ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

A – માધવ રામાનુજનું સાહિત્ય, Madhav Ramanuj


          માધવનાં ગીતો-કાવ્યો જુદા જુદા સ્તરના ભિન્નરુચિ ભાવકો બબ્બે દાયકાથી માણતા રહ્યા છે એ એક ઉલ્લેખનીય બાબત છે. માધવની ગીતરચનામાં એવું સત્વ છે, એવી કેટલીક સિદ્ધિ છે કે જેના કારણે હવે પછીની પેઢીઓ પણ એની અનેક ગીતરચનાઓ ઉલટથી માણશે ,  ગાશે ને પ્રમાણશે.

           ગુજરાતની પ્રશસ્ત ગીતપરંપરામાં – અને તેમાંયે સ્વાતંત્ર્યોત્તર ગાળાની પ્રિયકાન્ત મણિયાર, હરીન્દ્ર, સુરેશ દલાલ, પ્રદ્યુમ્ન તન્ના, રમેશ પારેખ, અનિલ જોષી, હરિકૃષ્ણ પાઠક વગેરેની રમણીય ગીતપરંપરામાં માધવની રચનાઓનો અવાજ પણ અત્રતત્ર સતત ગુંજરતો – ઘૂમરાતો રહ્યો છે.

—————————————————

                

પોતાને વિષે માધવ રામાનુજ :

          કશું થતું ન હોય એવા સમયમાં પણ ભીતરમાં તો લયની એક અખંડ રટણા-રમણા ચાલતી જ રહે છે. વળી થાય છે કે વિશ્વને પરસ્પર નજીક લાવી રહેલી વિજ્ઞાનયાત્રાના આ યુગમાં – આજની આ ક્ષણમાં આપણું કોઈ ટહુકાની રીતે   હોવું એ કેટલું મોટું સદ્ભાગ્ય છે ! આ બ્રહ્માંડથી અભિભૂત થવાનું મળ્યું એ પણ કાંઈ નાનીસૂની વાત તો નથી જ.. આ બ્રહ્માંડ આ સૃષ્ટિ – સેંકડો પ્રકાશવર્ષના અંતરે ઊભેલા તારાઓને પોતાનામાં સમાવતું વિસ્તીર્ણ આકાશ અને એ અનંત આકાશમાં-અવકાશમાં વહેતું અનંત મૌન…એ મૌનમાં તરતી-સરતી આપણી આ પૃથ્વી અને એ પૃથ્વી પર રમતારામની રીતે આપણું હોવું ….આ કંઈ ઓછી ધન્યતા છે ? આ ધરતીની ધૂળના સ્પર્ષનું સૌભાગ્ય…આસપાસ અનેકની આંખોમાંથી ઊભરાતું અઢળક સૌહાર્દ…ક્ષણક્ષણમાં કૉળી ઊઠતું અનંતના ઉત્સવનું અચરજ…અને એ બધાંની વચ્ચે નાજુકનમણી લજામણી કવિતાનું મૌનસભર સંવેદન…

આપણે હજુ એનો પૂરો મર્મ પામવાનો બાકી છે…

અને એથી હજુ આપણે આપણી આરપાર ક્યાંક પહોંચવાનું બાકી છે.

અને તેથી જ હજુ અપેક્ષા છે શેષયાત્રાને રોમાંચક અને રમણીય બનાવે એવા કોઈ અસલી ટહુકાની…

–કવિતાને સમજવાનો પ્રયત્ન એ, મૌનના એવા કોઈ ટહુકાને પામવાનો પ્રયત્ન પણ હોઈ શકે !

ક્ષરનું એકાન્ત’ની પ્રસ્તાવના માંથી )

—————————————————————–

તેમની કેટલીક પ્રતિનિધી રચનાઓ

ચીલા

આપણે તો સીમના ચીલા હતા

પંથ તેથી આપણો ખૂટ્યો નહીં;

એકસરખા અંતરે ચાલ્યા કર્યું,

સાથ તેથી આપણો છૂટ્યો નહીં !

—————————————-

હાઈકુ

ગલ સંગાથે

રમે માછલી એક;

સ્તબ્ધ પોયણાં.

———————————————————

વહાલાં

વેરી હતા તે ક્યારના પાછા વળી ગયા –

વહાલાં હજી ઊભાં છે મૂકીને ચિતામાં આગ !

માધવ રામાનુજ, Madhav Ramanuj


madhavramanuj.jpgઅંદર તો એવું અજવાળું, અજવાળું.
સળવળતી હોય આંખ જેને જોવાને,
એ મીંચેલી આંખે ય ભાળું.

(વાંચો: કાવ્યરસાસ્વાદ )

“એક ક્ષણ જો યુધ્ધ અટકાવી શકો –
ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં.”

એક એવું ઘર મળે આ વિશ્વમાં,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;
એક એવું આંગણું કે જ્યાં મને;
કોઈપણ કારણ વગર શૈશવ મળે !

આપણે તો ભૈ રમતારામ !
વાયરો આવે-જાય એણે ક્યાંય બાંધ્યાં ના હોય ગામ.

રોઈ રોઈ આંસુની ઊમટે નદી તો એને કાંઠે કદમ્બવૃક્ષ વાવજો,
વાદળ વરસે ને બધી ખારપ વહી જાય પછી ગોકળિયું ગામ ત્યાં વસાવજો.

mr_hand_writting.jpg

વધુ રચનાઓ: – 1 – : – 2 – : – 3 – : – 4 –

# સાંભળો – પાસપાસે તોયે   – માળામાં ફરક્યું વેરાન

# તેમની રચનાઓ વિશે

_______________________________________________________________________
જન્મ

  • 22 – એપ્રિલ, 1945 ; પચ્છમ તા.ધંધુકા, જિ. અમદાવાદ

કુટુમ્બ

  • માતા – ગંગાબા; પિતા – ઓધવજી દયારામ( જાણીતા વૈદ્ય)
  • પત્ની – લલિતા- (સંગીત વિશારદ) પુત્રીઓ – દીપ્તિ (સંગીત શિક્ષિકા); નેહા – લેક્ચરર, ફાઈન આર્ટ્સ, સી.એન. વિદ્યાલય,

અભ્યાસ

  • શાળા શિક્ષણ – પચ્છમ, અમદાવાદ, સાદરા તથા ‘ લોકશાળા ગ્રામભારતી’
  • 1973 – ‘કમર્શિયલ આર્ટ’ વિષયમાં ડિપ્લોમા – સી.એન.કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ, અમદાવાદ.

વ્યવસાય

  • 1969 – અખંડ આનંદના તંત્રી વિભાગમાં
  • 1971 – કુમાર કાર્યાલય
  • 1969 -70 – વોરા પ્રકાશન સંસ્થા
  • 197073 – આર.આર. શેઠની કંપનીમાં મુખપૃષ્ટચિત્રોના કલાકાર
  • 1973 થી – સી.એન. ફાઈન આર્ટ્સકોલેજમાં અધ્યાપક
  • પ્રિન્સિપાલ ( ઉપર મુજબ)
  • 2004 થી – સર્વોચ્ચ અધિકારી, ડીપાર્ટમેન્ટ ઓફ હ્યુમન રીસોર્સ, શ્રીમતી જી.આર. દોશી અને શ્રીમતી કે.એમ.મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કીડની ડીસીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર ( IKDRC)તથા ડૉ.એચ.એલ.ત્રિવેદી ઈન્સ્ટીટ્યુટ ઓફ ટ્રાંસ્પ્લાંટેશન સાયન્સીઝમાં ન

જીવનઝરમર

  • અનેક સમારંભોમાં સંચાલન, કવિમુશાયરાઓ-ડાયરાનું સંચાલન
  • અમદાવાદ દૂરદર્શન માટે ‘રેવા’ નામક નાટકમાં કથા, પટકથા, ગીતોની રચના
  • અનેક ગુજરાતી ફિલ્મો માટે ગીતોની રચના
  • અનેક ક્ષેત્રોના મહાનુભાવોના જાહેર ઈંન્ટર્વ્યૂ લેનાર, મોરારિબાપુનો સળંગ આઠ કલાકનો ઈન્ટરવ્યુ
  • ગુજરાત સમાચાર, સંદેશ, જનસત્તા, નૂતન ગુજરાત, જન્મભૂમિ પ્રવાસી, વિ. માં દસેક વર્ષથી વિવિધ વિષયો પર કોલમ રૂપે લેખો.
  • શ્રી ગિરીશ કર્નાડના અધ્યક્ષપદ નીચે રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમીના પાંચ વર્ષ સભ્ય
  • લલિતકલા અકાદમી તથા ગુજરાત સંગીત નાટક અકાદમીના બે ટર્મ માટે સભ્ય.
  • ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી પદે આઠ વર્ષ
  • ‘ગાંધર્વ મહાવિદ્યાલય’ ના ચેરમેન તરીકે એક ટર્મ
  • ‘એથિકલ કમિટી ફોર કીડની ટ્રાન્સ્પ્લાન્ટેશન’ ના સભ્ય
  • ‘આયુ ટ્રસ્ટ’ ના મેનેજીંગ ટ્રસ્ટી
  • ઉત્તર બુનિયાદી સંસ્થા ‘ગ્રામભારતી’ ના સંચાલક મંડળમાં કાયમી સભ્ય
  • ચેરમેન, ગુજરાત વિજ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન
  • ‘સાહિત્ય પ્રવાસ’ – લીટરરી એકેડેમી ઓફ અમેરિકાના નિમંત્રણથી 3 માસનો પ્રવાસ
  • નૈરોબી-કેન્યાના પ્રવાસે શ્રી મોરારિબાપુ સાથે

રચનાઓ

  • કાવ્યસંગ્રહો – તમે * , અક્ષરનું એકાન્ત, કલરવના દેશ
  • નવલકથા – પીંજરની આરપાર + (રુબીન ડેવીડના જીવન પર આધારિત) , સૂર્યપુરુષ ભાગ 1-2. ( શ્રી ચીમનભાઈ પટેલના જીવન પર આધારિત.) , કુણાલની ડાયરી , પરોઢિયાના પાલવ ઓથે ( બે વર્તમાનપત્રોમાં ધારાવાહિક રૂપે પ્રકાશિત.)
  • નાટક – અક્ષરનું અમૃત ( પ્રમુખ સ્વામીના જીવન પર આધારિત ) , રાગ-વિરાગ ( ડૉ.એચ.એલ ત્રિવેદીના જીવન પર આધારિત ) , એક હતી રૂપા ( રેડિયો નાટક ) , કીડની વેશ, હૃદયનું હૃદય કીડની, કીડનીદાન જીવનદાન , પ્રત્યારોપણ પ્રેમનું ( કીડની ટ્રાન્સ્પ્લાંટેડ દરદીઓ દ્વારા અનેકવાર ભજવાયેલું ),
  • ભવાઈ વેશ – જસમા , ગુરુ ગણિકા ( સાતમી સદીના ભગવદ અજ્જાકિયા ની મૂળ કૃતિ પરથી.)

સન્માન

  • ગુજરાત સરકારનું ઈનામ *
  • સાહિત્ય અકાદમી તથા સાહિત્ય પરિષદનું ઈનામ +
  • 1974 અને 1999 – દૂરદર્શન તરફથી વર્ષનાં ઉત્તમ ગીતોની રચના માટે ઇનામ
  • 2004‘એકલવ્ય’ લાઇફ ટાઇમ એચીવમેંટ એવોર્ડ

A – ન્હાનાલાલ કવિનું સાહિત્ય, Nhanalal Kavi


ગુજરાતી સાહિત્યમાં પૂર્ણ-પ્રફુલ્લ ચન્દ્રરાજ
‘પ્રેમ-ભક્તિ’નો મહાકવિ ન્હાનાલાલ.

 કવિ કાન્ત દ્વારા સ્વાગત

          ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનમાં (જેના પ્રમુખ ગોવર્ધનરામ ત્રિપાઠી હતા), કવિ કાન્ત પોતાનું વક્તવ્ય આપતા હતા ત્યારે જ એમણે સભામાંના સાવ યુવાન   વયના એવા ન્હાનાલાલના પ્રવેશને તેમની જ એક કાવ્ય પંક્તિ ‘ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચન્દ્રરાજ’ કહીને આવકાર્યા હતા. અને એ રીતે તેમણે ગુજરાતી સાહિત્યક્ષેત્રે એક મહાકવિના આગમનની ભવિષ્યવાણી ઉચ્ચારી હતી. એ વખતના એ તરુણ કવિએ બહુ જલદી પોતાના વિષેની આગાહીને સાચી પાડી હતી.

તેમના જીવન વિશે

            તા.16-3-1877ના રોજ જન્મેલા મૂળ વઢવાણના કુટુંબના ન્હાનાલાલ અર્વાચીન ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ દલપતરામના પુત્ર હતા. કવિ ન્હાનાલાલને 15 વર્ષની વયે પિતા તરફથી કાવ્યદીક્ષા મળી હતી. પરંતુ ખૂબ જ તોફાની એવા આ પુત્રને તેમણે સાધુચરિત કાશીરામ દવે પાસે ભણવા મૂક્યા હતા.જેમણે જ્ઞાનસંસ્કારો આપીને એમની પ્રકૃતિમાં આમૂલ પરિવર્તન આણ્યું હતું. સદ્ ગુણી અને પ્રેમમૂર્તિ પત્ની માણેકબાએ પણ તેમના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો.            

              1901માં તેઓ ઇતિહાસ વિષય સાથે એમ.એ. થયા. ત્યાર બાદ કેટલીક માનભરી નોકરી કરીને વીસ જ વર્ષ પછી નિવૃત્ત થઈ ગયા હતા. ત્યાર પછી તો તેઓ સંપૂર્ણ રીતે ‘શારદોપાસના’માં જ પ્રવૃત્ત રહ્યા હતા. ભારતના અસહકાર આંદોલનમાં પણ તેઓ જોડાયા હતા, પરંતુ ગાંધીજી સાથે ન ફાવતાં પાછલાં પચીસ વર્ષ અમદાવાદમાં જ રહ્યા હતા.

               એમની સૌ પ્રથમ કૃતિ ‘કેટલાંક કાવ્યો’ ભાગ-1 1903માં પ્રગટ થઈ હતી, જ્યારે 1946માં ‘હરિસંહિતા’ લખતાં લખતાં જ તેઓ ચિર વિદાય પામ્યા હતા. 43 વર્ષની આ શારદોપાસના કે શબ્દસાધનામાં તેમણે 60 પુસ્તકો ગુજરાતી સાહિત્યને ભેટ ધરી દીધાં હતાં !!

1845માં પિતા દલપતરામે પોતાની સૌ પ્રથમ કૃતિ ‘બાપાની પીપર’ રચના પ્રગટ કરી. અને પુત્ર ન્હાનાલાલે 1946માં પોતાની અંતિમ કૃતિ ‘હરિસંહિતા'(અપૂર્ણ) આપી. આમ પૂરાં એકસો એક વરસના વિશાળ પટમાં પિતા-પુત્રની આ વિરલ જોડીએ ગુજરાતી સાહિત્યને પોતાની આગવી શૈલી અને વિપુલ સર્જનોથી ભર્યું ભર્યું કરી દીધું હતું !

               કવિ ન્હાનાલાલના પુરોગામીઓ એવા ગુજરાતી સાહિત્યજગતના ધૂરંધરોમાંના ગો.મા.ત્રિપાઠી, નરસિંહરાવ, રણજિતરામ, કે.હ.ધ્રુવ વગેરેમાંથી તેમણે ભરપુર માર્ગદર્શન લીધું હતું. છતાં મઝાની વાત એ હતી કે કવિએ જે સર્જન કર્યું તે આ સૌ પુરોગામીઓ કરતાં ઘણું ચડિયાતું સાબિત થયું હતું.

એમનાં સમગ્ર સર્જનને અત્યંત સંક્ષેપમાં જોઈએ તો –

  1. કવિતા  

    1. એમના વિપુલ કવિતાસર્જનમાં સૌથી વધુ ધ્યાન ખેંચે છે, ઊર્મિકાવ્યો. ઊર્મિકાવ્યોમાં અનેક પ્રકારો તેમણે અજમાવ્યા છે, જેમાં આત્મલક્ષી કાવ્યો, ગીતો, ભજનો, બાળકાવ્યો, રાસડા, હાલરડાં, લગ્નગીતો, કરુણ-પ્રશસ્તિ, વીરરસનાં કાવ્યો, અંજલિઓ વગેરેનો સમાવેશ થાય છે.

    2. દીર્ઘકાવ્યો-ખંડકાવ્યો તેમણે આપ્યાં છે પણ તે કાન્તનાં ખંડકાવ્યોની કક્ષાનાં નથી. એને ‘પ્રસંગકાવ્યો’ કહેવાયાં છે.

    3. મહાકાવ્યો-વિરાટકાવ્યો  કહી શકાય એવાં એપિક સ્વરૂપનાં મહાકાવ્યોનો પ્રશસ્ય પ્રયત્ન તેમણે કર્યો છે. અને ગુજરાતી સાહિત્યમાં તેઓ બહુમૂલ્ય ગણાયાં છે. ‘કુરુક્ષેત્ર’ અને ‘હરિસંહિતા’ જાણીતાં છે.

  2. નાટકો

    1. તેમણે 14 જેટલાં ભાવપૂર્ણ નાટકો આપ્યાં છે. તેમાંની ડોલનશૈલી અને નાટકોની અંદર આવતાં ઊર્મિકાવ્યો કવિની વિશેષતા દર્શાવે છે. તેમાંની ડોલનશૈલી પાત્રોના વાચિક અભિનયને ઉપકારક બની રહી હતી.

  3. ગદ્યગ્રંથો 

    1. નવલકથા, નવલિકા, નિબંધ, રેખાચિત્રો, જીવનચરિત્રો, વ્યાખ્યાનો, ભાષાન્તરો અને વિવેચન વગેરે પ્રકારે તેમણે ગદ્યનું ખેડાણ કર્યું છે. અને એટલે જ

અપદ્યાગદ્ય/ ડોલનશૈલી

             છંદો, પરંપરાવાળી લયમેળ રચનાઓ, ગઝલ, કવ્વાલી વગેરેના પ્રયોગો બાદ કવિએ પદ્યમુક્ત ડોલનશૈલી અપનાવી. પ્રથમ તો તેનો ઉપયોગ તેમણે ફક્ત નાટકોમાં જ કર્યો પરંતુ પછીથી તો કવિતામાં પણ એ શૈલી સફળતાથી અપનાવી. કેટલાંક ચિત્રકાવ્યો, વસંતોત્સવ, ઓજ અને અગાર, દ્વારિકા પ્રલય, જેવાં કથાકાવ્યો અને કુરુક્ષેત્ર જેવું મહાકાવ્ય વગેરે ડોલનશૈલીમાં છે. કવિશ્રી દ્વારા જ સર્જાયેલી અને અપનાવાયેલી આ વિશિષ્ટ શૈલી કવિ પછી કોઈએ અપનાવી નહીં એને શૈલીની અપ્રસ્તુતતા કહેવી તે તો ઉપયુક્ત નથી જ; પણ પછીના   કવિઓની એ માટેની અતત્પરતા ગણાવવી રહી. ‘અપદ્યાગદ્ય’તરીકે ઓળખાયેલી આ શૈલીને પ્રા.બ.ક.ઠાકોરે “આંદોલરચના” કહીને ઓળખાવી છે.

દોષો

          આટલું વિપુલ અને ઉત્તમ કક્ષાનું સર્જન કરનાર કવિના સર્જનમાં કેટલાક દોષો પણ વિવેચકોએ ગણાવ્યા છે. જેમાં એકવિધતા, શબ્દાળુતા, અલંકાર પ્રાચુર્ય,ઉપરાંત સપાટી ઉપર દેખાતી ભભક અને અંજાવી નાખનાર તેજસ્વિતાના પ્રમાણમાં ક્યારેક ગહનતાનો અભાવ જોવા મળે છે તેમ કહીને એમને તટસ્થતાથી મૂલવવાનો પ્રયન કર્યો છે.

મહ્ત્વના ઉદ્ ગારો : 

  •  રા.વિ.પાઠક
    • આગળના કવિઓ પછી ન્હાનાલાલને વાંચતાં જાણે નવી જ સૃષ્ટિ, નવું જ વાતાવરણ લાગે છે.
  • વિજયરાય ક. વૈદ્ય

    • ગુજરાતની વાડીમાં અનુત્તમ એવી નદી એક, નર્મદા છે. એ જ રીતે ગુજરાતીના સમગ્ર સાહિત્યમાં અનુત્તમ એવા વસ્તુગત (ઓબ્જેક્ટિવ)સાહિત્યકાર ગોવર્ધનરામ અને અનુત્તમ આત્મરત (સબ્જેક્ટિવ) એવા કોઈ હોય તો તે ન્હાનાલાલ છે…બીજી રીતે જોઈએ તો ગુજરાતી સાહિત્યનાં એક હજાર વરસના કવિતા ક્ષેત્રના ઇતિહાસમાં અનુત્તમ વસ્તુગત પ્રેમાનંદ અને અનુત્તમ આત્મરત એવા ન્હાનાલાલ છે !!

  • સુંદરમ્ 

    • કાન્તની કવિતા ગુજરાતી કવિતામાં કળાની વસંતના આગમન જેવી છે તો કાન્તની પાછળપાછળ ચાલ્યા આવતા ન્હાનાલાલની કવિતા એ કળાવસંતના ઉત્સવ જેવી છે. ન્હાનાલાલનું કાવ્ય શબ્દ અર્થ અને ભાવનાઓ, સૌંદર્ય અને રસના કોક નવીન સત્વવાળી ફોરમથી મઘમઘી ઊઠે છે.

  • પ્રસાદ બ્રહ્મભટ્ટ

    • ગુજરાતી ગદ્યને સર્જનાત્મક ઓપ આપીને વૈભવશાળી બનાવવામાં ન્હાનાલાલનો ફાળો ઉલ્લેખનીય છે.

  • ગુજરાત ને ગુજરાતી ભાષાના સાહિત્યમાં રસ ધરાવનારા માનવો કવિ ન્હાનાલાલના નામથી પરિચીત ના હોય એવું ભાગ્યે જ બને. ગુજરાતી સાહિત્યમાં કવિ ન્હાનાલાલનો ફાળો અજોડ છે. તેમની મહત્તાનો ખ્યાલ તો એટલા પરથી જ આવી શકે છે કે તેમના નામથી ગુજરાતી સાહિત્યમાં ન્હાનાલાલ યુગ ચાલે છે. અમદાવાદમાં મને તેમના પરિચયનો લાભ સહેજે મળી ગયો. હું જેમને ત્યાં થોડા દિવસ રોકાયો હતો તે ભાઇને ત્યાં ખાસ આમંત્રણથી તે એક દિવસ સાંજે આવી પહોંચ્યા……..
    બે ચાર દિવસ પછી તેમના આમંત્રણથી અમે તેમની વળતી મુલાકાત લીધી. એલિસબ્રીજ પરના તેમના મકાનમાં અમારું સ્વાગત તેમણે ખૂબ જ ભાવપૂર્વક કર્યું. તેમનો પ્રેમ ભારે હતો. તે વખતે તેમણે હાથમાં તંબૂરો લઇને ત્રણ-ચાર ભજનો ગાયાં તે પ્રસંગ સદા માટે યાદ રહેશે. તે વખતના ન્હાનાલાલ જાણે જુદા જ હતા. તેમના હૃદયનો ભક્તિભાવ તેમના સુમધુર સ્વરમાં ઠલવાયા કરતો. એ મહાન સાહિત્ય સ્વામીનું આર્થિક જીવન સારું ન હતું એવું મેં સાંભળેલું. પણ તેમના મંગલ મન પર તેની કોઇ ખાસ અસર ના દેખાતી. તેમના પ્રેમાળ પત્ની કુશળતાપૂર્વક ઘર ચલાવ્યા કરતાં ને તે નવી નવી કૃતિની રચનાના કામમાં મશગુલ રહેતા. સાદા સંકટમય જીવનમાં પણ તે સંતોષ અને આત્માનંદને જાળવી રાખતા. તેમને આનંદમગ્ન દશામાં તંબૂરા પર ભજન ગાતા જોઇને મને કવિ બાલાશંકરની પેલી પ્રસિદ્ધ પંક્તિ યાદ આવી :
                કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઇ,
                નિજાનંદે હંમેશા બાલ મસ્તીમાં મજા લેજે !
  • સુરેશ દલાલ
  • આ કવિનું નામ પડે અને તરત જ આપણને થાય કે ગુજરાતી ભાષાનું લાલિત્ય અને લાવણ્ય જોવું હોય તો એમનાં ગીતો પાસે જવું જોઇએ.  વાણીનાં વૈભવી કવિ છે.  કવિએ નાટકો લખ્યાં.  અને એ દ્વારા સ્નેહલગ્ન અને લગ્નસ્નેહની મીમાંસા પણ કરી.  મહાકાવ્ય લખવાનો મનોરથ પૂરતો સફળ ન થયો.  કરુણ પ્રશસ્તિ પણ આપણને એમની પાસે મળી. ડોલનશૈલીનો પ્રાદુર્ભાવ પણ એમને કારણે થયો.  દલપતરામ અને ન્હાનાલાલે – પિતા પુત્રની આ જોડીએ ગુજરાતી કવિતાને મબલક સમૃદ્ધિ આપી. 
  • નિરંજન ભગત
  • ન્હાનાલાલમાં લોકગીતોના ઢાળને અને એના લય અને સૂરની સૂઝ હતી, એના સ્વરૂપની સમજ હતી; એમાં પરિવર્તન દ્વારા નવીનતા સિદ્ધ કરવાની સર્જકતા અને સંવેદનશીલતા હતી…ન્હાનાલાલના રાસમાં સ્ત્રીહ્રદયની ક્યારેક મધુર, ક્યારેક કરુણ પણ સદાય સૂકુમાર ઊર્મિઓ પ્રગટ થાય છે. એમાં ગુજરાત અને સૌરાષ્ટ્રનું ગૃહજીવન, ગ્રામજીવન, કુટુંબજીવન અને એનું વાતાવરણ સુરેખ અને સજીવપણે વ્યક્ત થાય છે…ન્હાનાલાલે એમનાં ગીતમાં ગુજરાતી ભાષાનું માધુર્ય શું છે એનું રહસ્ય પ્રગટ કર્યું છે. એમણે અને પ્રયોગો દ્વારા, નવી નવી શક્યતાઓનાં સુચનો દ્વારા ગીતસ્વરૂપની સીમાઓનો વિસ્તાર કર્યો છે…ન્હાનાલાલનાં ઊર્મિકાવ્યોમાં જો સમગ્ર ગુજરાતી ઊર્મિકવિતામાં કંઈ એકમેવ – અદ્વિતીયમ જેવું હોય, જો કંઈ ન્હાનાલાલીય હોય તો તે એમના શબ્દો, ‘તેજે ઘડ્યા’ શબ્દો…આ શબ્દોને કારણે જ ન્હાનાલાલની ઊર્મિકવિતામાં અન્યત્ર ક્યાંય જેનો અનુભવ ન થાય એવી હવા, આબોહવાનો, એવા વાતાવરણનો અનુભવ થાય છે. આ શબ્દોને કારણે જ ન્હાનાલાલના ઊર્મિકાવ્યો પ્રથમ પંક્તિથી જ અદ્ધર ઊંચકાય છે અને અંત લગીમાં તો કોઈ ઊર્ધ્વલોકના અસીમ અને અનંત પ્રકાશમાં ઝગમગે છે.
  • ભાલચંદ્ર પરીખ
  • કવિવર ન્હાનાલાલની કાવ્યપ્રતિભા વિવિધ સ્વરૂપે સ્ફૂરાયમાન થતી એની અદમ્ય સિસૃક્ષાની પરિતૃપ્તિ અર્થે માનવતા અને વિશ્વનાં વિશાળ ક્ષેત્રોમાં વિહરે છે છતાં જે ભવ્ય સિંહાસન પર કવિશ્રીનું સર્વતોવ્યાપી જીવનદર્શન આરૂઢ  થયું છે, તેની અચળ પીઠિકા છેવટે  પ્રેમ જ છે એ સ્વીકાર્યા વિના તેના અંતરંગ સૌંદર્યનું દર્શન ભાગ્યે જ થઇ શકે. પ્રેમ એ ન્હાનાલાલના વિશ્વદર્શનની કેન્દ્રશિલા છે. પાર્થિવ તેમ જ લોકોત્તર, દિવ્ય યા માનુષી સ્વરૂપે જીવન અને સંસ્કૃતિનાં બળોને તે અવિરત પોષે જાય છે. માનવઆત્માને તે સદા પ્રફ્ફુલ્લિત રાખે છે. જગતના આદર્શોમાં એકતાનું પ્રેરણાબળ સીંચી, શાશ્વત કુસુમિતતાની સૌરભ અર્પી, ચિરકાળ પર્યંત તેમને સજીવન રાખે છે – એ મધ્યવર્તી અનુભૂતિના સાક્ષાત્કાર પર કવિશ્રીના સમગ્ર સાહિત્યસર્જનની ઈમારત ચણાઈ છે.”
  • ચંદ્રકાંત ટોપીવાલા   –    કવિ ન્હાનાલાલની આગવી શૈલી ‘અપદ્યાગદ્ય’ વિશે…
    • પારંપરિક પદ્ય અને રોજિંદા ગદ્યથી દૂર રહીને ગુજરાતિ સાહિત્યક્ષેત્રે કવિ ન્હાનાલાલે નીપજાવેલી કાવ્યશૈલી.
    • એ રાગયુક્ત ગદ્ય પણ છે. ચુસ્ત છંદોબદ્ધ પ્રાસ અનુપ્રાસના પિંગળનાં બંધનોને અવગણીને એમણે માત્ર નૈસર્ગિક સૌંદર્યબંધનોને સ્વીકારેલાં. તેઓ માનતા કે કાવ્યનું શરીર તત્વ છંદ નહીં પણ ડોલન છે. એ અપદ્ય છે,અગદ્ય છે, અપદ્યાગદ્ય છે. તેઓને એમ પણ પ્રતીતિ હતી કે છંદશિસ્ત વગર વિના સુકાન, વિના હોકાયંત્ર ડોલનશૈલીના પટવિસ્તાર ઉપર કાવ્યનૌકા ખેડી શકાય નહીં. છંદોના ગુણાકાર, ભાગાકાર, નિયમબદ્ધ વૃત્તો, અભ્યસ્ત પ્રયોગો, મિશ્રણો, રૂપાંતરોને અંતે ન્હાનાલાલે પદ્યમુક્તિનું સાહસ કરેલું. એમણે આ ડોલનશૈલીમાં પ્રતિભાવ લય (Affective Rhydhm)નો ઉપયોગ કર્યો. એમાં વાગ્મિતાનું કૌવત ઉમેર્યું. વાગ્મિતાને કારણે અલંકારપ્રચૂરતા અને સમાસપ્રચૂરતાને દાખલ કર્યા. વિશેષણો અને લાડવાચકો-લઘુતાવાચકો વિશેષ માત્રામાં કાર્યરત બન્યાં. આ શૈલીમાં વારંવાર નિયમભંગ થતો રહે છે, તો વારંવાર સમાંતરતાઓ દ્વારા અને પુનરાવૃત્તિઓ દ્વારા અતિનિયમિતતાનો પણ પુરસ્કાર થાય છે. કોઈનું પણ અનુકરણ કર્યા વગરની પોતાની અનનુકરણીય શૈલીને ન્હાનાલાલે ‘ અબોધ આત્માની ઉચ્ચારણશૈલી’ તરીકે ઓળખાવી છે. 
  • એમના કાળમાં છંદબધ્ધ રચનાને બહુ જ અગત્ય અપાતી. તેમની ડોલન શૈલીનો ઘ્ણો વિરોધ પણ થયો હતો. એક સજ્જને તો જાહેરમાં નીચેનું જોડકણું વાંચી તેમની ઠેકડી ઉડાવી હતી !!  –
    “ડાહ્યાના એ દીકરા, ડાહ્યા દલપતરામ.
    તેનો પાક્યો નાનીયો, બોળ્યું બાપનું નામ.”  

અંબાલાલ સાકરલાલ દેસાઈ, Ambalal Desai


,   “સાહિત્યને પ્રધાનત: ‘લોકસમસ્તની વાણી’ માનનાર અને કહેનાર, કર્તૃત્વમાં અને  જીવનમાં પણ જેઓનું પોત અને રંગ સાચ્ચા અને જોમભર્યા હતા તે અંબાલાલભાઈ  લેખક કરતાંય વિશેષ તો શિક્ષક, વિચારક અને પ્રભાવશાળી વ્યક્તિ તરીકે સ્મરણીય  રહેશે.”

(ચં.ન.પંડ્યા તથા વિ.ક.વૈદ્ય.)

 તેમના ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ વિશે –  
  ” એમના ઉત્કટ માતૃભાષાપ્રેમનો અહીં છેલ્લો પણ નોંધવો જ જોઈએ તે અસામાન્ય નમૂનો  એટલે 1877માં તેમણે રૅવ.મૉંટગૉમરીના સહકારી તરીકે સંયોજેલો અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ;  તે એ વિષય પરના પહેલા સમર્થ પ્રયાસોમાંનો એક તથા પછીના સર્વનો ધીંગો આધારસ્થંભ   બન્યો છે.”

_________________________________________________________________ Read more of this post

મન:સુખરામ સૂર્યરામ ત્રિપાઠી, Mansukharam Tripathi


“તેઓ ઉચ્ચતર મેધાવાન,ચિંતનપરાયણ પંડિત હતા. મનુષ્યનું જીવન સદ્ધાર્મિક,  સત્યશીલ તથા નીતિપરાયણ કેમ થાય, અને જ્ઞાનેપ્સુને મુક્તિમાર્ગી શી વિધે કરાય એવા જીવનના સનાતન મહા પ્રશ્નોના ચિંતનમાંથી પ્રગટેલા તેમના ગ્રંથો છે.” 

________________________________________________________________ Read more of this post

કરસનદાસ મૂળજી, Karsandas Mulji


સુધારાયુગના ગદ્ય લેખક

” ભાષા ટાપટીપ કરીને અતિ સુંદર તેઓ કરતા, તથાપિ તેમાં બળ તથા પ્રૌઢતા કંઈ ઓછાં નથી. ગુજરાતી ભાષાના પંડિત તરીકે તેમની કીર્તિ તેમનાં બીજાં પરાક્રમોથી મેળવેલી કીર્તિથી કંઈ ઓછી ચળકતી નથી.”

–  ‘ બુદ્ધિવર્ધક ‘ –   ઓક્ટોબર – 1875

# મહારાજ લાઇબલ કેસ

______________________________________________________________
Read more of this post

હરગોવનદાસ કાંટાવાળા, Hargovandas Kantawala


સુધારાયુગના કવિઓમાંના એક વિશેષ કવિ
 

_______________________________________________________________
Read more of this post

હીરાચંદ કાનજી કવિ , Heerachand Kanji Kavi


રચનાઓ

  • 1859 –  મિથ્યાભિમાન-ખંડન , કવિ નર્મદની અને અન્ય કવિઓની તીવ્ર ટીકાઓ સહિતનું કાવ્ય
  • 1863- 65 –  ગાયનશતક ભાગ 1,2,3 –   અનેક વિષયો પરનાં કાવ્યો
  • 1863 – કુમારબોધ –  બાળકોને શિખામણ આપતી રચના,  કુમારિકાબોધ કન્યાઓને શીખ આપતી રચનાઓ
  • 1864 – નામાર્થબોધ
  • કોશાવલી  – નવા કવિઓને પ્રાસાનુપ્રાસ મેળવવામાં ઉપયોગી થવા માટેનો શબ્દકોશ
  • પિંગળાદર્શ –  વ્રજભાષામાં ગુજરાતી ટીહા સહિત અને ઉદાહરણો સાથેનું પુસ્તક.આમાં કવિ અને કવિતાના ગુણ-અવગુણ તથા લક્ષણોને પદોમાં ઢાળીને રજૂ કર્યાં છે.

લાક્ષણિકતાઓ

  • નર્મદ-દલપતની અસરોમાં આવ્યા વિના, તેમની પણ ટીકાઓ રજૂ કરનારા મહત્વના કવિ
  • કવિતાનું વિવેચન કરીને કક્ષાનાં ધોરણો આપનાર કવિ
  • કોશ અને પિંગળને લગતાં કાર્યો પણ તેમણે હાથ ધર્યાં છે
  • કવિતાની ઉત્તમ,મધ્યમ અને કનિષ્ઠ એમ વ્યાખ્યાઓ પણ તેમણે બતાવી આપી છે.

શિવલાલ ધનેશ્વર કવિ, Shivalal Dhaneshwar Kavi


જન્મ

  • 1850  ;   વતન : મુન્દ્રા (કચ્છ)

અવસાન

  • 1899

જીવન ઝરમર

  • 1871  – ‘પ્રાસ્તાવિક કાવ્ય’ નામક માસિક અને કાવ્યસર્જનની શરુઆત 
  • 1875 – કચ્છના રાજ્યકુટુંબના શિક્ષક 
  • 1887 – કચ્છના મહારાજા સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે 
  • 1894 – કચ્છના કાયદાઓના અભ્યાસ બાદ મુંન્દ્રામાં ન્યાયાધીશ

રચનાઓ 

  • 1875 –  રામાયણ (તુલસી રામાયણનું ભાષાંતર) ,  નરસિહરાવે એને ઉચ્ચ વર્ગના કવિનું સર્જન કહીને સન્માન્યું
  • 1897 –  કાલિદાસના મેઘદૂતનું ભાષાંતર 
  • 1885 –  કચ્છભૂપતિ વિવાહ વર્ણન
  • 1886 –  પ્રવાસવર્ણન.

લાક્ષણિકતાઓ

  • કચ્છથી માંડીને મહાબળેશ્વર સુધીનાં સ્થળોનું સૃષ્ટિસૌંદર્ય કલ્પનાના રંગે દોર્યું જે આપણને પ્રથમવાર મળે છે.
  • કચ્છના મહારાજાની વ્યક્તિગત પ્રશસ્તિનું કાવ્ય આપ્યું.
  • મેઘદૂતના ભાષાંતરમાં પૃથ્વી અને સ્રગ્ધરા છંદોની યોજના કરી છે જેમાં વિષયોને ન્યાય મળવા ઉપરાંત કાવ્યની રમણીયતા પણ જળવાઈ છે.

ભોળાનાથ સારાભાઈ, Bholanath Sarabhai


– અર્વાચીન ભક્તિ કવિતાના પુરોગામી

– સુધારક યુગના પ્રખર સાહિત્યકાર

__________________________________________________________ Read more of this post

%d bloggers like this: