“આપણા હાથમાં સો રૂપિયાની ખોટી નોટ આવી જાય તો એને ચલણમાંથી તરત ખેંચી લેવામાં આવે છે, એ રીતે ચોપડીઓની બાબતે કેમ નથી થતું ?”
—
“આપણે રે ઉજાસે આપણે ચાલીએ !”
—
“આપણને ભળાવી રે ભલી ભોમકા,
શબ્દ મોતી મૌનના ભંડારનું !
મહીં મેલ્યાં આભ અપરંપાર,
શબ્દ પાણી વજ્ર કેરી ધારનું !”
તેમની એક ઓળખ – બિન ગુજરાતીને ગુજરાતી
નામ
ઉપનામ
જન્મ
- 4-ફેબ્રુઆરી , 1925 ; કોડીનાર જિ.જુનાગઢ
અવસાન
કુટુમ્બ
- પિતા – છોટાલાલ ; માતા –
- પત્ની – મધુબેન ; પુત્ર – સુધાંશુ ; પુત્રી – નયના : જમાઇ – રાજેન્દ્ર શુકલ + બન્ને જાણીતા કવિ
અભ્યાસ
- 1943 – મૅટ્રિક
- 1947 – બી.એ. – (ગુજ,-સંસ્કૃત)
- 1949 – એમ.એ. – (ગુજ,-સંસ્કૃત)
વ્યવસાય
- રાજકોટ,જામનગર, ભૂજ અને અમદાવાદ માં ભાષા શિક્ષણ
- 1985 – ગુજરાત વિદ્યાપીઠમાં ભાષા-સાહિત્યના પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત
જીવન ઝરમર
- યુ.એસ.એ.ના વર્મોન્ટ રાજ્યના બ્રેટલબરો નગરની એસ.આઇ.ટી. સંસ્થામાં અમેરિકાનાવિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા ભણાવવાનું મહત્વનું કાર્ય
- ઉંઝા જોડણીના પ્રચાર-પ્રસારનું કાર્ય
- ગુજરાતી ભાષા પરિષદના હાલના પ્રમુખ
- માનિતા લેખકો : શેક્સ્પીઅર,રવીન્દ્રનાથટાગોર,ઉમાશંકર જોશી,મેઘાણી.
- જીવન સુત્ર – “Lamps do not talk, they Shine.”
રચના
- સ્થવિરાવલી (મુની રત્નપ્રભવવિજયજી સાથે) , માયા લોક (વિનોદ અધ્વર્યુ સાથે), ચાર ફાગુ (મો.શં.પટેલ સાથે), સા વિદ્યા યા, શબ્દ નિર્મિત,
- લોક સાહિત્ય – * લોક વાંગ્મય
- ચરિત્ર – મેઘાણી સંદર્ભ, મેઘાણી છબિ, મેઘાણી ચરિત
- શબ્દનો સોદાગર (સંપાદન)માહિતી ખાતું
- વિવેચન – ચાર ગ્રંથો ભરાય એટલા લેખો અપ્રગટ
સન્માન
- 1970 – કુમાર ચંદ્રક
- મૅરિટ ઍવોર્ડ
- ગુજરાત ગૌરવ પુરસ્કાર
- * લોકવિદ્યા વિભાગનું વર્ષનું શ્રેષ્ઠ પુસ્તક તરીકે નો અકાદમી ઍવોર્ડ
તેમને એક શ્રધ્ધાંજલિ

કનુભાઈ જાની : વિદ્યાનો વિજાણંદ
========
મેઘાણીના ટોડલાનો મોર ઉડી ગયો
========
સાડા ચાર ફૂટથી થોડીક વધારે ઉંચાઈ,એકવડિયા નહીં એવા સ્થૂળ,કેસરીયા કપૂરવર્ણી,સહેજ ભૂખરી ,બાળસહજ ચકળવકળ થતી આંખો,સહેજ લંબગોળ ચહેરા પરનું હાસ્ય આપણો ઉપહાસ કરે છે કે વધાવે છે એ,આપણે નક્કી કરી લેવાનું,એ કળાવા ન દે.ગુસ્સો ન કરે,પણ અણગમો તરત વ્યક્ત કરે.એમની હૈયા યાદીમાં નામ ઝટ ન લખાય,પણ લખાયા પછી લેખે નહીં લાગે એમ એમને લાગે તો ફટ ભૂંસી નાખે.આઘા રે પણ અણગમતાંનેય ગાલે ગુલાલ લગાવવાનું ચૂકે તો એ કનુભાઈ જાની નહીં.
પાંડિત્યની વારસાઈ.એમાં જાત અને જીવ લગાવી બહુઘણી કરી.ભણવું અને ભણાવવું – બસ આ બે જ શોખ.ખાન-પાન,રસ-રંગથી આઘા રહેનારા શુષ્ક નહીં પણ સેરસપાટા કે ગામગપાટાથી આઘા.
સવારે સાડા દસ આસપાસ કાં રીક્ષા કાં લાલ બસમાં વિદ્યાપીઠ પાસે એક પ્રોઢ યુગલ ઉતરે.ખાદીનાં એકદમ સુઘડ કપડાં પહેરેલો પુરુષ ગૂજરાત વિદ્યાપીઠના ઝાંપામાં પ્રવેશે,મહિલા સી.યુ.શાહ સાયન્સ કોલેજ જતી ગલીમાં.એ ત્રિભેટે બેય જાણે નવતર જોડું હોય એમ એકમેક તરફ જોઈ લે.વાગવ્યાપાર કશો નહીં,પણ કનુભાઈ પત્નીની આંખમાંની સૂચનાઓ પામી જાય,વખતસર દવા લેવાની કે ટિફિન ખાઈ લેવાનું.બેયની નિવૃત્તિ સુધી આ ક્રમ રહ્યો.ઝાઝા ભાગે ગંભીર લાગતા કનુભાઈ જાણે એ મિનિટે રોમેન્ટીક લાગતા.
વિદ્યાપીઠના મ.દે.ભવનના ત્રીજા માળે જમણી પાના ખંડમાં પ્રવેશો તો,ધોળા ગાદી-તકિયે, આગળ ઈસ્કોતરો એના ઉપર પુસ્તકો,પાસે ઢાળીયું પુસ્તકોથી ભરેલું,આસપાસ પુસ્તકોના થપ્પા, આ બધા વચ્ચે આછા વાળવાળું એક માથું જરાક હાલતું દેખાય.જાણે ગ્રંથ ગાળે બેઠેલો વિદ્યાનો વિજાણંદ.સહેજ માથું બોલાવવું એ એમનો તકીયા કલામ હતો.
એ ખંડના બારણે કનુભાઈના નામ સાથે આદિવાસી ચિત્રકામનો એક મોર ચિતરેલો રહેતો.આ મોર કનુભાઈનો રુક્કો હતો.પત્ર વગેરેમાં ઝાઝા ભાગે એ ચિતરતા જ.કમાડે ચિતરેલા મોર વિશે કહેતા ‘બારણે ટકોરા નહીં,ટહુકા થાય.’
ભણાવવું એ એમનો આત્મભાવ હતો.વિદ્યાર્થીનું વિત્ત તરત પારખી લે.એ મુજબ વિષય અને ગહનતા નક્કી કરે.વિદ્યાર્થીને ભણાવવા સાથે એમની ભણવાની પ્રક્રિયા પણ ચાલે.લોકવિદ્યા(Folklore)ના પશ્ચિમ પ્રવાહને ગુજરાતીમાં કદાચ પહેલવહેલો કનુભાઇએ પ્રાશ્યો.રિચાર્ડ ડૉર્ડસનનું Fakelore or folklore,મારીયા લીંચની મોટિફ ડિક્સનરી સહિતનાં પુસ્તકો સુધી પહોંચ્યા અને વિદ્યાર્થીઓને પહોંચાડ્યા.લોકવિદ્યામાં સંપાદનનાં મેઘાણીભાઈએ ખાતમૂહુર્ત અને ચણતર તો કરી દીધાં હતાં. કનુભાઇએ એનો પશ્ચિમી ધોરણે તપાસવાના,સમજવાના,વ્યાખ્યાયિત કરવાના ઉપક્રમનો પ્રારંભ ગુજરાતીમાં આદર્યો.folk leturature માટે લોકવાડ્ગમય જેવા પારિભાષિક શબ્દો તેમણે ઘડ્યા.folktale અંગે વિદ્વાન પુષ્કર ચંદરવા કરના ‘લોકવાર્તા’ નામાભિધાન ને તેમણે સતર્ક નકારી ‘લોકકથા’ જ ઠરાવ્યું હતું.ચારણી સાહિત્ય ‘લોકસાહિત્ય’ નથી એ એમણે દ્રઢતાથી પ્રતિપાદિત કર્યું.
મેઘાણીભાઈની અધિકૃત જન્મતારીખ નક્કી કરવાથી મેઘાણીભાઈના લોકસાહિત્ય સંપાદનના કનુભાઈ તલગામી અભ્યાસી હતા.કનુભાઈનું યોગ્ય પોંખણું ન થયું એ વસવસાનો વિષય નથી,મેઘાણી વિશે વધુ અભ્યાસ આપે એ ન થયું એ વસવસો.
કનુભાઈ ગાજ્યા નથી પણ વરસ્યા છે ખૂબ.આપણાં વાસણ છીંછરાં પડ્યાં.
આદિવાસી લોકસાહિત્યના અભ્યાસી ભગવાનદાસ ને દ્વિજ કહો તો એમનો બીજો જન્મ કનુભાઈ ના પટે થયો.પુરાતત્વના વિદ્યાર્થી ભગવાનદાસ ને એમણે પારખી લીધા ને આદિવાસી લોકવાગ્ડ્મયના રસ્તે ચઢાવ્યા.પરિણામ સામે છે.અમૃત પટેલ,પરમ પાઠક સહિતના વિદ્યમાન લોકવિદ્યાવિદો એમના ગુરૂપણાનો પરિપાક છે.કુમારપાળ દેસાઈ પણ એમનું શિષ્યત્વ ભોગવી ચૂક્યા છે.કનુભાઈ વિદ્યાર્થીનું કુટુંબ સહિત ધ્યાન રાખે પણ કરવાનાં અભ્યાસ કામોમાં જરાય કચાશ કે અધુરપ ન ચલાવી લે.ધડાધડ પુસ્તક કરવાની,મંચ મહાશય બની જવાની ઘેલછાની એમને ભારે ચીડ.આરંગેત્રલ કરવા ગોઠવણ નહીં,કમરતોડ મહેનત કરવી એ એમનો ગુરૂલેખ.
પાછલી વયે શ્રવણશક્તિ ક્ષીણ થઈ.મશીનનો કોલાહલ પજવે,પણ કાર્યનિષ્ઠા યથાવત.’ઉંઝા જોડણી’ના સમર્થક.બધી જ સભાઓમાં આવે.જોડણીસુધાર એમની ચિંતા હતી.
કંધોતરની વિદાય અને એનું તર્પણ કનુભાઈનાં આત્મસાધ્ય ગીતા બોધને દેખાડે.છેલ્લે સ્પૃહા ઘટાડતા ગયા.પોતાનો અમૂલખ પુસ્તક ભંડાર નિરંજન રાજયગુરુને ભળાવ્યો.
લખવામાં સાવ ટૂંકાં વાક્યો અને કર્તા,કર્મ છેડે રાખનાર કનુભાઈએ કર્મને મૉવડ રાખેલું,પોતાનો કર્તાભાવ છેવાડે.
જીવનમાં શરદી અને રામલાલ પરીખે એમને ખૂબ હેરાન કર્યા.એમણે એ બેયને સાથે રાખી કરવા ધાર્યું કર્યું જ.
મેઘાણીના ટોડલાનો મોર ઉડી ગયો.ટહુકા સંભળાશે.
-Jashvant Raval(Anand)
Like this:
Like Loading...
વાચકોના પ્રતિભાવ