ભાવ વિના, ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનાથી ઉપસતું સૈન્યનું ચિત્ર ફિલ્મી દેશભક્તિથી છલકાતું નહીં, પણ વાસ્તવિક લાગે છે. એવી જ રીતે, લડાઇનાં વર્ણનોમાં પણ તેમણે સન્ની દેઓલબ્રાન્ડ ઉત્સાહને બદલે ઠરેલ ફૌજીની સમધારણતાથી કામ લીઘું છે. ‘આપણે અખબારોમાં વાંચીએ કે ભારતીય સેનાએ વિજય પ્રાપ્ત કર્યો (ત્યારે) લોકોેને કદાચ ભ્રમ થઇ શકે છે કે આપણી સેના હુમલો કરે તો દુશ્મન ઊભી પૂંછડીએ ભાગતા હોય છે. યુદ્ધભૂમિમાં એવું નથી હોતું. ત્યાં જીવન-મૃત્યુની બાજી હોય છે. આક્રમણકાર કે સંરક્ષણપંક્તિમાં બેઠેલ સૈનિક, બન્નેને પહેલ કરવા માટે ક્ષણના નાનામાં નાના અંશથી પણ ઓછો સમય મળે છે. જે સમયસર પહેલો ઘા કરે તે જીવી જાય છે અને બીજો ઘા કરવાની તૈયારી કરે છે.’
    ફૌજી લોકોની સંવેદનશીલતા વિશે સમાજમાં કેટલીક માન્યતાઓ પ્રચલિત છે. એ ખરું કે તાલીમના ભાગરૂપે લશ્કરી અફસરોમાંથી પોચટપણું દૂર કરવામાં આવે છે. છતાં, કેપ્ટન નરેન્દ્રની રસાળ ભાષા અને સચોટ અભિવ્યકિતમાંથી સંવેદનશીલતા અને પોચટપણા વચ્ચેનો તફાવત વઘુ એક વાર સ્પષ્ટ થાય છે. પુસ્તકમાં તોપના ગોળાના શેલ માટે ‘ભરતર’ ને ડેમોન્સ્ટ્રેશન માટે ‘પ્રાત્યક્ષિક’ જેવા ગુજરાતી શબ્દો જેટલી સહજતાથી વપરાયા છે, એટલી જ સ્વાભાવિકતાથી પંજાબી, ગોરખા કે દક્ષિણ ભારતીય સાથીદારોની બોલીનાં વાક્યો પણ યથાતથ મુકાયાં છે.
    ગુજરાતી આત્મકથા-સંભારણાંમાં યુદ્ધના કે ફૌજી કારકિર્દી વિષયક સામગ્રી નહીંવત્‌ છે. તેમાં ૭૮ વર્ષીય કેપ્ટન નરેન્દ્ર ફણસેએ બ્લોગના માઘ્યમથી આલેખેલા અનુભવોનું પુસ્તકસ્વરૂપ વૈવિઘ્ય ઉપરાંત ગુણવત્તાની રીતે પણ મૂલ્યવાન ઉમેરો કરનારું છે.

    • સુરેશ જાની ઓગસ્ટ 19, 2012 પર 2:23 પી એમ(pm)

      માનનીય શ્રી. રજનીકુમાર પંડ્યાનો આભાર ..
      ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ અને ઉપર જણાવેલ પુસ્તક /લેખક પરિચયના લેખક છે …
      શ્રી. ઉર્વીશ કોઠારી

  18. Pingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય

  19. Pingback: ( 265 ) કેપ્ટન નરેન્દ્ર ફણસે ( ’જિપ્સી’) અને જિપ્સીની ડાયરી – એક કરવા જેવો પરિચય / Fathers’ Day | વિનોદ વિહાર

  20. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  21. mhthaker ડિસેમ્બર 9, 2021 પર 7:22 એ એમ (am)

    Salute to our old friend captain Narendra Bhai & read his both books & proud of his contribution to nation as well as its literal adoption.
    And special thx to Sureshbhai for introducing so nicely to new audiance to read this book .

  22. Rajul Kaushik ડિસેમ્બર 11, 2021 પર 5:38 પી એમ(pm)

    ‘જીપ્સીની ડાયરી ‘ના તમામ પાનાં વાંચ્યા છે. ગજબ રસપ્રદ. કેપ્ટન સાહેબને સલામ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: