ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: અવનવું

વેદિક વિજ્ઞાન


સાભાર – ડો. કનક રાવળ

હિંદુ અને વેદિક

દર્શન અને શાસ્ત્રોનો

અદભૂત ખજાનો

અહીં ક્લિક કરો

ગુજરાતીમાં જ નહીં – ૧૮ ભાષાઓમાં!

એમાંથી આ એક જ ..

જય જય જય પ્રિય ભારત

જય જય જય પ્રિય ભારત જનયિત્રી દિવ્ય ધાત્રિ
જય જય જય શત સહસ્ર નરનારી હૃદય નેત્રિ

જય જય જય સુશ્યામલ સસ્ય ચલચ્ચેલાંચલ
જય વસંત કુસુમ લતા ચલિત લલિત ચૂર્ણકુંતલ
જય મદીય હૃદયાશય લાક્ષારુણ પદ યુગળા! ॥ જય ॥

જય દિશાંત ગત શકુંત દિવ્યગાન પરિતોષણ
જય ગાયક વૈતાળિક ગળ વિશાલ પદ વિહરણ
જય મદીય મધુરગેય ચુંબિત સુંદર ચરણા! ॥ જય॥

ગુજરાતી સાહિત્ય


એક ગીતના શબ્દો જોઈતા હતા. ગૂગલ મહારાજને એ ગીતના ચાર જ શબ્દ કહ્યા અને એ ગીત મળી ગયું. પણ અહીં વાત એ ગીતની કરવાની નથી. જે સ્થળેથી એ ગીત મળી ગયું – એ સ્થળનો પરિચય આપવો છે.

રાજકોટના શ્રી. વિકાસ કૈલાના સંચાલન અને ત્રણ ખ્યાતનામ સાહિત્યકારોના માર્ગદર્શન હેઠળ ૧૩ તરવરતા તોખાર જેવા યુવાન/ યુવતિઓની ટીમે વિશ્વ ગુર્જરીને એક અદભૂત નજરાણું આપ્યું છે.

એમાં શું શું છે? – એ વર્ણન કરવાની પણ આ જણ પાસે શક્તિ નથી. કારણ કે, એ એક અદભૂત ખજાનો છે. રસ ધરાવનાર વાચકે જાતે જ એની મૂલાકાત લેવી પડે.

એમના જ શબ્દોમાં –

ગુજરાતી ભાષાના વિકાસ માટે અત્યારે ચારે તરફ યથાશક્તિ પ્રયત્નો થઇ રહ્યા છે. આમ તો ભાષા એ વ્યક્તિ અને પ્રજામાં જીવતું જીવનભૂત તત્વ છે. પ્રજાના માનસમાં અને વ્યવહારમાં એ જીવે અને એનું પ્રતિબિંબ જેમ અન્યત્ર એજ રીતે સાહિત્યમાં પડતું હોય છે.

આવું સાહિત્ય માત્ર પુસ્તકોના પાનાંઓ પર રહે તો એની મર્યાદા વધતી જાય. પ્રત્યાયનના સાધનો અને ધોરણો વિકસે એજ રીતે સાહિત્યના પણ પ્રત્યાયન આયામો વધવા જોઈએ. જે માધ્યમ સૌથી વધુ સક્રિય હોય એનો મહત્તમ વિનિયોગ થવો જોઈએ. તો વ્યાપની શક્યતાઓ વધુ છે.

આવું થોડા રાજકોટનાં નવયુવાન સાહિત્યચાહકોને થયું. અને એનું પરિણામ તમારી સામે છે. આ યુવકોની છેલ્લા એકાદ વર્ષની મહેનતનું આ પરિણામ છે. હેતુ માત્ર સાહિત્યનો અને એ દ્વારા ભાષાનું વ્યાપક વિસ્તરણ થાય એજ.

અહીં મધ્યકાળથી માંડીને સાંપ્રત ગુજરાતી સાહિત્યની કૃતિઓ યથાતથ સ્વરૂપે આપની સામે છે. એ તમારા આનંદનું અને ભાષા પ્રત્યે પ્રેમનું કારણ બને એજ ઉપલબ્ધિ. આવા અનેક પ્રયોગો થશે તો સાહિત્ય તો બહુજન સુધી પહોંચશે જ પણ સાથે ભાષા પણ નવતર અને નવા આયામ રચશે એવી અમને તો શ્રદ્ધા છે. આપ એને બેવડાવો એવી અભ્યર્થના.


આભાર

માતૃભાષા અને કવિવર ટાગોર


સાભાર – લતા હિરાણી

લેખક – કુમારપાળ દેસાઈ

લેખકનો સંબંધ પોતાની ધરતી સાથે છે. પોતાના લોકો સાથે અને પોતાની ભાષા સાથે. એ જ તમને પોતીકાપણાનો અહેસાસ આપશે.– રવીન્દ્રનાથ ટાગોર

અભિનેતા બલરાજ સહાનીએ પોતાની આત્મકથામાં આ ઘટનાનું હૃદયસ્પર્શી રીતે બયાન કર્યું છે.

1937માં ચોવીસ વર્ષના યુવાન બલરાજ સહાનીએ શાંતિનિકેતનમાં હિંદી સાહિત્યના અધ્યાપક તરીકે કામગીરી શરૂ કરી. બલરાજ સહાનીએ અંગ્રેજી ભાષામાં સાહિત્યસર્જન કરવાની શરૂઆત કરી હતી. કવિવર ટાગોરના સંપર્કમાં આવ્યા અને એમણે કવિવરના વિચારો જાણ્યા.

કવિવર રવીન્દ્રનાથ ટાગોર માનતા હતા કે અંગ્રેજી સાથે આપણો પહેલો પરિચય કરાવનારને નથી આવડતું સારું બંગાળી કે નથી આવડતું સારું અંગ્રેજી. એ લોકોને માત્ર એક જ લાભ મળે છે કે બાળકોને શીખવવા કરતાં તેઓ ભુલાવવાનું કામ કરી શકે છે અને તેમાં તેઓ પૂર્ણ સફળતા મેળવે છે. બાળકને સમજાય તે પહેલાં એને ગોખવાનું શરૂ કરવું પડે છે અને એને કારણે ચાવ્યા વિના ગળી જવા જેવું પરિણામ આવે છે.

આથી જ બંગાળી માતૃભાષા માટેની એ સમયની સ્થિતિનું વર્ણન કરતા કવિવરે લખ્યું છે કે, ‘પાની મેં મીન પિયાસી, સુનત સુનત લાગે હાસી.’ એટલે કે આપણી પાસે પાણી પણ છે અને તરસ પણ છે એ જોઈને દુનિયાના લોકો હસે છે અને આપણી આંખમાં આંસુ આવે છે. માત્ર આપણે એ પાણી પી શકતા નથી.

ગુરુદેવની માતૃભાષા માટેની આવી ઉચ્ચ ભાવના અને બલરાજ સહાનીની માતૃભાષા માટેની સદંતર ઉપેક્ષા. પહેલાં નાટક અને પછી ફિલ્મના સંવેદનશીલ અભિનેતા એવા શાંતિનિકેતનના ચોવીસ વર્ષના યુવાન અધ્યાપક બલરાજ સહાની ગુરુદેવને મળવા માટે જાય છે ત્યારે છોંતેર વર્ષની વયે પણ કવિવર ટાગોર શાંતિનિકેતનમાં ચાલતી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેતા હતા. એ સમયે કવિવર ટાગોર બલરાજ સહાનીને પૂછતા કે, ‘બંગાળી ભાષા શીખી રહ્યા છો ને?’ અને બલરાજ સહાની બંગાળી શીખતા હતા, પણ સાચા દિલથી નહીં. કવિવરનો આવો પ્રશ્ન સાંભળીને યુવાન સહાનીના મનમાં સવાલ જાગતો કે કવિવર કેવા પ્રાંતિયતાના શિકાર છે! વળી બીજી બાજુ તેઓ ‘વિશ્વભારતી’ના આદર્શોની વાત કરે છે. તેઓ શાંતિનિકેતનને ભારતીય સંસ્કૃતિ જ નહીં, પણ વિશ્વસંસ્કૃતિનું કેન્દ્ર બનાવવા ચાહે છે, પણ મારા પર તો એ પોતાના પ્રાંતની ભાષા થોપી દેવા માગે છે. આ તે કેવો ઢોંગ? 

એક દિવસ શાંતિનિકેતનના વાર્ષિક હિંદી સંમેલનમાં કવિવરને નિમંત્રણ આપવા માટે બલરાજ સહાની ગયા, ત્યારે કવિવરે કહ્યું, ‘તમે તો અહીં માત્ર થોડા મહિના જ રહેવાના હતા અને અત્યારે એક વર્ષથી વધુ સમય થઇ ગયો છે. હવે શા માટે જતા નથી ? કવિવરનો આવો પ્રશ્ન બલરાજ સહાનીના હૃદયને આઘાત કરી ગયો. શાંતિનિકેતનમાં અધ્યાપક તરીકે એમનું કામ સંતોષપ્રદ હતું અને એમના સાથીઓ પણ એમના અધ્યાપનથી પ્રસન્ન હતા. વળી વિદ્યાર્થીઓ પણ એમને ચાહતા હતા. આવું હોવા છતાં શા માટે ગુરુદેવ, અહીંથી  જવાનું કહે છે ?

બલરાજ સહાનીએ કહ્યું, ‘હું અહીં ખુશ છું. હું અહીંથી બીજે ક્યાંય જવા ચાહતો નથી.’ ‘પરંતુ આ એવી જગા નથી કે જ્યાં તમે હંમેશને માટે રહી શકો. હવે તમને ખબર પડી હશે કે અમે અહીં શું કરવા માગીએ છીએ. હવે તો તમારે તમારા પ્રાંતમાં જઇને આ સંદર્ભે સર્જનાત્મક કામ કરવું જોઇએ.

‘હું અહીં ઘણો જ સર્જનશીલ છું. એમાં મારે કોઇ બદલાવ લાવવો નથી. હું ખુશ છું અને મારા પત્ની પણ અહીંથી ખુશ છે.’ ગુરુદેવે પૂછ્યું, ‘અધ્યાપન  કાર્ય સિવાય બીજુ  શું કામ કરો છો ?’

બલરાજ સહાનીએ કહ્યું, ‘હું હિંદીમાં વાર્તાઓ લખું છું અને તે હિંદી સાહિત્યનાં અગ્રણી સામયિકોમાં પ્રકાશિત પણ થાય છે. અહીં રહીને મેં ઘણું લખ્યું છે અને મને સારી એવી પ્રતિષ્ઠા પણ મળી છે.’

ગુરુદેવે વળતો સવાલ પૂછ્યો, ‘પરંતુ તમારી ભાષા હિંદી નથી ને? તમે તો પંજાબી છો. તો પછી પંજાબીમાં કેમ લખતા નથી?’ ગુરુદેવનાં આ શબ્દો સાંભળતાં જ બલરાજ સહાનીને લાગ્યું કે ગુરુદેવ અત્યંત સંકુચિત વિચારો ધરાવતા પ્રાંતિયતાવાદી છે. એ સમયે બલરાજ સહાનીને એની જાણકારી નહોતી કે કલાકાર ત્યારે જ આંતરરાષ્ટ્રીય બની શકે છે, જ્યારે પહેલાં એ સાચા અર્થમાં રાષ્ટ્રીય બને.

બલરાજ સહાનીએ પોતાનું મંતવ્ય સમજાવતાં કહ્યું, ‘પણ હિંદી તો રાષ્ટ્રભાષા છે, સમગ્ર દેશની ભાષા છે. હું કોઈ પ્રાંતીયભાષામાં શા માટે લખું, જ્યારે હું સમગ્ર દેશને માટે લખી શકું છું.’

વયોવૃદ્ધ કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું, ‘હું બંગાળીમાં લખું છું, જે પ્રાંતીય ભાષા છે, પરંતુ આખું હિંદુસ્તાન નહીં, આખી દુનિયા એ વાંચે છે.’

બલરાજ સહાનીએ નમ્રતાથી કહ્યું, ‘હું કંઈ આપના જેવો મહાન લેખક નથી. હું તો એક મામૂલી લેખક છું.’

‘જુઓ, આમાં કોઈ મામૂલી કે મોટા લેખકનો સવાલ જ નથી. લેખકનો સંબંધ પોતાની ધરતી સાથે છે. પોતાના લોકો સાથે અને પોતાની ભાષા સાથે. એ જ તમને પોતીકાપણાનો અહેસાસ આપશે.’

બલરાજ સહાનીએ બચાવમાં કહ્યું, ‘કદાચ આપને મારા પ્રાંતની પરિસ્થિતિની સાચી જાણકારી નહીં હોય. પંજાબમાં અમે કાં તો હિંદીભાષામાં લખીએ છીએ અથવા તો ઉર્દૂમાં. પંજાબીમાં તો કોઈ લખતું નથી. પંજાબી અત્યંત પછાત  ભાષા છે અને સાચું પૂછો તો એને ભાષા જ ન કહી શકાય. એ તો હિંદીની એક ઉપ-ભાષા માત્ર છે.’

કવિવરનો ધીરગંભીર અવાજ રણકી ઊઠયો, ‘તમારી વાત સાથે હું સહેજે સહમત નથી. પંજાબી સાહિત્ય બંગાળી સાહિત્ય જેટલું જ પ્રાચીન છે. શું તમે એ ભાષાને પછાત કહી શકો, જેમાં ગુરુ નાનક જેવાં કવિઓએ લખ્યું હોય?’ અને પછી ગુરુદેવે બલરાજ સહાનીને ગુરુ નાનકની કેટલીક પંક્તિઓ સંભળાવી, જેનાથી ખુદ બલરાજ સહાની એ સમયે અજાણ હતા.

એ પંક્તિઓ બોલ્યા પછી ગુરુદેવે કહ્યું, ‘મારે તમને એ કહેવું જોઈએ કે હું ગુરુ નાનકની મહાન કવિતાના કેટલાંક અંશોનો બંગાળીમાં અનુવાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પરંતુ મને લાગે છે કે હું એને પૂરો ન્યાય નહીં આપી શકું. આ તો શીખોની ધાર્મિક વાણી છે.’

ચોવીસ વર્ષના યુવાન બલરાજ સહાનીએ પોતાની વાતનો બચાવ કરતાં કહ્યું, ‘ગુરુદેવ, હું એવા સાહિત્યની વાત કરું છું જે ધાર્મિક અને સાંપ્રદાયિક બાબતોથી પર હોય. પંજાબમાં એવું કોઈ સાહિત્ય નથી, આથી જ આધુનિક પંજાબી ઘણી પછાત ભાષા રહી ગઈ છે.’

કવિવર બોલ્યા, ‘અરે! આવી વાતો તો આજથી એકસો વર્ષ પહેલાં અંગ્રેજી ભણેલા-ગણેલા બંગાળી બુદ્ધિવાદીઓ બંગાળી ભાષાને વિશે કરતા હતા. પોતાની ભાષાને સમૃદ્ધ બનાવવી એ સહેજે કઠિન કાર્ય નથી. બંકિમ બાબુએ (બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય) બંગાળી ભાષાને વીસ હજાર નવા શબ્દો આપ્યા. ખુદ મેં પણ એંસી હજાર નવા શબ્દો આપ્યા છે. મેં બંગાળી ભાષાને બનાવી છે.’ આટલું બોલ્યા પછી ગુરુદેવે સ્વાભિમાનપૂર્વક કહ્યું, ‘આજે આ ભાષા પોતાની અભિવ્યક્તિની બાબતમાં વિશ્વની કોઈપણ ભાષાથી પાછળ નથી.’

બલરાજ સહાનીએ આનો કશો ઉત્તર આપ્યો નહીં. એનું કારણ એ હતું કે પંજાબના મોટાભાગના લેખકો હિંદુ અને ઉર્દૂમાં લખતા હતા. પંજાબીમાં માત્ર ગુરુમુખી હતી. એ એક એવી લિપિ હતી કે જેનો પ્રયોગ માત્ર શીખો જ કરતા હતા, કારણ કે એ એમની ધાર્મિક ભાષા હતી.

બલરાજ સહાની ખુદ ગુરુમુખી ભાષાને વાંચી-લખી શકતા નહોતા અને બીજી બાજુ હિંદુસ્તાન આઝાદીને માટે ઝઝૂમતો દેશ હોવાથી એને એક રાષ્ટ્રભાષાની જરૂર છે, તેમ માનતા હતા. વળી કોંગ્રેસ રાષ્ટ્રભાષાના વિકાસને પ્રોત્સાહન આપતી હતી, પણ બલરાજ સહાનીએ વિચાર્યું કે ગુરુદેવ સાથે આ વિષય પર ચર્ચા કરવી યોગ્ય નથી. આથી એમણે મૂળ વાત પર આવતા ગુરુદેવને કહ્યું કે, ”હું આપને વાર્ષિક હિંદી સંમેલનમાં નિમંત્રિત કરવા માટે આવ્યું છું. આપ એનો સ્વીકાર કરો.”

ગુરુદેવે નિમંત્રણનો સ્વીકાર કર્યો અને બલરાજ સહાનીએ વિદાય લીધી. પણ હજી એ દરવાજા સુધી પહોંચ્યા નહોતા કે ગુરુદેવે એમને પાછા બોલાવ્યા અને એમણે જે શબ્દો કહ્યા તે કેટલાંય વર્ષો સુધી બલરાજ સહાનીના ચિત્તમાં ઘુમરાતા રહ્યા અને સમય જતાં ખુદ બલરાજ સહાનીએ અહેસાસ કર્યો કે એ શબ્દોમાં કેટલી બધી સચ્ચાઈ હતી.

ગુરુદેવે કહ્યું, ‘એક વેશ્યા સંસારની સઘળી દોલત પામીને પણ ઇજ્જતદાર બની શકતી નથી. તમે પારકી ભાષામાં ભલે આખી જિંદગી લખતા રહો, પરંતુ ન તો તમારા પોતાના લોકો તમને પોતાના સમજશે અને તમે જેમની ભાષામાં લખતા હશો, તેઓ પણ તમને પોતાના નહીં માને. બીજાના બનતાં પહેલાં તમારે તમારા પોતાના લોકોના બનવું જોઈએ.’

કવિવરની વાતચીત કરવાનો અનોખો તરીકો હતો. એ ક્યારેય અકળાતા કે ગુસ્સે થતાં નહીં, પરંતુ એની સાથોસાથ સાચી વાત કહેતાં સહેજે પાછી પાની કરતા નહીં, કારણ કે તેઓ જાણતા હતા કે એક દિવસ સચ્ચાઈ એના મૂળિયાં દ્રઢ કરીને જરૂર ફૂલે-ફાલશે.

બલરાજ સહાનીએ અનુભવ્યું કે કોઈ લાંબુ ભાષણ આવ્યા વિના કે સહેજે આક્રોશ દાખવ્યા વિના એમણે જે બીજ એમના હૃદયમાં રોપ્યું હતું તે આપોઆપ અંકુરિત થવા લાગ્યું અને ધીરે ધીરે તેઓ ગુરુદેવે બતાવેલા માર્ગ પર ચાલવા લાગ્યા. અંગ્રેજીમાં સર્જનકાર્ય કરતા બલરાજ સહાની સમય જતાં પંજાબી સાહિત્યના એક અગ્રણી સર્જક બન્યા. એમની કૃતિ માટે સેવિયેટ લેન્ડ એવોર્ડ પ્રાપ્ત કર્યો. પંજાબી ભાષાના સામયિકોમાં એમની કવિતાઓ અને ટૂંકી વાર્તાઓ પ્રગટ થતી રહી. એમણે આત્મકથા લખી. ૧૯૭૩માં મુંબઈમાં પંજાબી કલાકેન્દ્રની સ્થાપના કરી, જે આજે પણ પ્રતિવર્ષ બલરાજ સહાની એવોર્ડ આપે છે.

આમ અંગ્રેજી ભાષામાં અનુસ્નાતક થનારા અને સર્જનકાર્ય કરનારા તથા હિંદી સાહિત્યમાં કલમ ચલાવનાર સંવેદનશીલ અભિનેતા બલરાજ સહાની ગુરુદેવના એ પ્રસંગને કારણે માતૃભાષા પંજાબીમાં લખનારા અગ્રણી સર્જક બન્યા.

કુમારપાળ દેસાઈ

સૌજન્ય : દૈનિક ગુજરાત સમાચારમાં લેખકની કૉલમ ‘ઈંટ અને ઇમારત’નો તા. 18 ફેબ્રુઆરીનો લેખ (સહેજ ટૂંકાવીને)

ગુજરાતી વ્યાકરણ વૃક્ષ


સાભાર – શ્રી. મોઈઝ ખુમરી

છ વર્ષનો પ્રોગ્રામર


સાભાર – દિવ્ય ભાસ્કર ૯ , નવેમ્બર – ૨૦૨૦

દેશનું ગૌરવ:બે વર્ષની વયે ટેબ્લેટ, લેપટોપ શીખ્યો, 5 વર્ષે ગેમ બનાવી, છ વર્ષે વિશ્વમાં સૌથી નાની ઉંમરના પ્રોગ્રામરનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

  • 6 વર્ષની ઉંમરે આ તેજસ્વી વિદ્યાર્થીએ શક્તિશાળી પાયથન પ્રોગ્રામિંગ લેંગ્વેજની પરીક્ષા પાસ કરીને ભારતનું ગૌરવ વધાર્યું
  • અમે એક અત્યંત તેજસ્વી પ્રતિભાને ઊભરતી જોઈ રહ્યા છીએ, સ્કૂલ માટે ગૌરવની ક્ષણઃ ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સી

અમદાવાદ સ્થિત ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનમાં બીજા ધોરણમાં ભણતા અર્હમ ઓમ તલસાણિયાએ માત્ર છ વર્ષની ઉંમરે શક્તિશાળી પાયથન પ્રોગ્રામિંગ લેંગ્વેજની પરીક્ષા પાસ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પરીક્ષા 23મી જાન્યુઆરી, 2020ના રોજ માઈક્રોસોફ્ટ દ્વારા પ્રમાણિત પિયર્સન વૂ ટેસ્ટ સેન્ટર ખાતે યોજાઈ હતી. ઘણા એન્જિનિયરો માટે પણ અઘરી ગણાતી આ પરીક્ષાને આ તેજસ્વી વિદ્યાર્થીએ પાસ કરીને વિશ્વના સૌથી નાની વયના કમ્પ્યૂટર પ્રોગ્રામનું બિરૂદ મેળવ્યું છે.

અર્હમે પાકિસ્તાની મૂળના અને હાલ બ્રિટનમાં રહેતા સાત વર્ષના મુહમ્મદ હમઝા શેહઝાદનો અગાઉના ગિનેસ રેકોર્ડ તોડ્યો છે. આ પરીક્ષામાં ઉમેદવારે 1,000માંથી 700 માર્ક્સ મેળવવાના હોય છે. અર્હમ હાલ સાત વર્ષનો છે અને તેણે જ્યારે પરીક્ષા આપી ત્યારે 6 વર્ષનો હતો. તેણે પરીક્ષામાં 1,000માંથી 900 માર્ક્સ મેળવીને ‘માઈક્રોસોફ્ટ ટેક્નોલોજી અસોસિયેટ’ તરીકે ઓળખ મેળવી છે.

ફર્સ્ટ પર્સન – અર્હમ તલસાણિયા, ઉદગમ સ્કૂલનો ધોરણ-2નો વિદ્યાર્થી
માતા-પિતા આઇટી ફિલ્ડમાં હોવાથી નાનપણથી જ હું વિવિધ ગેજેટ્સ સાથે રમતો હતો. હું બે વર્ષનો હતો ત્યારે પપ્પા કે મમ્મી કામ કરતા હોય ત્યારે લેપટોપ કે ટેબ્લેટ શીખ્યો હતો. મને વિવિધ ગેજેટ્સમાં ખૂબ રસ પડતો હતો. પાંચ વર્ષે હું બ્લોક બેઇઝ્ડ પ્રોગ્રામ શીખ્યો. એક દિવસ પપ્પા ઘરે કામ કરી રહ્યાં હતા, મેં પૂછ્યંુ કે તેઓ શું કરી રહ્યાં છે? તેમણે મને કમ્પ્યૂટરની પાયથન લેંગ્વેજમાં કામ કરી રહ્યાં હોવાનું જણાવ્યું. મને રસ પડ્યો તો મેં પૂછ્યંુ કે મને શીખવશો? પાયથન શીખવાની મારી જર્ની ત્યાંથી શરૂ થઇ. પપ્પા રવિવારે મને શીખવતા.

‘IQ ચેક કરવા અટપટા પ્રશ્નો પૂછાય છે’
પાયથન શીખવાની સાથે સાથે હું મારી નાની ગેમ પણ બનાવતો હતો. હાં, તે કોઇ ઓનલાઇન પ્લેટફોર્મ પર નથી. પરંતુ એ પઝલ, અંકોની પસંદગી, કેલ્ક્યુલેટર વગેરે ઇન્ટરેક્ટિવ ગેમ હતી. પરંતુ એ મેં બનાવી હતી. પાયથન મને બહું સરળ લાગવા લાગી. જ્યાં પણ અટકાતો ત્યાં મમ્મી કે પપ્પા તો હતા જ. અમે માઇક્રોસોફ્ટ ટેકનોલોજી એસોસીએટની પરીક્ષા આપવાનું નક્કી કર્યું. આ પરીક્ષા આઇટી ફિલ્ડનું ભણેલા લોકો માટે ઘણી અઘરી હોય છે. કારણ કે આ પરીક્ષામાં પ્રોગ્રામના કોડિંગની સાથે તમારું આઇ.ક્યુ ચેક કરવા માટે અટપટા પ્રશ્નો પૂછવામાં આવે છે. 23 જાન્યુઆરી-2020એ માઇક્રોસોફ્ટે નક્કી કરેલા સેન્ટર પર મેં પરીક્ષા આપી. મેં પરીક્ષામાં 1000 ગુણમાંથી 900 ગુણ મેળવ્યા અને વિશ્વમાં સૌથી નાની ઉંમરનો પ્રોગ્રામર બનીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

દર છ મહિને આંખોનું ચેકઅપ કરાવતોઃ અર્હમ
આ પહેલા આ રેકોર્ડ મૂળ પાકિસ્તાનના અને હાલ બ્રિટનમાં રહેતા મહંમદ હમઝાના નામે હતો. આજકાલ માતા-પિતાને ડર હોય છે કે જો બાળક નાનપણથી જ ટેબ્લેટ કે લેપટોપ પર કામ કરશે તો તેની આંખો ખરાબ થઇ થશે. પરંતુ મારા પેરેન્ટ્સ ગેજેટ્સ સાથે કામ કરતા હોવાથી તેઓને ખ્યાલ હતો કે મારે કેટલો સમય કામ કરવાનું છે, દર છ મહિને મારી આંખોની તપાસ કરાવતા હતા. હું ક્યારેય ટાઇમ પાસ કરવા કે એમ જ લેપટોપ પર નહોતો બેસતો. મને ખબર હોય છે કે મારે શું કરવું છે.

દુનિયામાં પાયથન લેંગવેજનો ઉપયોગ
વિદ્યાર્થીની સફળતા અંગે સ્કૂલને ગૌરવ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, રોબોટીક્સ અને ઇન્ટરનેટ ઓફ થિંગમાં પાયથન લૅન્ગવેજનો ઉપયોગ થાય છે. હાલ આખું વિશ્વ વર્ચ્યુઅલ દિશામાં જઈ રહ્યું છે. ધોરણ 8 અને 9ની એનસીઈઆરટીની બુકમાં પણ સમાવેશ કરાયો છે. અર્હમ આટલી નાની ઉંમરે કોડિંગ પર પકડ ધરાવે છે તે અત્યંત પ્રેરણાદાયી છે. – મનન ચોકસી, સંચાલક ઉદ્દગમ સ્કૂલ

અર્હમના માતા-પિતા સોફ્ટવેર એન્જિનિયર છે
અર્હમના માતા-પિતા બંને સોફ્ટવેર એન્જિનિયર છે. અર્હમને નાનપણથી જ કમ્પ્યૂટર્સ અને ટેબ્લેટ્સમાં ખૂબ જ રૂચિ હતી. તે હજુ બે વર્ષનો પણ નહોતો થયો ત્યારથી તેણે ટેબ્લેટ વાપરવાનું શરૂ કરી દીધું હતું. અલગ અલગ કમ્પ્યૂટિંગ ડિવાઈસીસ પર હાથ અજમાવવામાં તેને ખૂબ જ રસ હતો અને ત્રણ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો તે એન્ડ્રોઈડ, વિન્ડોઝ અને આઈઓએસ એમ બધી જ ઓપરેટિંગ સિસ્ટમ્સ વાપરતો થઈ ગયો હતો. પાંચ વર્ષની ઉંમરે પહોંચતા સુધીમાં તે છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ શીખે છે તે સ્ક્રેચ અને ટિન્કર જેવી તમામ સ્ટાન્ડર્ડ પ્રોગ્રામિંગ એપ્સ જાણતો હતો. તેને વીડિયો ગેમ્સ રમવાનો ખૂબ શોખ હતો અને તે પોતાની વીડિયો ગેમ બનાવવા માંગતો હતો પરંતુ આ શીખી ચૂકેલી એપ્સ તેના માટે પૂરતી નહોતી એટલે તેણે પાયથન શીખવાનું શરૂ કર્યું.

અર્હમ પિતાને આદર્શ માને છે
આ નાનકડો કમ્પ્યૂટર પ્રોગ્રામર તેના પિતાને પોતાનો આદર્શ માને છે. તેના પિતા ઓમ તલસાણિયા હાલ અમેરિકા સ્થિત એક મલ્ટીનેશનલ કંપનીના ટેક્નોલોજી હેડ છે. અર્હમની આ સિદ્ધિને વર્ણવતા તેઓ કહે છે “તેને વીડિયો ગેમ્સ રમવી ખૂબ ગમે છે અને તે પોતાની વીડિયો ગેમ બનાવવા માંગતો હતો. મેં તેને મારા પોતાના કેટલાક કોડ્સ બતાવ્યા અને તેને પાયથનની મદદથી પોતાની ગેમ બનાવવાની પ્રેરણા મળી. મેં તેને પાયથન પ્રોગ્રામિંગની પાયાની તાલીમ આપવાનું શરૂ કર્યું અને ટૂંક સમયમાં તે ઝડપથી શીખવા લાગ્યો. પાયથન પ્રોગ્રામિંગ લેંગ્વેજથી ગેમ્સ કેવી રીતે બનાવાય તે શીખવાનું તેણે શરૂ કરી દીધું.

માતા-પિતા અર્હમ વિશે શું કહે છે?
તેના માતાપિતાનું કહેવું છે કે અર્હમે જ્યારે કેટલીક નાની ગેમ્સ બનાવી લીધી ત્યારે અમને લાગ્યું કે તેના આ જ્ઞાનને પ્રોફેશનલ્સે પણ તેમની દ્રષ્ટિએ મૂલવવું જોઈએ. એટલે અમે પ્રોફેશનલ સર્ટિફિકેશન માટે અરજી કરી જેમાં તેને માઈક્રોસોફ્ટ ઓથોરાઈઝ્ડ ટેસ્ટ સેન્ટરમાં એક પરીક્ષામાં બેસીને પોતાને આ લેંગ્વેજનું કેટલું જ્ઞાન છે તે દર્શાવવાનું હતું. આ પરીક્ષા તેણે સફળતાપૂર્વક પાર પાડી અને ‘માઈક્રોસોફ્ટ ટેક્નોલોજી અસોસિયેટ’ તરીકે ઓળખ મેળવી જે ખૂબ જ પ્રતિષ્ઠિત અને ઉચ્ચ કક્ષાનું પ્રોફેશનલ સ્તરનું સર્ટિફિકેશન છે. સામાન્ય રીતે આઈટી કે કમ્પ્યૂટર એન્જિનિયર જે સર્ટિફિકેશન મેળવતા હોય છે તે અર્હમે માત્ર છ વર્ષની ઉંમરે જ મેળવી લીધું હતું.”

સ્કૂલે એ ભજવેલી ભૂમિકા અંગે અર્હમના પિતાઓમ તલસાણિયા કહે છે “ટેક્નોલોજીની બાબતમાં ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન પહેલેથી જ બીજી સ્કૂલો કરતાં ઘણી આગળ રહી છે. તેઓ કેજીના વિદ્યાર્થીઓ માટે કમ્પ્યૂટર અને આઈપેડથી ક્લાસીસ ચલાવે છે. ટેક્નોલોજી ખાલી મોજમજા માટે જ નથી, તેમાં તાર્કિક ગણતરીઓનું પણ ઘણું મહત્વ છે. સ્કૂલમાં લોજિક્વિડ્સ જેવા પ્રોગ્રામ્સ છે જે સિનિયર કેજીના વિદ્યાર્થીઓની તાર્કિક ક્ષમતાને વધારવામાં મદદરૂપ થાય છે. ઉદગમ સ્કૂલ એક્સ્ટ્રામાર્ક્સ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરે છે. ખાસ કરીને માઈક્રોસોફ્ટ ટીમ્સ જેનો મોટાભાગે આઈટી ઉદ્યોગમાં કોર્પોરેટ સ્તરે ઉપયોગ થતો હોય છે. પહેલા ધોરણના વિદ્યાર્થી માટે આ પ્રકારની સિસ્ટમ ઊભી કરવાથી બાળકને આઈટી ઉદ્યોગના સ્ટાન્ડર્ડ પ્લેટફોર્મ પર શીખવા મળે છે. આના પગલે વિદ્યાર્થીઓને બાળપણથી જ કોડિંગ અને ટેક્નોલોજીની દુનિયામાં આગળ આવવા માટે મદદ મળી શકે છે.”

અર્હમે પરીક્ષા માટે કેવી રીતે તૈયારી કરી?
શરૂઆતમાં અડધા કલાકથી એક કલાક સુધી ગમ્મત કરતાં-કરતાં કોડિંગની શરૂઆત થઈ. અર્હમ તેના પિતા સાથે શનિવારે અને રવિવારે થોડા સમય પસાર કરતો અને નાના પ્રોગ્રામ્સ બનાવતા શીખતો. એક વખત તેણે પૂરતું પાયાનું જ્ઞાન મેળવી લીધું પછી બંને જણા તેમાં વધુને વધુ સમય આપતા ગયા. એડવાન્સ લેવલે શીખતાં અર્હમને એટલો બધો રસ પડવા લાગ્યો કે આખું વીકેન્ડ પિતા-પુત્ર તેમાં જ રચ્યાપચ્યા રહેતા. પ્રોફેશનલ એન્જિનિયર્સ જેને હેકાથોન કહે છે તે મુજબ અર્હમ અને તેના પિતા આખું વીકેન્ડ ટેક્સ્ડ બેઝ્ડ ગેમ્સ બનાવવામાં જ વીતાવતા. અર્હમની માતા તેને પ્રોત્સાહિત કરતી અને આ સમગ્ર સફર દરમિયાન તેને ખૂબ જ મદદ કરી.

સ્કૂલ માટે ગૌરવની ક્ષણઃ ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સી
પોતાની શાળાના વિદ્યાર્થીએ મેળવેલી જ્વલંત સફળતા અંગે ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું હતું કે “અમારા માટે આ ખરેખર ગૌરવની ક્ષણ છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, રોબોટિક્સ અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સમાં પાયથન પ્રોગ્રામિંગ લેંગ્વેજનો મોટાપાયે ઉપયોગ થાય છે. વાસ્તવમાં NCERTએ ધોરણ આઠ અને નવના અભ્યાસક્રમમાં AI અને પાયથન લેંગ્વેજનો સમાવેશ કરેલો છે. છ વર્ષની ઉંમરે અર્હમ જે લોજિકલ સ્ટ્રક્ચર અને કોડિંગ એક્સપર્ટાઈઝ ધરાવે છે તે અભૂતપૂર્વ છે. અમે એક અત્યંત તેજસ્વી પ્રતિભાને ઊભરતી જોઈ રહ્યા છીએ અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે તેને શુભેચ્છાઓ પાઠવીએ છીએ.”

અર્હમ ટુંક સમયમાં વીડિયો ગેમ લૉન્ચ કરશે
હાલ અર્હમ તેની પોતાની વીડિયો ગેમ બનાવી રહ્યો છે. તે એક જ સમયે ગેમના ટુડી અને થ્રીડી વર્ઝન પર કામ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં આ ગેમ લોન્ચ કરશે. તે મોટો થઈને ટેક્નોલોજીના ક્ષેત્રે ઉદ્યોગસાહસિક બનવા માંગે છે. તે પોતાની ગેમ્સ, સોફ્ટવેર અને રોબોટ્સ પણ બનાવવા માંગે છે. તે ઈચ્છે છે કે ટેક્નોલોજી આપણા જીવનમાં પરિવર્તન લાવે અને આપણને ભવિષ્યની દુનિયામાં લઈ જાય.

વડોદરાનો ઈતિહાસ

કોયડા જ કોયડા…


કોયડા જ કોયડા…….

ઢગલાબંધ કોયડા……

જાતજાતના કોયડા !

આ ચિત્ર પર ક્લિક કરો

કેવા કેવા કોયડા?

અમદાવાદ વિશેની અજાણી વાતો


સાભાર – શ્રી. વિનોદ ભટ્ટ

ડો.માણેક પટેલના સંશોધન મંજૂશમાંથી મળેલી કેટલીક અજાણી વાતો….

(1) ઉસ્માનપુરા ગામનું નામ ઈસ્લામિક લાગે છે પણ તેના પ્રારંભિક વસવાટ કરનારા હિન્દુ જ હતા.

(2) અમદાવાદમાં એક રામજી મંદિરમાં કાળા કલરના રામ છે. રામ બધે ઊભેલા હોય છે આ મંદિરમાં બેઠેલા રામ છે. અહીં રામનવમીએ જન્મપત્રિકાનું વાચન થાય છે.

(3) વાડ નહોતી તેથી ગામનું નામ પડ્યું વાડજ.

(4) સોલા ગામનું રામજી મંદિર ઐતિહાસિક છે. અહીં સ્વાતંત્ર્યસેનાનીઓ રખાયા હતા.

(5) વસ્ત્રાપુર ગામમાં ઠાકોરોની મોટી વસ્તી છે. આ ગામમાં એક હજાર દુકાનો છે, પણ એક પણ દુકાન ઠાકોરની નથી.

(6) જુહાપુરામાં હજારો મુસ્લિમો રહે છે, પણ આ ગામ જુહાજી ઠાકોરે વસાવ્યું હતું.

(7) આઝમખાન જ્યારે અમદાવાદનો સૂબો હતો ત્યારે તેણે પોતાના હુકમથી ગાવા ન આવેલી આઠ ગાવાવાળી બહેનોને મરાવી નાખી હતી. એ ખૂબ ક્રૂર હતો. તેની ક્રૂરતા પરથી ગરબો રચાયો… કે કે લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ.. બાદશાહ બડો મિજાજી.. એ ઈશ્કમિજાજી હતો..

(8) મહાગુજરાત આંદોલનની લડતમાં 226 દિવસ ચાલેલો સત્યાગ્રહ સમગ્ર દેશનો અનોખો સત્યાગ્રહ હતો.

(9) ચંદ્રવિલાસની તુવેરની દાળ ખૂબ વખણાતી. લોકો ઘરે દાળ ના બનાવતા અને લાંબી લાઈનમાં ઊભા રહીને દાળ લઈ જતા.

(10) ચંદ્રવિલાસનો વકરો એટલો આવતો કે સિક્કાનું વજન કરીને કેટલો વકરો થયો છે તે નક્કી કરાતું.

(11) અમદાવાદમાં 1856માં આંગડિયા સર્વિસ શરૂ થઈ. ઊંઝાના જીવાજી ઈચ્છાજી પટેલે શરૂ કરેલી. પછી તો આંગડિયા સર્વિસ એટલી ચાલી કે સરકારનો પોસ્ટ વિભાગ હલબલી ગયો. તેમની ઘરાકી ઘટી એટલે તેમણે કેસ કર્યો. વાત છેક સુપ્રિમ કોર્ટ સુધી પહોંચી જેમાં આંગડિયાઓની જીત થઈ હતી.

(12) સરદાર પટેલ ટપાલીઓના યુનિયનના નેતા બન્યા હતા. એ વખતે ટપાલીઓ દિવસમાં ત્રણ ત્રણ વખત ટપાલ વહેંચવા જતા. પગાર મળતો હતો માત્ર 18 રૂપિયા. સરદાર પટેલને તેમની વાતમાં વજુદ લાગ્યું. તેમના નેતૃત્વમાં હડતાળ પડી. ટપાલીઓ જીત્યા અને પગાર 18નો 22 રૂપિયા થયો.

(13) જલેબી અને ફાફડાના કોમ્બીનેશનનો પ્રારંભ અમદાવાદની ચંદ્રવિલાસ હોટલે કર્યો હતો.

(14) અમદાવાદમાં હડકેશ્વરી દેવીનું મંદિર છે. જેને કૂતરું કરડ્યું હોય તે અહીં પગે લાગે તો સારું થઈ જાય છે.

(15) એક હસતી બીબીનો ગોખલો છે. એક એવી બીબી કે મહિલા હતી જે માંદા બાળકો પર હાથ મૂકે તો તેને સારું થઈ જતું હતું.

(16) બોપલ ગામ વસાવનારને તેનો યશ નથી મળ્યો. આ ગામની બહાર બોપલ દેસાઈ પોતાનાં પશુઓ લઈને બેસતો. લોકો કહેતા કે બોપલ દેસાઈની વસાહતે જવું છે.. તેમાંથી બોપલ નામ પડી ગયું.

(17) અમદાવાદમાં રાધનપુરના દિવાન સૈયર બાવા મિયાન કાદરીનો બંગલો હતો. એમના દીકરા એમ.બી.કાદરી અમદાવાદ શહેરના પ્રથમ ડેપ્યુટી મેયર બન્યા હતા. તેમનો દીકરો આઈ.એમ.કાદરી મુંબઈનો શેરિફ બન્યો હતો. હવે આ બંગલો હોટલમાં પરિવર્તિત થયો છે…!!!

ગીરનો સિંહ – વનકેસરી


સાભાર – શ્રી. મોઇઝ ખુમરી, ગીરના સિંહનું ફેસબુક પાનું

મૂળ સ્રોત પર જવા આ ચિત્ર પર ક્લિક કરો.

જૂનાગઢ- 1965માં ગીર ક્ષેત્રને અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું અને એ સાથે 1970 આસપાસ શરુ થઇ ગીરના માલધારીઓને ત્યાંથી ખસેડી અન્ય જગ્યાએ વસાવવાની હિલચાલ. જેના કારણે ગીરમાં રીસર્ચવર્કની શરુઆત થઈ. એ સમયે ગીરના સિંહ પર સૌપ્રથમ અભ્યાસ કરવા પોલ જોસલીન આવ્યા હતા. પોલ જોસલીને પોતાના રીસર્ચવર્ક દરમિયાન ગીરના એક ચારણ માલધારી જીણા નાના ઠાકરીયાને પોતાની સાથે રાખેલા.ઈ.સ. 1955-60માં ગીરમાં ‘ટીલીયા’ નામના એક સિંહ નરની ગજબની બોલબાલા હતી. ગીરના ઈતિહાસના સૌથી શક્તિશાળી સિંહ નર માંથીએક આ ટીલીયો પુખ્તવયની ભેંસનો શિકાર કર્યા બાદ તેની ડોકથી ઉંચકી ઢસડી લઇ જતો ત્યારે ભેંસનું શરીર જમીનને અડકવા ન દેતો, માત્ર ભેંસના પગ લીટા જમીન પર જોવા મળતાં હતાં. આવી અદભૂત તાકાત ધરાવનાર સિંહ નરની ભારત સરકારે 1960ની સાલમાં ટપાલટિકીટ પણ પ્રસિદ્ધ કરેલી.આ ટીલીયો જીણાભાઇનો અત્યંત હેવાયો હતો. ટીલીયો નાનો હતો ત્યારથી જ તેની મા ગંગા જીણાભાઇ સાથે ખૂબ આત્મીયતા ધરાવતી. જીણાભાઇ સૂતાં હોય તો તેની પડખે આવીને સૂઇ જાય. આ મિત્રતા હતી.એક વખત ટીલીયો નાનો હતો ત્યારે રમતોરમતો જીણાભાઇ સૂતા હતા તેના પડખામાં ઘૂસી ગયો હતો. જીણાભાઇને ખ્યાલ નહીં અને ટીલીયો તેમના હાથ નીચે દબાતા કાંવકારા કરવા લાગ્યો-રાડો પાડવા લાગ્યો. ટીલીયાની મા ગંગા સિંહણે સફાળી બેઠી થઇ અને સીધો જ પંજો જીણાભાઇની છાતી પર રાખ્યો અને ત્રાડ પાડી. જીણાભાઇએ માથા પરથી હાથ હટાવ્યા વગર બંધ આંખે જ સહજતાથી કહ્યું, “એ ગંગા… તુંય શું પણ… આતો હું છું જીણો…” અને ગંગાએ તરત જ પગ પાછો લઈ લીધો.પોલ જોસલીનનું આ રીસર્ચ 9-10 વર્ષ સુધી ચાલ્યું. રીસર્ચ દરમિયાન જીણાભાઇને કહેવામાં આવ્યું હોય કે, અઠવાડીયું આ સાવજ સાથે જ રહેવાનું છે. જનાવર શું ખાય છે? ક્યાં જાય છે? કેટલું મારણ ક્યારે કરે છે? જેવી બધી જ માહિતી એકઠી કરવાની છે. જીણાભાઇ પંદર પંદર દિવસ આમ જ જંગલમાં સાવજોની પાછળ પડ્યાં રહેતા અને માહિતી એકઠી કર્યાં કરતાં.જોસલીનના રીસર્ચના અંતિમ સમયે તેમણે જીણાભાઇને કહ્યું કે, એક બકરું લઇને તારે જંગલમાં બેસવાનું છે પણ સાવજને ખાવા નથી દેવાનું, જેના અંતર્ગત રીસર્ચના ભાગરૂપે જરુરી ડેટા લેવાનો છે. જીણાભાઈ બકરું લઈ કલાકો સુધી જંગલમાં સિંહ સામે બેઠા રહ્યાં ત્યાં સુધી સાવજે હિંમત ન કરી. પરંતુ જીણાભાઈને સહેજ ઝોકું આવતાં જ સાવજે બકરું પકડી લીધું. બકરું સાવજ હાથમાંથી ખેંચે પણ પેલી તરફથી જીણો નાનો એમ શેનું લેવા દ્યે! આ ઘટનાનો ફોટો જોસલીનના કેમેરામાં આવી ગયો અને પછી તેની થીસિસમાં ઓફિશિયલી પબ્લિશ પણ થયો.જીણાભાઈ જંગલમાં જતાં ત્યારે તેને જોઈ જુવાન ટીલીયો તેને મળવા દોડતો આવતો. ટીલીયા ઉપરાંત તેના જાણીતા સિંહોની કેશવાળીમાં ચોંટેલી ગિંગોડીઓ પણ ખેંચતાના કેટલાક દાખલા છે. સિંહ સાથે આટલો ગાઢ ઘરોબો માત્ર એક જીણાભાઇનો જ નહીં પણ સમસ્ત ગીરના માલધારીઓનો છે.ગુજરાતી ભાષાના સાહિત્યોમાં પણ માલધારી – સિંહના સંબંધના ઉત્તમ દ્રષ્ટાંતો છે. ઝવેરચંદ મેઘાણીએ નજરે જોયેલા દ્રશ્યમાંથી રચાયેલી કવિતા ‘ચારણકન્યા’ હોય કે સૌરાષ્ટ્રની રસધારમાં આલેખાયેલ ‘સાવજની ભાઇબંધી’ અનેક કવિઓએ ગીર, સિંહ અને માલધારીના સગપણને ખૂબ બિરદાવ્યું છે.અહીં સિંહનું મૃત્યુ થાય તો તેના અંતિમસંસ્કાર કરવામાં આવે છે અને તેના બેસણાં રાખવામાં આવે છે. તે વિસ્તારનો માલધારી રીતસર શોક પાળે છે.The Gir Lion Gajkessari Save Lion Save gir forest

પરાક્રમી પરાક્રમ


પરાક્રમસિંહ જાડેજા અને જ્યોતિ CNC હમણાં ખૂબ ચર્ચામાં હતી અને છે. આ લેખ વાંચી સમજાશે કે, આ દેશમાં એકપણ વેન્ટિલેટર બનતું ન હતું ત્યારે દેશ અને રાજ્યની આફતમાં આ માણસે કેવી ધગશ, મહેનત, નિષ્ઠા અને આગવી સૂઝથી “ધમણ-૧” બનાવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. જોકે તેમની આ સેવા ભાવના, સૂઝ અને ધગશને રાજકારણનો એરું આભડી ગયો. જેના પોખણા થવા જોઈએ તેને વિવાદનું સ્વરૂપ અપાયું. ગુજરાત સરકારને લોકોની જરૂરીયાત માટે ૮૬૬ વેન્ટિલેટર મફતમાં આપ્યા.

આ ગુજરાતી ટેક્નોક્રેટની અદભૂત વાત અહીં વાંચો

%d bloggers like this: